મહીસાગર જિલ્લાની કડાણા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારે મામલતદારનો ચાર્જ ન હોવા છતાં અડધા દિવસમાં જ અનુસૂચિત જાતિના 357 પ્રમાણપત્રો ઈશ્યૂ કરી દીધા હોવાની વિગતો સામે આવી છે. આ મામલામાં તપાસમાં બાદ નાયબ મામલતદારે સત્તાનો દુરઉપયોગ કર્યો હોવાનું સાબિત થતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે તેમણે ઇસ્યુ કરેલા જાતિના દાખલાઓ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
નાયબ મામલતદાર જે.જે. પંડ્યાનું કારસ્તાન
મહીસાગર જિલ્લાના કડાણા મામલતદાર કચેરી ફરજ બજાવતા નાયબ મામલતદાર જે. જે પંડ્યા એ વર્ષ 2023માં પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી 357 આદિવાસી દાખલા ઇસ્યૂ કર્યા હોવાનું સામે આવી હતી. નાયબ મામલતદાર દ્રારા મામલતદાર રજા પર ગયા ત્યારે આ કૃત્ય આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જે તપાસ બાબતે જે જે પંડયાને ચાર્જશીટ આપવામાં આવી હતી. તે અંગે જે ખુલાસો રજૂ કર્યો હતો તે ગ્રાહય ન રાખી તેમની વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ખાતાકીય તપાસ અધિકારી તરીકે બાલાસિનોર પ્રાંત અધિકારી તથા સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટરની તેમજ રજૂઆત અધિકારી તરીકે કડાણા મામલતદારની નિમણૂંક કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દેશની 8 IIT, 7 IIM માં 80 ટકાથી વધુ શિક્ષકો સવર્ણ જાતિના
નાયબ મામલતદાર વિરુધ્ધ કાર્યવાહી કરાશે
મહીસાગરના એડિશનલ રેસિડેન્ટ કલેક્ટર સી.વી. લટાએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર દ્વારા નાયબ મામલતદાર જે.જે.પંડ્યાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. હવે આગળની કાયદેસરની કાર્યવાહી કડાણા મામલતદાર હાથ ધરશે. આ સાથે જ જે.જે.પંડ્યાએ ઈસ્યૂ કરેલા તમામ 357 જાતિ દાખલા રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પંડ્યાજી કોના ફાયદા માટે આ કરી રહ્યા હતા?
મહીસાગર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ સવર્ણ જાતિના લોકો દ્વારા નકલી એસસી, એસટી પ્રમાણપત્રો કઢાવી એસસી-એસટી ક્વોટામાં સરકારી નોકરી મેળવી લેવાની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે જે.જે.પંડ્યાએ એકસાથે આટલા બધાં એસટી સર્ટિફિકેટ કોને ઈશ્યૂ કર્યા હતા અને તેનો શું દુરૂપયોગ થવાનો હતો તે પણ ચર્ચાનો મુદ્દો છે. પંડ્યા પોતે સવર્ણ જાતિના છે અને તેઓ એ સમાજમાંથી આવે છે જે સતત દલિતો, આદિવાસીઓની બંધારણીય અનામતનો વિરોધ કરે છે. ત્યારે તેમણે ઈશ્યૂ કરેલા 357 આદિવાસી જાતિના પ્રમાણપત્રોમાં કેટલા નકલી છે અને તેઓ આગળ તે સર્ટિફિકેટનો ક્યાં ઉપયોગ કરવાના હતા તેની પણ તપાસ થવી જરૂરી છે.
આ પણ વાંચો: GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી
આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે તાજેતરમાં જ કંઈ કેટલાય વ્યક્તિઓ એસસી એસટી ઓબીસી જાતિના સર્ટિફિકેટ પર નોકરી મેળવીને રિટાયર્ડ પણ થઈ ગયા છે. એનો અર્થ છે કે તેઓ એસસી એસટી ઓબીસીની એટલી નોકરી ખાઈ ગયા છે અને એટલું જ નહીં. એમણે તેમના બંધારણીય હકથી વંચિત રાખ્યા છે. એટલે એસસી એસટી ઓબીસીના સર્ટીફીકેટ પર જેટલી પણ વ્યક્તિઓ નોકરી મેળવી છે એ બધાના સર્ટીફીકેટની તપાસ કરવી જોઈએ.