“બિહારમાં આવેલી પ્રાચીન નાલંદા યુનિવર્સિટી તેના સમયની હાર્વર્ડ, ઓક્સફર્ડ અને નાસા હતી…” – વિખ્યાત ઇતિહાસકાર વિલિયમ ડેલરીમ્પલે (William Dalrymple) ‘ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ’ (India Today Conclave)માં નાલંદા યુનિવર્સિટી (Nalanda University) વિશે આ શબ્દો કહ્યા હતા. તેમણે કહ્યું કે પ્રખ્યાત ચીની બૌદ્ધ ભિક્ષુ અને વિદ્વાન ઝુઆંગ ઝાંગ જાણતા હતા કે નાલંદા વિશ્વનું સૌથી મોટું શિક્ષણ કેન્દ્ર છે. આ સમય દરમિયાન તેમણે ભારતીય વિચાર, ભાષા અને બૌદ્ધ ધર્મના પ્રભાવ વિશે ઊંડાણપૂર્વક વાત કરી. તેમણે યુનિવર્સિટીઓના આકર્ષક સ્થાપત્ય વિશે પણ વાત કરી અને સમજાવ્યું કે કેવી રીતે વિશ્વભરની યુનિવર્સિટીઓના સ્થાપત્યનો ઇતિહાસ નાલંદા સાથે જોડાયેલો છે.
પ્રખ્યાત લેખક અને ઇતિહાસકાર વિલિયમ ડેલરીમ્પલે ઇન્ડિયા ટુડે કોન્ક્લેવના બીજા દિવસે ભાગ લીધો હતો. તેણે કહ્યું, નાલંદામાં તમે જે પહેલી વસ્તુ જુઓ છો તે યુનિવર્સિટી ક્વાડ યોજના છે. આજે જ્યારે તમે ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ જાઓ છો અને તે સુંદર ઘાસના મેદાનો જુઓ છો, ત્યારે તમે એક એવા વિચારને જોઈ રહ્યા હો છો જેનો જન્મ ભારતમાં થયો હતો. નાલંદામાં પણ આવી જ રચના હતી. જેમાં મધ્યમાં એક ચોરસ, એક ફૂટપાથ અને બે ખૂણા પર વિદ્વાનોના ઓરડાઓ હતા. આ એક ભારતીય ઈનોવેશન છે.
દુનિયાભરમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ
ડેલરીમ્પલે વિશ્વભરમાં બૌદ્ધ ધર્મના પ્રભાવની પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે બૌદ્ધ ધર્મ ભારતમાં ઉદ્ભવ્યો અને ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાયો. વાતચીત દરમિયાન, તેમણે કહ્યું, જો તમે બૌદ્ધ ધર્મના પ્રભાવ પર નજર નાખશો તો તમને તેનું મૂળ લુમ્બિની, બોધગયા અને સારનાથ જેવા સ્થળોએ જોવા મળશે. જ્યાં બુદ્ધે પોતાના ઉપદેશો આપ્યા હતા. બસો-ત્રણસો વર્ષમાં તે પાકિસ્તાન, ગાંધાર, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં ફેલાઈ ગયો. પછી આ ધર્મ ચીન, મોંગોલિયા, કોરિયા અને જાપાન પહોંચ્યો. તે વિયેતનામ, લાઓસ, થાઈલેન્ડ, કંબોડિયા અને ફિલિપાઈન્સ સુધી પહોંચ્યો. આ ભારતીય સોફ્ટ પાવરનો સુવર્ણ યુગ હતો.
“The monastery university of Nalanda (in Bihar) was the Harvard, Oxbridge, NASA of its day ” William Dalrymple (Acclaimed author and historian)
Full Coverage: https://t.co/AjCrpI3Wzp #IndiaTodayConclave25 | @RahulKanwal @DalrympleWill pic.twitter.com/4PnAMeTFQZ
— IndiaToday (@IndiaToday) March 8, 2025
ડેલરીમ્પલે કહ્યું કે ભારતમાંથી માત્ર ધાર્મિક અને દાર્શનિક વિચારો જ નહીં, પણ સંસ્કૃત અને પ્રાકૃત જેવી ભારતીય ભાષાઓ પણ ફેલાઈ છે. આ દરમિયાન તેમણે ભારતના વેપાર મહત્વ વિશે પણ જણાવ્યું અને કહ્યું કે પ્રાચીન સમયમાં ચીન નહીં પણ ભારત વૈશ્વિક વેપારનું કેન્દ્ર હતું. જેના રોમન સામ્રાજ્યથી પશ્ચિમ સુધી મજબૂત વેપાર સંબંધો હતા.
