વંચિતો – શોષિતોના અધિકાર માટે જીવનભર લડતા રહેલા, વર્ષ ૧૯૮૧ થી ૨૦૨૦ એમ ચાર દાયકા સુધી ‘નયા માર્ગ’ના તંત્રી રહેલા ‘વાચાવિહોણાઓની વાચા’ સમા પ્રતિબધ્ધ તંત્રી-પત્રકાર ઈન્દુકુમાર જાનીની ચોથી પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદના ‘ભારતીય સમુદાય શિક્ષણ ભવન’ ખાતે જુદા જુદા અવસરે અને નિમિત્તે ઈન્દુભાઈ દ્વારા લખાયેલા ૯૫ જેટલા લેખોને સમાવતા, ડંકેશ ઓઝા સંપાદિત બે પુસ્તકો (૧) ‘વહાલો મારો દેશ, વહાલાં એનાં માનવી’ (૨) ‘વહાલું મારું ગુજરાત, વહાલી એની સંસ્થાઓ’ નું લોકાર્પણ, તારીખ ૨૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ પૂર્વ સાંસદ અને ઈન્દુભાઈના સાથીદાર મધુસુદન મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને, સ્વ. ઈન્દુભાઈના ધર્મપત્ની રંજનબહેન તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું હતું.
કાર્યક્રમમાં સર્વશ્રી યશવંત મહેતા, પ્રકાશ ન. શાહ, ચંદુભાઈ મહેરિયા, કેશુભાઈ દેસાઈ, પ્રવીણ ગઢવી, સુખદેવ પટેલ, દલપત ચૌહાણ, હરિણેશ પંડ્યા, સંજય દવે, સંજય ભાવે, મનીષી જાની, રૂપા મહેતા,રસીલાબેન પરમાર, ભારતી ડંકેશ ઓઝા, જનક મહેતા, રમણ વાઘેલા, સી.જે.રાઠોડ, યોગેન્દૂ ચૌહાણ, લાલુભા, મૂળજીભાઈ ખુમાણ, ડો.હસમુખ પરમાર, ડો. ભીખુ વેગડા, ભીખાભાઈ અમીન, વિરાગ સુતરિયા, દીપક જોશી, મહેશ પંડ્યા સહિત અન્ય મહાનુભાવોની જેમાં ઉપસ્થિતિ રહી એ લોકાર્પણ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રો. અન્સારીએ અને લાગણીસભર આભારદર્શન રંજનબેન જાનીએ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મેઘશ્રી ભાવેએ પ્રાર્થના રજૂ કરી હતી, જ્યારે સંચાલન પ્રદ્યોતે કર્યું હતું.
આ પણ વાંચો: વકીલ હોવા છતાં ડૉ.આંબેડકર ભગતસિંહનો કેસ કેમ નહોતા લડ્યા?
ઉપસ્થિત મહાનુભાવો પૈકી ઘણાબધાએ ઈન્દુભાઈ સાથેના સંસ્મરણ કહ્યા હતા અને ભાવસભર શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં ‘ઈન્દુભાઈના પત્રકારત્વ’ વિશે પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમારે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, ‘ટેબલ સ્ટોરી’ નહીં પણ ‘નયા માર્ગ’ના તંત્રી રહીને પણ – મહિનાના ૧૬ થી ૧૭ દિવસ ઓફિસથી બહાર એક સંશોધક અને સત્યાન્વેષી પત્રકાર બનીને ગુજરાતનો ખૂણેખૂણો ખૂંદતા રહીને ‘મેટર’ એકઠું કરી ધોધમાર લેખન કરતા ઈન્દુભાઈના ઉલ્લેખ વિના ‘ગુજરાતી પત્રકારત્વ’ની વાત કોઈ કરી શકે નહીં.
મુખ્યત્વે શહેરોમાં કેન્દ્રિત મુખ્ય પ્રવાહના મિડિયાને, ગ્રામજીવનના અને શહેરોમાં જ રહી બે ટંકના રોટલા માટે સંઘર્ષ કરતા ગરીબ શહેરીજનોના સમાચાર છાપવામાં બહુ રસ હોતો નથી ત્યારે ઈન્દુભાઈ ‘ગરીબોના પત્રકાર’ બની એમનો અવાજ ઊઠાવતા રહ્યા હતા.
સદભાવના પુરસ્કાર, હ્યુમન રાઇટ્સ પુરસ્કાર, ગુજરાત વર્નાક્યુલર જર્નાલિસ્ટ એસોસિએશનનો શ્રેષ્ઠ પત્રકાર પુરસ્કાર સહિત અનેક સન્માન- પુરસ્કારથી સન્માનિત ઈન્દુભાઈ ખરેખર તો લાખો દલિત, આદિવાસી, વિચરતી, વિમુક્ત વર્ગની દુઆ/આશીર્વાદના પણ હક્કદાર બન્યા હતા.
(તસવીરો : લંકેશ ચક્રવર્તી-અમદાવાદ)
આ પણ વાંચો: 12,000 કમાતા દલિત યુવકને 36 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ મળી