બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં પીએચડી પ્રવેશની માંગણી સાથે દલિત વિદ્યાર્થી શિવમ સોનકર 14 દિવસથી હડતાળ પર બેઠો છે. શિવમ ડિપાર્ટમેન્ટ ઓફ પીસ એન્ડ કોન્ફલિક્ટમાં એડમિશનને લઈને કુલપતિના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. નોન-જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) હેઠળ રિસર્ચ એન્ટ્રન્સ ટેસ્ટ (RET) માં SC કેટેગરી માટે કોઈ સીટ ન હોવાથી તેને પ્રવેશ અપાયો નહોતો. એપછી તેણે આંદોલન શરૂ કર્યું હતું.
શિવમે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે વિભાગે પીએચડી માટે 7 બેઠકો બહાર પાડી છે. જેમાંથી ચાર JRF હેઠળ અને ત્રણ નોન-JRF એટલે કે રિસર્ચ એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા ભરવાના હતા. મેં JRF સિવાયની બેઠકો માટે અરજી કરી. અને પરીક્ષામાં બીજો ક્રમ મેળવ્યો. પરંતુ RET દ્વારા પ્રવેશમાં SC શ્રેણી માટે કોઈ બેઠકો નહોતી, તેથી જનરલ અને OBC ઉમેદવારોને ત્રણ બેઠકો આપવામાં આવી.
બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પીએચડીમાં પ્રવેશ માટે શિવમ સોનકર નામનો દલિત વિદ્યાર્થી છેલ્લાં 14 દિવસથી યુનિ. બહાર વિરોધ પ્રદર્શન પર બેઠો છે. #JusticeForShivamSonkar #BHU #ShivamSonkar #Phdadmission #dalitlivesmatter pic.twitter.com/IuTx2Vf8Hw
— khabar Antar (@Khabarantar01) April 4, 2025
તેણે વધુમાં જણાવ્યું હતું કે વિભાગ JRF કેટેગરી હેઠળ ચારમાંથી ત્રણ બેઠકો ભરી શક્યું નથી. યુનિવર્સિટી ખાલી બેઠકોને અન્ય કેટેગરીના ઉમેદવારોને સમાવવા માટે રૂપાંતરિત કરવાનો અધિકાર અનામત રાખે છે. શિવમે યુનિવર્સિટી સત્તાવાળાઓને JRF કેટેગરી દ્વારા પ્રવેશ આપવાની વિનંતી કરી. પરંતુ તે નકારી કાઢવામાં આવી. રિસર્ચ એન્ટ્રન્સ ટેસ્ટ (RET) નું પરિણામ 20 માર્ચે જાહેર થયું હતું. શિવમ બીજા દિવસથી એટલે કે 21 માર્ચથી હડતાળ પર છે.
૩ એપ્રિલના રોજ BHUના રેક્ટર પ્રોફેસર સંજય કુમારે (જે યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પણ છે) શિવમને તેમની ઓફિસમાં બોલાવ્યો હતો અને તેને ખાતરી આપી કે તેના પ્રવેશ અંગે વિચારણા કરવામાં આવશે. પરંતુ વીસીના આશ્વાસન છતાં, શિવમે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો છે. તેનું કહેવું છે કે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ તે પોતાનો વિરોધ સમાપ્ત કરશે.
ચંદ્રશેખર આઝાદે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો
31 માર્ચે નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે શિવમ સોનકર સાથે ફોન પર વાત કરી હતી. એ પછી, તેના પીએચડી પ્રવેશનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. ચંદ્રશેખરે પીએમઓને પત્ર લખીને ન્યાયી કાર્યવાહીની માંગ કરી. ભીમ આર્મી ચીફ અને નગીનાના સાંસદે પત્રમાં લખ્યું હતું કે, “મને જાણવા મળ્યું છે કે શિવમ સોનકર, જેમણે સત્ર 2024-25 માં પીસ રિસર્ચ સ્ટ્રીમ માટે અરજી કરી છે, તેમની સાથે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ પ્રક્રિયા હેઠળ અન્યાય થઈ રહ્યો છે.”
આ ઉપરાંત, મછલીશહરના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ડૉ. રાગિની સોનકરે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખીને શિવસ સોનકર માટે ન્યાયની માંગણી કરી છે. આજકાલ કરતા આ મામલાને 14 દિવસ વીતી ગયા છે, પણ હજુ સુધી આ મામલે કોઈ નીવેડો આવ્યો નથી અને શિવમનું આંદોલન ચાલું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે