માત્ર ૭૦ રૂપિયા અને ન્યાયની આશા સાથે ૩૫ વર્ષીય રતન નાવગિરે તેમની બે બહેનો અને બે નાના બાળકો સાથે મહારાષ્ટ્રના પૂણેથી મુંબઈ સુધીનો 150 કિમીનો રસ્તો કાપીને પહોંચ્યાં છે. 7 ફેબ્રુઆરીએ તેમના સંઘર્ષની કહાની બયાઁ કરતા પોસ્ટરો લઈને તેઓ ઘરેથી નીકળ્યા હતા અને 13 ફેબ્રુઆરીએ મુંબઈના આઝાદ મેદાન પહોંચ્યા હતા, જ્યાં તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજકાલ કરતા દસ દિવસ વીતી ગયા છે પરંતુ ન તો તેમને ન્યાય મળ્યો છે, ન મુખ્યમંત્રી તરફથી કોી પ્રતિક્રિયા આવી છે.
પિંપરી-ચિંચવાડના થેરગાંવના રહેવાસી રતન નવગિરે અને તેમનો પરિવાર માતંગ (મંગ) સમાજમાંથી આવે છે, જે ઐતિહાસિક રીતે ભેદભાવનો ભોગ બનતો આવ્યો છે. બે વર્ષ પહેલા આ પરિવારના 14 વર્ષના પુત્ર કરણ પર સવર્ણ જાતિના લોકોએ હુમલો કર્યો હતો. ત્યારથી આ પરિવાર સતત સંઘર્ષ કરતો આવ્યો છે. જાતિવાદી સવર્ણોએ 14 વર્ષના કરણ પર માત્ર એટલા માટે હુમલો કર્યો હતો, કેમ કે તેણે જાતિવાદી તત્વો દ્વારા કરવામાં આવતા જાતિસૂચક અપમાનનો વળતો જવાબ આપ્યો હતો.
ત્યારથી આ પરિવાર સતત જાતિગત દુર્વ્યવહાર, શારીરિક હુમલા અને ધમકીઓનો સામનો કરી રહ્યો છે. પીડિત પરિવારના મોભી રતન નાવગિરેની બહેન રેશ્મા ચૌહાણ કહે છે, “સવર્ણોએ મારા ભત્રીજાને કહ્યું હતું કે તમે લોકો સવાર સવારમાં કેમ તમારું મોઢું બતાવો છો? તેઓ કારણ વિના ઝઘડો કરે છે. હવે અમને અમારા જીવનું જોખમ લાગે છે.”
રેશ્મા વધુમાં કહે છે, “પરિવારે પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC) અને પોલીસને ઘણી વખત ફરિયાદ કરી, પરંતુ કોઈ FIR નોંધાઈ નહીં. તેના બદલે છ મહિના પહેલા કોઈપણ પૂર્વ સૂચના વિના તેમનું પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. જ્યારે તેઓ જાહેર ટાંકીમાં પાણી ભરવા ગયા ત્યારે તેને વધુ અપમાનનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોએ અમારા પાણીના બેડામાં મરેલા ઉંદર ફેંક્યા હતા.”
આ પરિવારે હુમલાને રેકોર્ડ કરવા માટે ઉછીના રૂપિયા લઈને સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, પરંતુ આરોપીઓએ તેને ઢાંકીને મેમરી ચિપ કાઢી નાખી હતી. જ્યારે સોનમ લોઢે (23) એ તેના ઘરની જમીન પર ગટરના ઢાંકણા નાખીને દબાણ કરવાનો વિરોધ કર્યો ત્યારે વાકડ પોલીસે તેને રાતોરાત અટકાયતમાં લીધી. સોનમે કહ્યું, “અમે બીજી પેઢીથી અહીં રહીએ છીએ, છતાં અમારી પાસે ઘરની માલિકીના કાગળો માંગવામાં આવી રહ્યા છે.”
નવેમ્બરમાં, જ્યારે પરિવાર બહાર રસોઈ બનાવી રહ્યો હતો, ત્યારે આરોપીઓએ પોલીસને ફોન કરીને તેમને હેરાન કર્યા. રતન વધુમાં કહે છે, “તેમણે મારી 10 વર્ષની પુત્રી નૂતનને માર માર્યો અને તેનો ફોન છીનવી લીધો. જેથી તેઓ અમારી પાસે રહેલા પુરાવાનો નાશ કરી શકે. અમારો મોબાઇલ હજુ પણ તેમની પાસે છે.”
