ગુજરાત સહિત દેશભરમાં હાલ ઓબીસી સમાજ સત્તાના રાજકારણના કેન્દ્રમાં છે. ઓબીસી સમાજના મતો જે દિશામાં વળે તે પક્ષની જીત નિશ્ચિત મનાય છે. કમનસીબી એ છે કે સવર્ણ હિંદુઓની પાર્ટીઓ ઓબીસી સમાજના મતો લઈને પોતે સત્તા ભોગવે છે અને ઓબીસી સમાજની સ્થિતિ જેમની તેમ રહી જાય છે. ભાજપ-કોંગ્રેસ સહિતના સવર્ણ હિંદુઓના તરફદાર રાજકીય પક્ષો ઓબીસી સમાજના હકો પર સતત તરાપ મારતા રહે છે, તેમ છતાં સામાજિક, શૈક્ષણિક જાગૃતિના અભાવે ઓબીસી સમાજને તેનો ખ્યાલ પણ નથી આવતો.
ગુજરાતમાં આજે સૌથી વધુ અંધશ્રદ્ધા અને નિરક્ષરતા ઓબીસી સમાજમાં જોવા મળે છે. ઠાકોર અને દેવીપૂજક જેવા સમાજોમાં તો છોકરાઓ પણ પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ ભણવાનું છોડી દે છે. ત્યારે છોકરીઓને કોણ ભણાવે?
પાટણમાં રૂ. 15 લાખના ખર્ચે લાઈબ્રેરી તૈયાર કરાઈ
હવે પાટણના ઠાકોર સમાજે આ સ્થિતિને બદલવાનું નક્કી કર્યું છે અને તેના માટે પાટણ શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા રૂ.15 લાખના ખર્ચે સંત શ્રી સદારામ કન્યા લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે તૈયાર થયેલી આ લાઈબ્રેરીમાં 47 દીકરીઓ એકસાથે વાંચન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લાઈબ્રેરીમાં સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર ફિંગરપ્રિન્ટથી જ દરવાજો ખુલશે. દીકરીઓ જ્યારે લાઈબ્રેરીમાં આવશે અને જશે ત્યારે વાલીને મેસેજથી જાણ કરવામાં આવશે. લાઈબ્રેરી સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
આ પણ વાંચો: મહિલા IAS એ દલિત વિદ્યાર્થીઓને કહ્યું, ‘ટોઈલેટ સાફ કેમ નથી કરતા?’
મંદિરોમાં લાખો દાન કરવાને બદલે લાઈબ્રેરી બનાવો: ગેનીબેન ઠાકોર
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ લાઈબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે ઠાકોર સમાજને મહત્વનો સંદેશ આપતા કહ્યું કે, મંદિરોમાં લાખો રૂપિયાનું દાન કરવાને બદલે લાયબ્રેરીઓ ઉભી કરવી જોઈએ. તેમણે અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો દૂર કરવા પણ અપીલ કરી હતી. ઠાકોર સમાજની દીકરીઓ આ લાઈબ્રેરીનો નિઃશુલ્ક ઉપયોગ કરી શકશે.
ઠાકોર સમાજના અગ્રણી હેતલ ઠાકોરે જણાવ્યું હતું કે, અગાઉ સમાજની દીકરીઓ માટે અભ્યાસની કોઈ વ્યવસ્થા નહોતી. હવે આ આધુનિક લાઈબ્રેરીમાં દીકરીઓ પરીક્ષાની તૈયારી કરી શકશે અને સમાજનું નામ રોશન કરશે.
ઠાકોર સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શક્તિ પ્રદર્શન કર્યું
આ લાયબ્રેરીના ઉદ્ઘાટનમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, લાલજીભાઈ દેસાઈ, મહેશજી ઠાકોર, માગજી ઠાકોર, આશાબેન ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સમાજ કમિટીના સભ્ય નવઘણજી ઠાકોર, વિનયસિંહ ઠાકોર, ડો, મનોજ ઠાકોર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને દીકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પણ વાંચો: ગોંડલમાં 18મી જૂને 1 લાખ દલિતોનું મહાસંમેલન યોજાશે