મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રીને જાતિ પૂછી 60 જેટલા લોકોના ટોળાએ તલવારો-દંડાથી હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ રાજ્ય મંત્રી કક્ષાના પ્રદીપ આહિરવાર પર રવિવારે રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના દયાલા ગામમાં હનુમાન મંદિર પાસે બની હતી. પ્રદીપ આહિરવાર ભોપાલમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ તેમના સાથી જગન્નાથ આહિરવારને ગ્યારસપુરથી જઈ રહ્યા હતા. રાત્રે લગભગ 11:15 વાગ્યે, દયાલા નજીક હનુમાન મંદિરની સામે કેટલાક લોકોએ તેમની કાર રોકી હતી અને તેમને તેમની જાતિ પૂછ્યા બાદ તલવારો અને દંડાથી હુમલો કરી દીધો હતો.
કોંગ્રેસ નેતાની જાતિ પૂછી અને હુમલો કર્યો
હુમલાખોરોએ પહેલા પ્રદીપ આહિરવારનું નામ પૂછ્યું પછી જાતિ પૂછી અને તેમને ઓળખતા જ તેમની સાથે ગાળાગાળી કરવાનું શરૂ કર્યું. એ પછી આરોપીઓએ તલવારથી કાર પર હુમલો કર્યો અને કાચ તોડી નાખ્યો. જ્યારે પ્રદીપ આહિરવાર અને તેના સાથી પોતાનો જીવ બચાવવા ભાગી ગયા ત્યારે હુમલાખોરોએ ગોળીબાર કરીને તેમનો પીછો કર્યો.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીને 4 દિવસ સુધી બાંધી રાખી પેશાબ પીવડાવ્યો
આ મામલે પ્રદીપ આહિરવારે જણાવ્યું હતું કે, હુમલાખોરો લગભગ 60-70 લોકો હતા. દરેકના હાથમાં તલવારો અને લાકડીઓ હતી. તેમણે ધમકી આપી હતી કે જો હું ફરીથી અહીંથી નીકળીશ તો તેઓ મને મારી નાખશે. મેં જેમતેમ કરીને ગંજબાસૌદા પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી છે.
પોલીસ અધિકારીઓએ શું કહ્યું?
પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ યોગેન્દ્ર સિંહ પરમારે જણાવ્યું હતું કે 50-60 અજાણ્યા લોકો સામે રમખાણો સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
વિદિશાના પોલીસ અધિક્ષક રોહિત કાશવાનીએ જણાવ્યું હતું કે, “આ બે જૂથો વચ્ચેની માથાકૂટ હતી. પ્રદીપ અહિરવાર નિશાન પર નહોતા પરંતુ તેમની કારને નિશાન બનાવવામાં આવી હતી. એક રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”
પ્રદીપ અહીરવારે શું કહ્યું?
જોકે, પ્રદીપ અહિરવારના આરોપો અલગ છે. તેમનું કહેવું છે કે આ કોઈ સામાન્ય જૂથ અથડામણ નહોતી પરંતુ સુનિયોજિત જાતિગત હિંસા છે. આ કેસમાં SC-ST act, BNS ની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને કલમ 147, 148, 149 (હુલ્લડો અને ઘાતક હથિયારો વડે હુમલો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
દલિત નેતા પર હુમલો થાય છે, તો સામાન્ય દલિતોનું શું?
આ ઘટના બાદ કોંગ્રેસના નેતાઓ અને દલિત સંગઠનોમાં ભારે રોષ છે. SC કોંગ્રેસે આ હુમલાને સત્તા-સંરક્ષિત જાતિવાદ ગણાવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા રવિ રાહુલે કહ્યું છે કે, “જો કોઈ દલિત નેતા પર આ રીતે હુમલો થઈ શકે છે, તો સામાન્ય દલિતોની સુરક્ષાની શું ગેરંટી છે? આ ઘટના મધ્યપ્રદેશમાં જાતિગત હિંસાની ગંભીર પરિસ્થિતિને ઉજાગર કરે છે. આ માત્ર એક રાજકારણી પર હુમલો નથી પણ દલિત સમાજની સામાજિક સુરક્ષા અને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ એક મોટો પ્રશ્ન છે. અમે આ ઘટનાની સખત નિંદા કરીએ છીએ.”
આ પણ વાંચો: ભાજપની મહિલા નેતાએ પોતાની જ સગીર દીકરી પર ગેંગરેપ કરાવ્યો