આજે 14મી એપ્રિલે ભારત સહિત દુનિયાભરમાં ડો.આંબેડકરની 134મી જન્મજયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં બહુજન સમાજે લોકભાગીદારીથી 156 કિલોની કેક કાપીને મહાનાયક ડો.આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરી હતી.
ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતી નિમિત્તે 156 કિલો એટલે કે 7 મણ અને 16 કિલોની કેક કાપવામાં આવી હતી. તેની સાથે જ ભવ્ય ભીમ ડાયરો પણ યોજાયો હતો. આ કાર્યક્રમ સંપૂર્ણ લોક ભાગીદારીથી અને દાતાઓના સહકારથી કરવામાં આવ્યો હતો. 156 કિલોની કેક તૈયાર કરવાના ફંડ માટે લોકોને દાન કરવાની અપીલ કરવામાં આવી હતી અને ઘેર-ઘેર જઈ લોકો પાસેથી કેક બનાવવા માટે દાન યથાસ્થિતિ દાન મેળવવામાં આવ્યું હતું.
આ વિશાળ કેક માટે ઘઉં ચોરણિયા ગામના લાલજીભાઈ નાનુભાઈ કોળી પટેલે દાનમાં આપ્યા હતા. જ્યારે મૈત્રી સ્વીટ એન્ડ કેટરર્સના જગદીશભાઈ ચાવડાએ એક પણ રૂપિયો લીધાં વિના કેક બનાવી આપી હતી. આ કાર્યક્રમમાં બહુજન સમાજે ભારે ઉત્સાહ દાખવ્યો હતો અને દિલ ખોલીને દાન આપ્યું હતું. રાત્રે યોજાયેલા ભીમ ડાયરામાં લોકોએ રૂપિયાની સાથે ડોલર પણ ઉડાડ્યા હતા.
આ પણ વાંચો: મેઘાણીનગરમાં AMC સામે પડી દલિતોએ ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂક્યું
કેક કટીંગનો આ કાર્યક્રમ તા.૧૩-૪-૨૦૨૫ ને રવિવાર સાંજે યોજાયો હતો. જેમાં 5000 થી પણ વધુ લોકો ઉમટી પડ્યા હતા અને ડાયરો માણ્યો હતો. એ પછી રાત્રે 12:30 વાગ્યે નાની બાળાઓના હસ્તે 156ની કેક કાપીને ડો.આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે યોજાયેલા ભીમ ડાયરામાં કલાકાર શ્રી રમેશભાઈ પરમાર, પરેશભાઈ રાઠોડ, હિતેશભાઈ સાધુ, ખુશાલીબેન છાસિયા, અશોકભાઈ સુમરા, કિશનભાઈ ઝાલા, નટુભાઈ પરમારે ભીમ ભજનો તેમજ લોકસાહિત્યની રમઝટ બોલાવી મહાનાયક ડો.આંબેડકરના કાર્યોને યાદ કરી ઉપસ્થિત લોકોને ભીમરસમાં તરબોળ કરી દીધા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.આંબેડકર એક્શન ગ્રુપ તથા છત્રપતિ શાહુજી મહારાજ બૌધ વિહાર સુરેન્દ્રનગરના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો: શિક્ષણ સિંહણનું દૂધ છે..કહેનાર ડૉ.આંબેડકર પાસે કેટલી ડિગ્રીઓ હતી?
*હિન્દુ બાળાઓ કહેવાને બદલે “ભીમ શેરની” ભીમ દિકરીઓ કહેવું જેથી દલિત ચેતનાને જીવંત રાખવાનું એક અતૂટ વિશ્વાસનું વાતાવરણ સર્જાય છે! જયભીમ!
જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર!