પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બુદ્ધ વિહાર દ્વારા મહેસાણા શહેરમાં ૨૫૬૯મી ત્રિવિધ પાવન બુદ્ધ પૂર્ણિમા (૧૨ મે ૨૦૨૫) નિમિત્તે ભન્તે ડૉ. સિદ્ધાર્થ વર્ધનજીનાં નેતૃત્વમાં એક ભવ્ય ધમ્મ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નગરયાત્રાના પ્રારંભ કરતાં પૂર્વ બૌદ્ધ કલ્ચર અનુસાર ભન્તે સિદ્ધાર્થ વર્ધનજી દ્વારા તિરતન વંદના કરાવવામાં આવી હતી. ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગે નગરયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નગરયાત્રા મહેસાણા શહેરના જુદાં-જુદાં માર્ગો પર ફરી હતી. એ દરમિયાન મહેસાણા શહેરના ઉપાસકો દ્વારા જુદાં-જુદાં સ્થળે છાશ, આઈસ્ક્રીમ અને ઠંડાપીણાના કેમ્પ લગાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પાટણમાં વૈશાખી પૂર્ણિમા નિમિત્તે SSD દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
આ નગરયાત્રાના આકર્ષણના કેન્દ્રમાં નાના ભૂલકાંઓ રહ્યા હતા. જેઓ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી વિવિધ વેશભૂષા, પંચશીલ ધ્વજ, તેમજ સમ્રાટ અશોક, અનાગારિક ધમ્મપાલ, બોધિસત્વ ડૉ.બાબાસાહેબ અને મહાબોધિ મહાવિહાર મુક્તિ આંદોલનનાં વિવિધ પ્લેકાર્ડ લઈને ચાલ્યા હતા. જે બૌદ્ધ કલ્ચરને પુનર્જીવિત કરવા માટે જરૂરી હતા.
બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે આયોજિત આ આ ધમ્મ નગરયાત્રામાં મહેસાણા શહેરમાંથી મોટી સંખ્યામાં ઉપાસક અને ઉપાસિકાઓ સપરિવાર શ્વેત વસ્ત્ર પરિધાન કરી જોડાયા હતા. પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બુદ્ધ વિહાર દ્વારા બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે મહેસાણા શહેરમાં આ ચતુર્થ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નગરયાત્રાને પરિશુદ્ધ બૌદ્ધ સંઘના પ્રેસિડેન્ટ હાર્દિક સુતરિયા, સેક્રેટરી પરેશ બૌદ્ધ, ખજાનચી બીપીનચંદ્ર અને મિલિંદ બૌદ્ધ, મનિષ બૌદ્ધ તથા તુષારચંદ્રએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવી હતી.
(અહેવાલ – પરેશ બૌદ્ધ, મહેસાણા)
આ પણ વાંચો: હવે સુપ્રીમ કોર્ટના જજો પણ પોતાની સંપત્તિની વિગતો આપશે