તેમણે ન્યાય માટે પીસીએમસી કમિશનરને મળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને પાછા પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવ્યા. ત્યાં તેમને સવારે ૧૧ વાગ્યાથી મધ્યરાત્રિ સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા અને કથિત રીતે તેમની પાસે ફર્શ સાફ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
૬ ફેબ્રુઆરીના રોજ, બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હોવાથી તેમણે પીસીએમસી કમિશનરને લેખિત ફરિયાદ આપી. જ્યારે તેમને ત્યાંથી પણ કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેમણે મુંબઈ પગપાળા કૂચ કરવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ મુંબઈ તરફ આગળ વધ્યા, ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. રતને પૂછ્યું, “બે વર્ષ પહેલાં જ્યારે આ બધું શરૂ થયું ત્યારે તેઓ ક્યાં હતા?”
રતન નાવગિરનો પરિવાર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ચાલતો, જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જતો – શાળાના કમ્પાઉન્ડમાં, રસ્તાની બાજુના આશ્રયસ્થાનોમાં અને મંદિરોમાં. જોકે, કોઈએ તેમને મંદિરોમાં પ્રવેશવાની મંજૂરી આપી ન હતી. સોનમે કહ્યું, “અમને ઘણા મંદિરોમાં આશ્રય મળ્યો, પરંતુ બે જગ્યાએ અમને પ્રવેશવાની મંજૂરી નહોતી.”
આ પણ વાંચો: દલિત યુવકની હત્યામાં ન્યાય માંગવા આખું શહેર રસ્તા પર ઉતર્યું
મુસાફરી દરમિયાન પણ તેમને હેરાનગતિનો સામનો કરવો પડ્યો. રેશ્માએ કહ્યું, “રાત્રે એક માણસે અમને હેરાન કરવાનો પ્રયાસ કર્યો, તેથી અમે પોલીસને ફોન કર્યો. ત્યારબાદ પોલીસે અમને પનવેલના શેડુંગ ટોલ પ્લાઝા પર રાત વિતાવવા મોકલ્યા.” થાક અને ડર હોવા છતાં તેમણે હિંમત હારી નહીં. માનકરુડ પહોંચ્યા પછી, કેટલાક અધિકારીઓએ તેમની હાલત જોઈ અને તેમને આઝાદ મેદાન લઈ જવાની વ્યવસ્થા કરી. અહીં પણ તે ફૂલોની માળા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.
તેમને મુંબઈ પહોંચ્યાને દસ દિવસ થઈ ગયા છે, પણ આજ સુધી કોઈ અધિકારી તેમને મળવા આવ્યા નથી. તેઓ રેલ્વે સ્ટેશનો પર રાત વિતાવે છે અને દિવસભર આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરે છે.
રત્તને કહ્યું, “અમે અહીં એટલા માટે આવ્યા છીએ કારણ કે અમારા જીવ જોખમમાં છે. જો સરકાર અમારી વાત નહીં સાંભળે, તો અમારી પાસે રહેવા કે જવા માટે કોઈ જગ્યા બચી નથી. અમારી એકમાત્ર માંગ છે કે જેમણે અમારા પર હુમલો કર્યો તેમને સજા થવી જોઈએ અને જે સંસ્થાઓએ અમને લાચાર બનાવ્યા છે તેમને જવાબદાર ઠેરવવી જોઈએ. જો અમે જૂઠું બોલતા હોત, તો અમે આટલી લાંબી અને જોખમી મુસાફરી ન કરી હોત.”
માતંગ/માંગ સમુદાયના જિલ્લા સચિવ સન્ની દાદરએ વહીવટ પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે પૂછ્યું, “જો પોલીસે બે વર્ષમાં કેસ નોંધ્યો હોત અને આદરપૂર્વક વર્ત્યા હોત, તો આ પરિસ્થિતિ ઊભી ન થાત. સરકાર મહિલાઓ માટે લાડકી બહેન જેવી યોજનાઓની વાત કરે છે, પરંતુ દલિત મહિલાઓ માટે ન્યાય ક્યાં છે?”
પીસીએમસી અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમના ઘરમાં પાણીનું જોડાણ અને શૌચાલય ગેરકાયદેસર હતું. જોકે, રતને માન્ય દસ્તાવેજોની માંગણી કરી અને પૂછ્યું, “જો તે ગેરકાયદેસર હતું, તો પછી પહેલા તો કનેક્શન કેમ આપવામાં આવ્યું?”
રતન અને તેનો પરિવાર હવે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. જો મુખ્યમંત્રી તેમને નહીં મળે, તો તેઓ દિલ્હી જશે અને વડા પ્રધાનને અપીલ કરશે.
સત્ય ન્યાય માટે લડતા દલિતો-આદિવાસીઓ-ઓબીસી અને લઘુમતી સમાજે આ પરિવારની દીકરી રેશ્માના શબ્દો કાયમ માટે યાદ રાખવા જેવા છે. રેશમા કહે છે, “ભલે અમારી પાસે પૈસા નથી, પણ સત્ય તો છે ને. બસ એના આધારે જ અમે નીકળી પડ્યાં છીએ.”
આ પણ વાંચો: 4 પોલીસ સ્ટેશનની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો