LIC એ ADANI ગ્રુપને લોકોની બચતના 32,000 કરોડ દઈ દીધાંઃ રિપોર્ટ

The Washington Post ની તપાસમાં સામે આવ્યું છે કે LIC એ ADANI GROUP ના બિઝનેસમાં 3.9 અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. 32,000 કરોડનું રોકાણ કર્યું છે.
lic investment in adani

જ્યારથી નરેન્દ્ર મોદી(Narendra Modi) કેન્દ્રમાં સત્તામાં આવ્યા છે ત્યારથી ગુજરાતી ગૌતમ અદાણી(Gautam Adani) પર તેમની વિશેષ કૃપા વરસી રહી છે. દેશના એરપોર્ટ સહિતના અનેક મોટા પ્રોજેક્ટ અદાણીને 99 વર્ષના ભાડાપટ્ટે આપી દેવાયા છે. અદાણી ગ્રુપ(Adani Group)ને લઈને હવે વધુ એક ચોંકાવનારી રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવાયું છે કે, દેશની સૌથી મોટી સરકારી જીવન વીમા પોલિસી કંપની LIC એ દેશના ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના લોકોની પરસેવાની કમાણીના 32,000 કરોડ રૂપિયા અદાણીને આપી દીધા છે.

આ વર્ષની શરૂઆતમાં અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી દેવામાં ડૂબી ગયા હતા. તેઓ એ વખતે અમેરિકામાં લાંચના આરોપોનો સામનો કરી રહ્યા હતા અને ઘણી મોટી યુરોપિયન અને અમેરિકન બેંકો તેમને મદદ કરવામાં ખચકાતી હતી, ત્યારે મોદી સરકાર અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) તેમના બચાવમાં આગળ આવ્યા હતા. ધ વોશિંગ્ટન પોસ્ટ(The Washington Post) દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે LIC એ અદાણીના બિઝનેસમાં 3.9 અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. 32,000 કરોડનું રોકાણ કર્યું છે. LIC ની પોલીસી સામાન્ય રીતે ગરીબ અને ગ્રામીણ લોકો ખરીદે છે.

વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ, ગૌતમ અદાણી પાસે આ વર્ષની શરૂઆતમાં આશરે 90 અબજ ડોલરની સંપત્તિ હતી, તેમના પર મોટા દેવાનો બોજ હતો અને કોલસાની ખાણો, એરપોર્ટ, બંદરો અને ગ્રીન એનર્જી જેવા વ્યવસાયો પર દેવું વધી રહ્યું હતું. વધુમાં, અમેરિકી અધિકારીઓએ ગયા વર્ષે તેમના પર લાંચ અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આ કારણોસર, ઘણી મોટી અમેરિકન અને યુરોપિયન બેંકો તેમને લોન આપવામાં ખચકાતી હતી. રિપોર્ટ અનુસાર, આ કટોકટી વચ્ચે ભારત સરકારે અદાણીને મદદ કરવા માટે એક મોટી યોજના બનાવી હતી.

આ પણ વાંચો: ‘ગુજરાત એટલે મનુવાદીઓનો ગઢ’, રાજકોટમાં ડો.આંબેડકરના પૌત્રના પ્રહારો

વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, ભારતીય અધિકારીઓએ મે 2025 માં એક પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. આંતરિક દસ્તાવેજોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આ યોજના ભારતીય નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) અને LIC સાથે મળીને વિકસાવવામાં આવી હતી. ભારતની અગ્રણી સરકારી થિંક ટેન્ક, નીતિ આયોગે પણ આમાં ભૂમિકા ભજવી હતી. આ યોજનાને નાણાં મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. અહેવાલ અનુસાર, દસ્તાવેજો જણાવે છે કે આ રોકાણના બે મુખ્ય ઉદ્દેશ્યો હતા: અદાણી ગ્રુપમાં વિશ્વાસ દર્શાવવો અને અદાણીનું વધતું દેવું ઘટાડવું.

અહેવાલ મુજબ, મે 2025 માં, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડને તેના હાલના દેવાની ચુકવણી માટે 585 મિલિયન ડૉલર એટલે કે અંદાજે રૂ. 4,800 કરોડની જરૂર હતી. 30 મેના રોજ, અદાણી ગ્રુપે જાહેરાત કરી કે સમગ્ર બોન્ડ ઇશ્યૂ એક જ રોકાણકાર: LIC દ્વારા ખરીદવામાં આવ્યો છે. આ સોદાની તરત જ ટીકા થઈ, જેમાં વિરોધ પક્ષો અને નિષ્ણાતોએ તેને જાહેર ભંડોળનો દુરુપયોગ ગણાવ્યો.

વોશિંગ્ટન પોસ્ટે દસ્તાવેજો ટાંકીને અહેવાલ આપ્યો છે કે નાણા મંત્રાલયે LIC ને અદાણી ગ્રુપના કોર્પોરેટ બોન્ડમાં 3.4 અબજ ડૉલર અને અદાણીની અનેક પેટાકંપનીઓમાં હિસ્સો વધારવા માટે 507 મિલિયન ડૉલરનું રોકાણ કરવાની સલાહ આપી હતી.

અહેવાલ મુજબ, મંત્રાલયે દલીલ કરી હતી કે અદાણી બોન્ડ 10 વર્ષના સરકારી બોન્ડ કરતાં વધુ સારું વળતર આપી શકે છે. જોકે, આ રોકાણને જોખમી માનવામાં આવતું હતું કારણ કે અદાણી ગ્રુપની સિક્યોરિટીઝના ભાવમાં વધઘટ થાય છે.

આ પણ વાંચો: ‘અમે આદિવાસી છીએ, હિંદુ નથી’, કોંગ્રેસના આદિવાસી નેતાની સ્પષ્ટ વાત

ધ વોશિંગ્ટન પોસ્ટના પ્રશ્નોના જવાબમાં, અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે, “અમે LIC ભંડોળનો સીધો ઉપયોગ કરવા માટે કોઈપણ કથિત સરકારી યોજનામાં કોઈપણ સંડોવણીનો સ્પષ્ટપણે ઇનકાર કરીએ છીએ. LIC અસંખ્ય કોર્પોરેટ જૂથોમાં રોકાણ કરે છે અને અદાણીને પ્રાથમિકતા આપવાની વાતો ગેરમાર્ગે દોરનારી છે. બીજું કે, LIC એ અમારા પોર્ટફોલિયોમાં તેના રોકાણમાંથી વળતર મેળવ્યું છે.”

અહેવાલ મુજબ, કંપનીએ જણાવ્યું હતું કે અયોગ્ય રાજકીય પક્ષપાતના દાવાઓ પાયાવિહોણા છે અને તેનો વિકાસ નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ પહેલાનો છે. દરમિયાન, LIC, DFS અને નરેન્દ્ર મોદીની ઓફિસ પાસે ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા અનેકવાર જવાબ માંગવામાં આવ્યો હોવા છતાં કોઈ જવાબ આપ્યો નહોતો.

ગયા વર્ષે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર “અબજો ડોલરની છેતરપિંડી”નો આરોપ લગાવ્યો હતો. તેમના પર ખોટા અને ગેરમાર્ગે દોરનારા નિવેદનોના આધારે અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરવાનો આરોપ છે. વધુમાં, યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ અદાણી અને તેમના સહયોગીઓ પર સિક્યોરિટીઝ કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે અદાણીએ 2020 થી 2024 દરમિયાન સૌર ઉર્જા કરાર મેળવવા માટે ભારતીય અધિકારીઓને $250 મિલિયનથી વધુની લાંચ આપી હતી. અદાણી ગ્રુપે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે આ મામલો વ્યક્તિઓનો છે, તેમની કંપનીઓનો નહીં.

આ પણ વાંચો: મહેસાણામાં આડા સંબંધની શંકામાં નણંદે ભાભીને ઉકળતા તેલમાં હાથ નખાવ્યા

અદાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લાંબા સમયથી સંબંધ હોવાનો આરોપ છે. અદાણી નરેન્દ્ર મોદી 2001 માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી તેમની સાથે છે. જ્યારે મોદી 2014 માં વડા પ્રધાન પદ માટે ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેમણે અદાણી ગ્રુપના જેટમાં પ્રચાર માટે પ્રવાસ કર્યો હતો. વિપક્ષ અને રાહુલ ગાંધી આ અંગે સતત તેમના પર હુમલો કરી રહ્યા છે.

કોંગ્રેસ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) જેવા વિરોધ પક્ષોએ અદાણીમાં LICના રોકાણની આકરી ટીકા કરી છે. તેઓ કહે છે કે આ ગરીબ અને ગ્રામીણ પરિવારો માટે ફાળવવામાં આવેલા ભંડોળનો દુરુપયોગ છે. નિષ્ણાતો કહે છે કે જો અદાણી ગ્રુપને વધુ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, તો LIC ને ભારે નુકસાન થઈ શકે છે.

એ સ્પષ્ટ છે કે અદાણી ગ્રુપ ભારત સરકાર માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું આ ટેકો દેશના આર્થિક હિતમાં છે કે ફક્ત એક પ્રભાવશાળી ઉદ્યોગપતિને બચાવવાનો પ્રયાસ છે? આ રોકાણના જોખમો અને તેના લાંબા ગાળાના પરિણામો પર ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં સ્કૂલમાં ઘૂસી કાર્યક્રમ કરનાર 40 RSS કાર્યકરોની ધરપકડ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x