કડીમાં દલિત સમાજની એક 12 વર્ષની સગીર દીકરી પર તેના પાલક પિતા હોવાનો ઢોંગ કરી અનેકવાર દુષ્કર્મ ગુજારનાર દરબાર આરોપીને કોર્ટે આજીવન કેદની આકરી સજા ફટકારી છે.
આ કેસની મળતી માહિતી મુજબ વર્ષ 2020માં 12 વર્ષની સગીરા તેની માતા અને દોઢ વર્ષની નાની બહેન સાથે કડી ખાતે તેની ફોઈના ઘેર રહેતી હતી. એ દરમિયાન તેની માતાનો પ્રેમી નરેશ રાજપૂત ઉર્ફે રાકેશ એક દિવસ ત્રણેયને વહેલી સવારે 6 વાગ્યે રિક્ષામાં બેસાડીને પોતાની સાથે અમદાવાદના ચાંદખેડા ડી કેબિનના છાપરામાં લઈ ગયો હતો. ત્યાંથી તે બનાસકાંઠાના વડગામ તાલુકાના ધોતા ગામે લઈ ગયો હતો. અહીંથી ચારેય પાલનપર ગયા હતા. જ્યાં સગીરાની માતા ‘હું કરિયાણું અને શાકભાજી લઈને આવું છું’ એમ કહીને સગીરા, તેની દોઢ વર્ષની બહેનને આરોપી પાસે મૂકીને ભાગી ગઈ હતી. સગીરાએ સાંજ સુધી તેની માતાની રાહ જોઈ પણ તે પરત ન આવતા આરોપી અને તે ધોતા ગામે પરત ફર્યા હતા. અહીં 15 દિવસ સુધી તેની માતાની રાહ જોઈ હતી પરંતુ તે પરત ન આવતા ત્રણેય કરજોડા ગામે એક ભાડાના મકાનમાં રહેવા આવી ગયા હતા.
આ પણ વાંચોઃ ચકચારી પ્રણય હત્યા કેસમાં 1ને ફાંસી, 6 ને આજીવન કેદની સજા
હવસખોરે પ્રેમિકાની દીકરી પર બળાત્કાર કર્યો
અહીં ત્રણ-ચાર દિવસ બાદ આરોપીમાં પડેલો હવસખોર જાગી ગયો હતો અને પ્રેમિકાની સગીર દીકરી પર તેની નજર બગડી હતી. આરોપીએ એક રાત્રે સગીરાને કહ્યું, “તારી મમ્મી તો મને છોડીને જતી રહી, હવે તું જ મારી પત્ની” એમ કહીને તેની સાથે દુષ્ક્મ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. સાથે જ આ વાતની કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહીને અવારનવાર એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારતો હતો.
સગીરાએ મકાનમાલિક મહિલાને જાણ કરી
આખરે સગીરાથી સહન ન થતા તેણે 23 ઓક્ટોબર 2020ના રોજ મકાનમાલિક હંસાબહેન અને પિંકીબહેનને સમગ્ર મામલાની જાણ કરતા તેમણે તરત 181 અભયમ હેલ્પલાઈન પર ફોન કરી દીધો હતો. બાદમાં પોલીસ આવીને સગીરાને લઈ ગઈ હતી અને આરોપી નરેશ રાજપૂતની ધરપકડ કરી હતી. પોલીસે ભોગ બનનાર સગીરાને પાલનપુર નારી ગૃહમાં મૂકી દીધી હતી.
આ પણ વાંચોઃ દલિત યુવકના હત્યારા 8 લોકોની આજીવન કેદ સુપ્રીમે યથાવત રાખી
નવસર્જનના કાર્યકરોને જાણ થતા કેસ હાથમાં લીધો
આ ઘટનાની જાણ નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો શાંતાબેન સેનમા અને ભરતભાઈ પરમારને થતા તેઓ સગીરાના પરિવાર સાથે પાલનપુર પહોંચી ગયા હતા અને પીઆઈ, ડીવાયએસપીને મળીને ઘટનાની વિગતો મેળવી આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો અને રાત રોકાઈ CWC ની કમિટીમાં અરજી કરી. ભોગ બનનાર સગીરાના કબ્જાનો ઓર્ડર લઈ નારી ગૃહમાંથી તેનો કબ્જો લીધો હતો અને સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. ત્રીજા દિવસે સગીરાના પાલનપુર કોર્ટમાં રજૂ કરી 164નું નિવેદન લેવડાવ્યું હતું અને તેના અસલી પિતા તથા ફોઈના ઘરે તેનો કબ્જો સોંપી દીધો હતો.
આ પણ વાંચોઃ આંબલીયાળાના દલિત યુવકને જીવતો સળગાવનારને આજીવન કેદ
POCSO કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો
ત્યારબાદ પાલનપુર પોક્સો કોર્ટમાં કેસ નં. 34/2020 દાખલ કરાવ્યો હતો. આ કેસમાં સરકારી વકીલની ધારદાર રજૂઆતો અને દલીલ બાદ તા. 28 એપ્રિલ 2025ના રોજ પાલનપુર કોર્ટના એડિશનલ સેશન્સ જજ અમિત જે કાનાણીએ આરોપીને આજીવન કેદની સજા અને રૂ. 4 લાખનું વળતર ચૂકવવાની આકરી સજા ફટકારી છે.
નવસર્જન ટ્રસ્ટના કાર્યકરોની સરાહનીય કામગીરી
આ સમગ્ર કેસમાં સગીરાને ન્યાય અપાવવામાં મહેસાણા નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો શાંતાબેન સેનમા અને ભરતભાઈ પરમારનો સિંહફાળો રહ્યો હતો. આ બંને કાર્યકરોએ રાતદિવસ જોયા વિના દલિત સમાજની સગીરાને ન્યાય અપાવવા માટે લડત આપી હતી.
આ પણ વાંચોઃ 24 દલિતોને ગોળી મારી દેનાર ત્રણેયને ફાંસીની સજા
કાર્યકરોએ સગીરાના શિક્ષણની જવાબદારી લીધી
નવસર્જન ટ્રસ્ટના કાર્યકરોએ ઉમદા કાર્ય કરતા ભોગ બનનાર સગીરાને ભણવા માટે દત્તક લીધી છે અને તેને ધોરણ 8 થી 10 સુધી મેઉ સ્કૂલમાં ભણવા મૂકી છે. સાથે જ તેના ભાઈને પણ ધોરણ 4 થી ત્યાં ભણવા મૂક્યો છે. હાલ બંનેનો અભ્યાસ ચાલી રહ્યો છે. આ કેસમાંથી એ પણ શીખવા જેવું છે કે, સામાજિક ન્યાયની લડતમાં કાયદાકીય જ્ઞાનની સાથે ધીરજ પણ ખૂબ જ મહત્વના છે. નવસર્જનના કાર્યકરોએ આ બંને બાબતોનો ખ્યાલ રાખ્યો હતો અને તેથી જ તેઓ દીકરીને ન્યાય અપાવી શક્યા.
આ પણ વાંચોઃ 24 દલિતોની હત્યામાં 26 વર્ષ પછી પણ ન્યાય નથી મળ્યો
ફુલ જેવી કોમળ ઉંમરે આટઆટલી વેદના ને અત્યાચાર સહન કરવાં પડ્યાં એ બહુ જ દુઃખની વાત છે પણ આખરે એ નરાધમને એનાં કુકર્મોની સજા મળી એ થોડી રાહતની વાત છે. કોઈપણ સમાજમાં આવી ઘટના ન જ બનવી જોઈએ અને કદાચ બની ગઈ હોય તો આખરે એનું પરિણામ (ચુકાદો) આવો જ હોવો જોઇએ જેથી સમાજમાં કાયદાના ડરનો દાખલો દેખાડી શકાય.
બંને બહેન-ભાઈ ભણીગણીને પોતાનું ઉજ્વળ ભવિષ્ય બનાવે એવી શુભેચ્છા.
શાંતાબેન અને ભરતભાઈ (નવસર્જન)ના આભાર સાથે અભિનંદન.
ખબરઅંતરનો પણ આભાર.
ખૂબ ખૂબ ધન્યવાદ નવસર્જન ટ્રસ્ટ અને કાર્યકર્તાઓ ને દીકરી ને બચાવવા તથા ન્યાય આપવા માટે પ્રયત્નો માટે
Navsarjan trust tamam loko ne hu,, Dhanyavaad aapu chu,,, ane nyayadhish sir ne ,,,, salute,,,