નાલંદા વિદ્યાપીઠનો ઈતિહાસ
નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ તે નિશ્ચિતપણે જાણવા મળતું નથી. 1902માં નાલંદા પાસે થયેલ ઉત્ખનન પરથી જાણવા મળે છે કે ત્યાં મહાન બૌદ્ધ વિદ્યાપીઠ આવેલી હતી. ગુપ્તવંશના રાજાઓ તથા હર્ષવર્ધન પાસેથી આર્થિક સહાય મેળવીને તેનો વિકાસ થયો હતો. પાંચમી સદીથી તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી અને એશિયાના વિવિધ દેશોમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ત્યાં જતા હતા. ભારતમાં આવેલા બે ચીની પ્રવાસીઓ હ્યુએન સાંગ તથા ઇત્સિંગે નાલંદા વિદ્યાપીઠ વિશે વિગતો આપી છે.

ચીની પ્રવાસી યુઆન શુઆંગના જણાવવા મુજબ રાજા શક્રાદિત્યે (કુમારગુપ્ત પહેલો) એક મઠ બાંધીને નાલંદાનો પાયો નાખ્યો. એના પુત્ર બુદ્ધગુપ્તરાજે (સ્કંદગુપ્ત) એમાં ઉમેરો કર્યો અને પૌત્ર તથા ગુપ્તરાજે (પરાગુપ્તે) તે કાર્ય આગળ વધાર્યું. ગુપ્તરાજના પુત્ર બાલાદિત્યરાજે (નરસિંહગુપ્ત, 468-472) અને તેના પુત્ર વજ્રે (કુમારગુપ્ત બીજો) વિહારનું બાંધકામ વિસ્તારી પૂર્ણ કર્યું.
નાલંદા 1.6 કિ.મી. લાંબી અને 0.80 કિમી. પહોળી જગ્યામાં ફેલાયેલી હતી
નાલંદા વિદ્યાપીઠ 1.6 કિમી. લાંબા અને 0.80 કિમી. પહોળા વિસ્તારમાં ફેલાયેલી હતી. તેના મધ્યસ્થ મહાવિદ્યાલયમાં સાત મોટા ખંડો અને ત્રણસો નાના ખંડો હતા. વિહારનાં મકાનો અને સ્તૂપો આયોજનપૂર્વક બંધાયેલાં હતાં. મકાનો ભવ્ય અને બહુમાળી હતાં. આ વિદ્યાપીઠમાં 11 વિહારો, જુદા જુદા સ્તૂપો, મંદિરો તથા વિશાળ માર્ગો મળી આવ્યાં છે. સમગ્ર વિસ્તારમાં ઇમારતો મુખ્યત્વે ઉત્તર-દક્ષિણ પ્રયોજાઈ છે. તેની પૂર્વમાં વિહાર તથા પશ્ચિમે મંદિર તથા સ્તૂપ છે. નાલંદાના વિહારોમાં ખુલ્લા ચોકની ચારેતરફ ઓરડા હતા અને પ્રવેશ માટે નાનો મંડપ હતો. મંડપની સામેની દીવાલે પૂજાસ્થાન હતું. નાલંદામાં 3 નંબરની જગ્યા પરનો સ્તૂપ સૌથી વિશાળ છે. ત્યાં ઊંડાં અને પારદર્શક તળાવો નીલકમલથી શોભાયમાન હતાં. ત્યાંનું શાંત અને પવિત્ર વાતાવરણ વિદ્યાનું પોષક હતું. વિદ્યાપીઠમાં અધ્યાપન માટે વિશાળ ખંડો, ચિંતન માટે યોગગુફાઓ, સરોવરો અને કુંજો હતાં. ‘ધર્મગંજ’ નામે પ્રસિદ્ધ પુસ્તકાલય રત્નસાગર, રત્નોદધિ અને રત્નરંજક નામના ત્રણ ભવ્ય પ્રાસાદોનું બનેલું હતું. તેમાં વિવિધ વિષયોની હજારો હસ્તપ્રતો હતી. રત્નોદધિને નવ માળ હતા.
નાલંદામાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ શેનું અધ્યયન કરવું પડતું?
નાલંદા વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ વ્યાકરણ, ગદ્ય-પદ્ય સાહિત્ય, તર્કશાસ્ત્ર, અભિધર્મકોશ અને જાતકોનું અધ્યયન કરવું પડતું. આટલું પ્રાથમિક જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ, વિદ્યાપીઠમાં પ્રવેશ માટે વિદ્યાર્થી લાયક બનતો હતો. આમ નાલંદા એ ઉચ્ચ અભ્યાસ માટેની વિદ્યાપીઠ હતી. પોતાના પ્રાંત કે દેશમાં વિદ્યાભ્યાસ સમાપ્ત કર્યા બાદ વિદ્યાર્થીઓ આ જગપ્રસિદ્ધ વિદ્યાપીઠમાં અભ્યાસાર્થે આવતા હતા. તે વિદ્યાપીઠમાં ભારત ઉપરાંત, ચીન, જાપાન, મૉંગોલિયા, મધ્ય એશિયા, કોરિયા, જાવા, તિબેટ વગેરે દેશોમાંથી વિદ્યાર્થીઓ વિદ્યાના અભ્યાસાર્થે આવતા હતા. તેમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવતી અને 10 માંથી 2 અથવા 3 ઉમેદવારો ઉત્તીર્ણ થતા. તેમાં ભણાવાતા વિષયોમાં બૌદ્ધ ધર્મની 18 શાખાઓ, વેદો, હેતુવિદ્યા, શબ્દવિદ્યા, વ્યાકરણ, સાંખ્ય, તર્કશાસ્ત્ર, ચિકિત્સાવિદ્યા, ગણિતશાસ્ત્ર, ન્યાય, યોગ, સાહિત્ય, જ્યોતિષ વગેરેનો સમાવેશ થતો હતો. એશિયાનું તે મહાન સાંસ્કૃતિક કેન્દ્ર હતું અને બૌદ્ધ ધર્મનું જ્ઞાન ત્યાંથી અન્ય દેશોમાં ફેલાયું હતું.
5 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા: હ્યુએન સાંગ
આઠસો વર્ષ પર્યંત આ વિદ્યાપીઠે ભારત તથા એશિયાના અનેક દેશોની વિવિધ પ્રજાઓનો માનસિક વિકાસ સાધ્યો હતો. એ માત્ર ભારતની જ નહિ, પરંતુ સમસ્ત એશિયાની તત્કાલીન સુપ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી. ઈસવી સનની સાતમી સદીમાં એ સમસ્ત જગતમાં અદ્વિતીય આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. વિદ્યાર્થીઓને અધ્યાપન, આવાસ, ભોજન, ઔષધ વગેરે સુવિધા વિના મૂલ્યે મળતી. વિદ્યાપીઠને રાજાઓએ દાનમાં આપેલાં અનેક ગામોની આવકમાંથી બધું ખર્ચ મળી જતું. પ્રસિદ્ધ ચીની પ્રવાસી હ્યુએન સાંગ સાતમી સદીમાં ત્યાં 5 વર્ષ હતા ત્યારે ત્યાં 5,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. તેમણે વિદ્યાપીઠનાં મકાનો, પ્રાકૃતિક સૌન્દર્ય વગેરેનું સરસ વર્ણન કર્યું છે. ત્યારબાદ ચીની પ્રવાસી ઇત્સિંગ (ઈ. સ. 673) તે વિદ્યાપીઠમાં રહ્યા હતા. ત્યાંની જલઘટિકાનું તેમણે વિસ્તૃત વર્ણન કર્યું છે.
આગમાં અનેક વિદ્યાઓની હજારો હસ્તપ્રતો નાશ પામી
આ વિદ્યાપીઠમાં ધર્મપાલ, ચક્રપાલ, ગુણમતિ, સ્થિરમતિ, પ્રભામિત્ર, જ્ઞાનમિત્ર, શીલભદ્ર જેવા પ્રસિદ્ધ વિદ્વાનો અધ્યાપન કરતા. વિદ્યાપીઠનું સંચાલન એક મુખ્ય ભિક્ષુ, વિદ્યાવિષયક તથા વ્યવસ્થાવિષયક સમિતિઓની મદદથી કરતા હતા. તિબેટમાં લામાવાદના સ્થાપક પદ્મસંભવ નાલંદા અભ્યાસ કરવા ગયા હતા. નવમી સદીમાં નાલંદાના 12 ભિક્ષુઓ, પ્રથમ 7 તિબેટી ભિક્ષુઓને સ્થાપિત કરવા તિબેટ ગયા હતા. બંગાળના પાલ વંશના રાજાઓ નાલંદા વિદ્યાપીઠને ઘણી મદદ કરતા. બારમી અને તેરમી સદીઓમાં થયેલા આક્રમણોમાં નાલંદા વિદ્યાપીઠની ઇમારતોનો આગ લગાડીને નાશ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક વિદ્યાઓની હજારો હસ્તપ્રતોનો તેમાં નાશ થયો. ત્યાંના અધ્યાપકો, વિદ્યાર્થીઓ વગેરેને મારી નાખવામાં આવ્યા. કેટલાક તે દરમિયાન ત્યાંથી નાસી ગયા હતા.
આ પણ વાંચો: મહાબોધિ મુક્તિ આંદોલન ગુજરાતમાં તીવ્ર બન્યું