દિલ્હીમાં 26 વર્ષ પછી સત્તામાં વાપસી કરનાર ભારતીય જનતા પાર્ટી (BJP) ના મુખ્યમંત્રી કોણ હશે તે અંગે 8 ફેબ્રુઆરીથી અટકળો ચાલી રહી છે. પ્રવેશ વર્મા, અભય વર્મા, વિજેન્દ્ર ગુપ્તા, રેખા ગુપ્તા સહિતના બ્રાહ્ણણ નેતાઓના નામોની ચર્ચા થઈ રહી છે. એ દરમિયાન, એવી શક્યતા છે કે ભાજપ દિલ્હીમાં કોઈ દલિત નેતાને મુખ્યમંત્રીની ખુરશી સોંપી શકે છે. જો આવું થાય તો રવિન્દ્ર ઇન્દ્રરાજ સિંહ (Ravindra Indraraj) ને આ તક મળી શકે છે.
રવિન્દ્ર ઇન્દ્રરાજ સિંહ દિલ્હીની બવાના વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. તેમણે અહીં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જય ભગવાન ઉપકારને 31475 મતોના મોટા માર્જિનથી હરાવ્યા છે. રવિન્દ્ર ઇન્દ્રરાજ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય પણ છે. તેઓ લાંબા સમયથી દલિત સમાજ માટે કામ કરી રહ્યા છે. ૫૦ વર્ષીય ઇન્દ્રરાજ વ્યવસાયે ઉદ્યોગપતિ છે અને દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા છે. ચૂંટણીમાં તેમણે આપેલા સોગંદનામા મુજબ તેમની સામે કોઈ ફોજદારી કેસ પણ નોંધાયેલ નથી.
આ પણ વાંચોઃ Delhi Election Result : 12 SC અનામત બેઠકો પર કોણ જીત્યું?
દલિતો અને ગ્રામીણ વિસ્તારોને સાધવાની તક
રવિન્દ્ર ઇન્દ્રરાજ સિંહને મુખ્યમંત્રી બનાવીને ભાજપ એક તીરથી અનેક નિશાનો સાધી શકે છે. એક તરફ, દેશભરના દલિતોને સંદેશ આપી શકાય છે અને બીજી તરફ લોકસભાની ચૂંટણીના સમયથી જ દલિત-બંધારણ જેવા મુદ્દાઓ પર વિપક્ષના આક્રમક હુમલાઓને દબાવી શકાય છે. બીજી તરફ, ભાજપ દિલ્હીના ગ્રામીણ વિસ્તારોને પણ ખુશ કરી શકે છે, જેના કારણે આ વખતે બધી 10 બેઠકો પર કમળ ખીલ્યું છે. બવાના ઉપરાંત, નરેલા, મુંડકા, રિઠાણા, બાદલી, બિજવાસન, નજફગઢ, મટિયાલા, પાલમ અને છતરપુરના મતદારોએ ભાજપની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ભાજપનો મુખ્યમંત્રીનો ચહેરો કોણ તે ચૂંટણીનો મુદ્દો બન્યો હતો
ભાજપે 26 વર્ષ પછી દિલ્હીમાં સત્તા મેળવી છે. પાર્ટીએ ત્રણ વખત સરકાર બનાવી ચૂકેલી આમ આદમી પાર્ટી (AAP) ને હરાવીને 48 બેઠકો જીતી છે. જ્યારે પાછલી બે ચૂંટણીઓમાં તે અનુક્રમે 3 અને 8 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. ગત ચૂંટણીમાં 62 બેઠકો જીતનાર AAP આ વખતે ફક્ત 22 બેઠકો જીતી શકી છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા ભાજપ દ્વારા મુખ્યમંત્રીનો ચહેરો કોણ તેને લઈને સવાલો ઉભા કર્યા હતા. આપે ભાજપે દિલ્હીને મુખ્યમંત્રીનો ચહેરો ન આપવાને મોટો મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. વારંવાર પૂછવામાં આવ્યું કે કેજરીવાલ સામે ભાજપનો ચહેરો કોણ છે, આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં આ મામલે ઘણી જગ્યાએ બેન્ડવાજા સાથે એકલા ઘોડાને ફેરવ્યો હતો અને પૂછ્યું કે ‘ભાજપના વરરાજા’ અર્થાત મુખ્યમંત્રી કોણ છે. જો ભાજપ Ravindra Indraraj ને મુખ્યમંત્રી બનાવે છે તો કૉંગ્રેસ સહિતના વિરોધીઓની બોલતી બંધ કરી શકે છે.
આ પણ વાંચોઃ ડૉ.આંબેડકરના અપમાન છતાં ભાજપ 4 અનામત સીટ કેવી રીતે જીતી?