મિલ મજૂર Naran Vora : દલિત અસ્મિતાની અનોખી મિસાલ

તદ્દન ભ્રામક સમરસતા પાછળ લોકો ગાંડાતૂર છે તેવા સંજોગોમાં આપણા દુ:ખનું જોર માપવું વિકટ છે. એ સ્થિતિમાં મિલમજૂર Naran Vora દલિત આંદોલનકારીઓની એક અનોખી મિસાલ છે.
Naran Vora with Valji Patel

સંગીતા પટેલ
1961ના ગુજરાત સ્થાપના દિને અમદાવાદના સેંકડો શ્રમિકો વાદળી ટોપી પહેરી વાદળી વાવટો પકડી સવારથી જ ઉમટેલા વિધાનસભા ઘેરવા. તત્કાલીન વિધાનસભા અમદાવાદની મધ્યે હાલની સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હતી. ઘેરવા પાછળ કારણ દલિતોએ છેડેલું જમીન આંદોલન હતું. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (RPI)એ 1956માં શરૂ કરેલું જમીન આંદોલન 1966 સુધી તબક્કાવાર ચાલેલું. ડો. બાબાસાહેબ આંબેડકરે તેમના ગ્રંથ “રાજ્ય અને લધુમતીઓ”માં જમીનોના રાષ્ટ્રીયકરણનો મુદ્દો ઉઠાવેલો અને એમાંથી પ્રેરણા લઇને જમીન સત્યાગ્રહ શરૂ થયેલો. મેધાવી આંબેડકરવાદી આનંદ તેલતુંબડે તેમના પુસ્તક “Dalits Past, Present and Future”માં  નોંધે છે કે, 1938માં ઔદ્યોગિક કામદારોની હડતાળ પછી પહેલી વાર 1959માં સામ્યવાદનો લાલ અને આંબેડકરવાદનો વાદળી એમ બેઉ ઝંડા એક સાથે લહેરાતા જોવા મળેલા. મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકાથી શરૂં થયેલું આ આંદોલન રાષ્ટ્રવ્યાપી બનેલું. મહારાષ્ટ્રની ઘણીબધી અસરો ઝીલતા ગુજરાતના દલિતોએ આ આંદોલનમાં જરાય પાછી પાની કરી ન હતી. આ જુવાળ વચ્ચે નેપાળી જેવી ઝીણી આંખો, વાન ઉજળો અને કદકાઠીએ બિલકુલ પહેલનવાનની યાદ અપાવે તેવું એક વ્યક્તિત્વ હતું, નારણ વોરા(Naran Vora).

બાબસાહેબના ભગીરથ પ્રયત્નોથી અસ્પૃશ્યતાની નાગચુડમાંથી માંડમાંડ બહાર નીકળેલા દલિત સમાજ માટે આંબેડકર પારસમણિ જેવા હતા. એટલે જ તેમની વિચારધારાને વરેલા પક્ષ RPI માં દલિતોએ પૂરેપૂરો વિશ્વાસ મૂકેલો. એ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં RPIના 6 કોર્પોરેટર ચુંટાઇ આવેલા. તેમાંના એક મોહનલાલ આંબેડકરવાદી તો અમારા ગામ દરિયાપુરના હતા. કામદારોએ આ વાતાવરણની ખરી અસર ઝીલેલી. કાપડ મિલના કામદારો ખાસ તો અમદાવાદના આંદોલનોની તાકાત હતા. નારણ વોરા આવા કામદારોનો બળૂકો અવાજ હતા.  1959થી 1966 સુધી ચાલેલા જમીન આંદોલનમાં આખા દેશમાંથી હજારો લોકોએ ગિરફ્તારી વહોરેલી. એની ચરમસીમા તો એ હતી કે  સ્ત્રીઓએ ય તેમના બાળકો સાથે જેલની હવા ખાધેલી. નારણ વોરા ય આવા જેલવાસીઓમાંના એક હતા.

આ પણ વાંચોઃ એક સત્યાગ્રહ, જે માનવાધિકાર માટે લડાયો છતાં યાદ નથી કરાતો

નારણભાઈના મોટાભાઈ ડાહ્યાભાઈ યુવાન વયે જ અમદાવાદ છોડીને દિલ્હીમાં ફીટર માસ્ટર તરીકે સ્થાયી થયેલા. ફીટર માસ્ટરના કૌશલ પર જ તેમણે એક દીકરીને દિલ્હીમાં ડોક્ટર બનાવી અને બીજી દીકરી હાલ અમદાવાદના જાહેર જીવનમાં વ્યસ્ત છે. ડાહ્યાભાઈ ઘણીવાર નાનાભાઈ નારણને દિલ્હી સ્થાયી થવાની સલાહ આપતા. પણ ગુજરાતમાં વાદળી ઝંડો પકડીને બેઠેલા નારણભાઈ એમની વાત સાંભળી ન સાંભળી કરી દેતા.
1970 થતાં થતાં RPIના વળતા પાણી થયા. આવા શૂન્યાવકાશમાં અમરિકામાં વર્ગભેદ સામે સંઘર્ષ કરતા માર્કસવાદી લેનિનવાદી સંગઠન “બ્લેક પેંથરના” ઉદયનો પડઘો ભારતમાં સંભળાયો અને મહારાષ્ટ્રમાં “દલિત પેંથરની” સ્થાપના થઈ. મહારાષ્ટ્રના પડોશી રાજ્ય ગુજરાતના દલિતો ય આમાં સાથો સાથ જ રહ્યા અને ગુજરાતમાં “દલિત પેંથરના” મંડાણ થયા. વાલજીભાઈ પટેલ, નગીનભાઈ પરમાર, બકુલ વકીલ અને RPIથી વિખૂટા પડેલા બંધુઓ રમેશચંદ્ર પરમાર અને નારણ વોરાથી ગુજરાતમાં “દલિત પેંથર”નું અવતરણ થયું. દસક્રોઇ તાલુકાના જેતલપુર ગામે શકરા નામના યુવાનને ગ્રામ પંચાયતની કચેરીમાં જીવતો સળગાવી દેવાનો બનાવ દલિત પેંથર્સને એવો દઝાડી ગયેલો કે તેમણે રાતદિવસ એક કરી ગુજરાતનો સુષુપ્ત લાવા સક્રિય કરેલો. ગુજરાત ભરના લોકોને જેતલપુર ગામની ભાગોળે ભેગા કરીને પ્રચંડ દલિતશક્તિનું પ્રદર્શન કર્યું અને ગામના ઉજળિયાતોની ઉંઘ હરામ કરેલી. વાલજીભાઈ પટેલ લેખિત “જલતું જેતલપુર”માં આખી ઘટના બયાન છે.

આ પણ વાંચોઃ freebies : મી લૉર્ડ, તમારો તર્ક ખોટો છે

Naran Vora and Valjibhai Patel
(જમણે) યુવાન નારણભાઈ વોરા અને વાલજીભાઈ પટેલ (ફોટો સાભાર- ચંદુ મહેરિયા)

ગુજરાતમાં દલિતો પર થતા અત્યાચાર સામે પેંથરોએ ધરાર યુદ્ધ છેડેલું. મિલ મજૂર કે કડિયાકામ કરતા કોન્ટ્રાક્ટરથી માંડી સરકારી કર્મચારીઓ, શિક્ષકો આ યુદ્ધના સેનાનીઓ હતા. પત્રિકા, સામયિક, જાહેરસભા,  દેખાવો તેમના હથિયાર હતાં. નોકરી છોડી આંદોલન કરવું આ યોદ્ધાઓને પાલવે તેમ ન હતું. તેમ છતાં, નોકરીની પરવા કર્યા વગર પ્રસ્થાપિત વ્યવસ્થા સામે સરકારી કર્મચારીઓ ય જંપલાવેલું. શાહપુરના ગણપતભાઈ રાઠોડ પેંથર મિત્રોથી રાત્રે 12 વાગ્યે છૂટા પડી સાયકલ પર સવાર થઈ મિલની છેલ્લી પાળી ભરવા જતા એ મને યાદ છે. ગામડાઓમાં દલિત સ્ત્રીઓ પર થતા બળાત્કારની વાત ઘણી સલૂકાઇથી સ્ત્રી ગરિમા સચવાય તે રીતે કરતા નારણભાઈને મેં સાંભળ્યા છે. બુલંદ અવાજે વાત કરતા આ મેદાની વક્તાએ સામાન્ય માણસને ગળે ઉતરે તેવા શબ્દો શોધવા પડ્યા ન હતા.

અમારા ઘરના એક ઓરડામાં દરરોજ ભરાતી મીંટીંગ પૂરી કરી ઘરે જતી વખતે નારણભાઈ એક વાક્ય અચૂક બોલતા, “સંગીતા અમારા પગલાં સાફ કરી નાખજે હવે.” ઘરને સ્વચ્છ રાખવાની મારી ટેવ હતી. અમદુપુરા વિસ્તારની રાયચંદ મેઘરજની ચાલીનું તેમનું ઘર ય તેઓ પરિવારજનો પાસે સુઘડ રખાવતા. નોકરી પૂરી કરી મિલ છોડતાં પહેલા પગની એડી પત્થર સાથે ઘસી ચોખ્ખી કરવાનું તેઓ ચૂકતા નહિ. એકદમ સુઘડ દેખાતા એ મિલમજૂર દલિત પોતે સ્વચ્છતા ઝુંબેશનું પ્રતીક હતા. આખો દિવસ પહેરણ અને ચડ્ડી પહેરી મિલની થ્રાસલ ખાતાની નોકરી કરતા પણ સાંજ પડ્યે ખાદીના ઇસ્ત્રીબંધ સફેદ કપડાં પહેરી પેંથર્સ સભાઓ ગજવતા નારણભાઈને આંદોલનની ચિંતા હૈયે હતી.

આ પણ વાંચોઃ ‘દીના, તને 14મી એપ્રિલની જાહેર રજા અને નોકરી બંને અપાવીશ..’

1981ના અનામત વિરોધી આંદોલનથી દલિત સમાજ બહાવરો બની ગયેલો તે વખતે પણ નારણભાઈએ ગિરફ્તારી વહોરેલી. તેમના પરિવારમાં આજદિન સુધી કોઇએ  અનામતના ફળ ચાખ્યા નથી પણ, તેનો જરાય રંજ રાખ્યા વગર દલિત આંદોલનના આ કડખેદે પાછું વાળી જોયું ન હતું. તેમના મિલમજૂર બનેવી પણ આ રમખાણમાં પોલીસ ગોળીબારનો ભોગ બન્યા હતા. એમની ખાંભીઓ હજી ડૂસકાં ભરે છે.

એક સંસદસભ્યએ પપ્પાને ઘણીવાર કહેલું “વાલજીભાઈ અમને નારણ વોરા આપી દો.” નારણભાઈ આવા પ્રલોભન સામે ડગે એવા ન હતા. એકવાર રાજ્ય કક્ષાના તત્કાલીન ગૃહ મંત્રી યોગેન્દ્ર મકવાણા તેમને મળવા મિલમાં ગયેલા મોટી ગાડી લઇને. મિલ માલિકને કૌતુક થયેલું આ નારણ વોરા કોણ છે જેને, મળવા આટલા મોટા માણસ આવ્યા છે? આવા દબદબાથી ચલિત થાય તેવા તેઓ નહતા.

નારણભાઈ કબડ્ડીના ય પાકા ખેલાડી હતા. વાલ્મિકી સમાજનો કબડ્ડીનો એક ખેલાડી મૃત્યુ પામ્યો. આકાશવાણીએ તેના મૃત્યુની નોંધ લેતા સમાચારમાં જણાવેલું કે, “મૃતક ખેલાડી બીજો નારણ વોરા હતો.” આ સમાચાર વાયુ વેગે જરા જુદી રીતે ગયા. લોકોએ એવું અર્થઘટન કર્યું કે નારણ વોરા મૃત્યુ પામ્યા. અને પછી તો સવારથી લોકોની ફોજ એમના ઘર આંગણે ઊભરાતી ગઈ. પરિવાર આભું બની ગયેલું. નારણભાઈનો ફોન આવતા પપ્પા તરત પહોંચી ગયેલા. બંને પેંથરો માટે એ આખો દિવસ લોક મેળા જેવો રહ્યો. નારણભાઈએ તેમનો પોતાનો સાક્ષાત્કાર તો કરાવ્યો જ, સાથોસાથ જીવતા જીવ હિતેચ્છુઓની હમદર્દીનો લ્હાવો પણ લીધો .

આ પણ વાંચોઃ અમોલ પાલેકરને ડૉ.આંબેડકર અને નામદેવ ઢસાળ કેમ ગમે છે?

મહારાષ્ટ્રની મરાઠાવાડા યુનિવર્સિટીનું “ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી” નામાભિધાન તો છેક 1994માં થયું પણ તેના નામાન્તરનું આંદોલન શરૂં થયેલું 1974માં. મહારાષ્ટ્રમાં દલિત વિદ્યાર્થીઓ પર પેંથર્સની અસર મોટી હતી. તે વખતે દલિતોની પહેલી-બીજી પેઢી કોલેજ સુધી પહોંચેલી. કટોકટીની જાહેરાત, જયપ્રકાશ નારાયણનો સંપૂર્ણ ક્રાન્તિનો નારો, વિનોબાભાવેનું ભૂદાન આંદોલન, નક્સલવાદનો પ્રારંભ આવા તમામ પરિબળો વચ્ચે મરાઠાવાડા આંદોલન વેગે ચડેલું. સેંકડો સ્ત્રી પુરૂષોના લોહી રેડાયા. આ હવાની લહેર ગુજરાત આવી. ગુજરાત દલિત પેંથર્સે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી શરદ પવારનું પુતળું બાળી દેખાવો કરવાનો કાર્યક્રમ ઘડેલો. પોલીસને તેની જાણ થતા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો. તે વખતે અમદાવાદના શાહપુર વિસ્તારમા રહેતા ડાહ્યાભાઈ શિકારી આબેહૂબ પુતળા બનાવતા. પોલીસ તેમના ઘરે પણ ગોઠવાઇ ગઈ. ડાહ્યાભાઈએ ખાનગી રાહે પૂતળું  બનાવી તો દીધું પણ, ત્યાંથી તેને ખસેડવાનું કામ ભગીરથ હતું. નારણભાઈની ચાલીના નાકે દૂધની દુકાન હતી. આ દુકાને દૂધની હેરફેર કરતી ટ્રક આ પેંથરોને હાથવગી હતી. દૂધના કેન ભરેલી આ ટ્રક શાહપુર લઇ ગયા અને પોલીસની આંખમાં ધૂળ નાખી પુતળું ટ્રકમાં સંતાડીને  જાહેર સ્થળે લઇ ગયા અને કાર્યક્રમને ધાર્યો અંજામ આપી સરકારને ચોંકાવી દીધી.

સૌરાષ્ટ્ર વિસ્તારના હળવદ તાલુકાના રણમલપુર ગામે ઉજળિયાતોએ દલિત મહિલા જેઠીબેનની જીભ કાપી નાખેલી. ગુજરાતના અખબારોનું મીંઢું મૌન હતું. દલિત પેંથર્સે અખબારની ભૂમિકા ભજવવાની હતી. આ જ દિવસોમાં સમાજ કલ્યાણ મંત્રી ભીમાભાઈ રાઠોડ સરસપુર, અમદાવાદના આંબેડકર હોલ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. સરકારની સામે પડેલા પેંથરોની આવા કાર્યક્રમોમાં અવરજવર સરળ ન હતી.  ચોકીદારની મદદથી કાર્યક્રમના આગલા દિવસે નારણભાઈ હોલના મેકઅપ રૂમમાં જતા રહ્યા. રાત આખી મેકઅપ રૂમમાં જાગતા જ પસાર કરેલી. બીજા દિવસે ભીમાભાઈએ સ્ટેજ પર આવીને પ્રવચન શરૂં કર્યું ત્યાં જ નારણભાઈએ સ્ટેજ પર જઇ તરાપ મારી ભીમાભાઈના હાથમાંથી માઇક છીનવી લીધું. હોલમાં હાજર દલિત યુવાનોએ સૂત્રોચ્ચાર કરી ભીમાભાઈ પર જૂતાનો વરસાદ વરસાવેલો. આવી તો ઘણી તવારીખ મૂકતા ગયા નારણભાઈ. આંગળીના ટેરવે ચાલતા એ આંદોલન નહતા. છાપા તો તેની નોંધ જ લેતા ન હતા. સમાજ ને ય તેના હિતની પ્રતીતી કરાવવાની હતી. પ્રસ્થાપિત વ્યવસ્થાઓ સામે બાથ ભીડવાની હતી. આ બધું જરાય સરળ નહોતું. કોઇપણ સંસાધનો વગર, માત્ર પ્રતિબદ્ધતાના જોરે સંઘર્ષ જ કરવાનો હતો.

આ પણ વાંચોઃ આઝાદી પછી પણ ભારત સરકાર દલિતોને પાસપોર્ટ કેમ નહોતી આપતી?

1981થી ગુજરાતના કાપડ ઉદ્યોગના માનચેસ્ટર કહેવાતા અમદાવાદની મિલો ટપોટપ બંધ પડવા માંડી. મિલમજૂરો બેકાર થવા માંડ્યા. તેમાં આ પેંથર યોદ્ધો ય પિસાયો. તેમની દીકરીઓ કરૂણા અને ભારતીને પરણાવી દઇ ચૂલાચોકાની કહેવાતી સુરક્ષિત જીંદગીની વ્યવસ્થા કરી દીધી પણ, દીકરાઓ અર્ધ બેરોજગારીમાં મુકાઇ ગયેલા. આર્થિક કારમી પરિસ્થિતિ સામે ઝીંક ઝીલવી તેમના માટે અઘરી બની. 50 વર્ષની ઉંમરે હ્રદય રોગના પહેલા હુમલામાં જ ચિર નિંદ્રામાં પોઢી ગયા. તેમના પત્ની સેમીબેનની જેમ જ તેમની પુત્રવધૂઓ પણ ભર યુવાનીમાં વિધવા થઇ. છેલ્લી અવસ્થામાં જોયેલા સેમીબેનની ઉદાસ આંખો જિંદગી પૂરી કરવાની રાહ જોતી હતી.

અમદુપુરા રોડ પર યોજાયેલી નારણભાઈની શોકસભામાં આખો રોડ દલિતો વંચિતોથી ઉભરાયેલો. આકાશવાણીમાં ફરજ બજાવતા ભરત ચૌહાણે નારણભાઈને શોકાંજલિ આપતા “નવ કરશો કોઇ શોક રસિકડાં” ગીત રજૂ કરાવેલું. જાહેર રોડ પર હકડેઠઠ ભરાયેલા લોકોના ઉદાસ વદને શાંતિથી એ ગીત સાંભળેલું. વાતાવરણ એટલું ગમગીન થઇ ગયેલું કે નર્મદે એ ગીત નારણભાઈ માટે જ લખ્યું હોય એવું લાગેલું. ચંદુ મહેરિયાએ “આપણા દુ:ખનું કેટલું જોર” શીર્ષક હેઠળ શ્રદ્ધાંજલિ આપેલી. ‘નયામાર્ગ’ સામયિકમાં એ છપાયેલી. એ વાતને આજે સાડત્રીસ વર્ષ થઇ ગયા. તદ્દન ભ્રામક સમરસતા પાછળ લોકો ગાંડાતૂર છે તેવા સંજોગોમાં આપણા દુ:ખનું જોર માપવું વિકટ છે ત્યારે, મિલમજૂર નારણભાઈ દલિત આંદોલનકારીઓની એક મિસાલ છે.

આ પણ વાંચોઃ કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું

 

3.5 6 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Dineshbhai H. Chavda
Dineshbhai H. Chavda
3 months ago

🙏લડાયક યોદ્ધા આદરણીય નારણભાઇ વોરા સાહેબને વિનમ્ર શ્રદ્ધાંજલિ 🙏🙏
🌹લડાયક યોદ્ધા આદરણીય શ્રી વાલજીભાઇ પટેલ સાહેબ આજે પણ સરકાર સામે કાયદાકીય લડત ચલાવી રહ્યાં છે. તેમની સમાજ પ્રત્યેની લાગણી અને જુસ્સાને સલામ 👍👍
🌹1981 માં ધો. 10 માં હતો. 1985..87..ના આંદોલનો માં જોડાયો… 1990 થી ડૉ. બાબાસાહેબ આંબેડકર સાહેબની વિચારધારાને ફેલાવવા… ડૉ. આંબેડકર દલિત પરિષદ” માં પ્રદેશ પ્રમુખશ્રી ભાનુભાઇ પરમાર (નિધરાડ)… શ્રી જયંતીભાઈ ઉસ્તાદ (સરસપુર).. સાથે.. આજે પણ જોડાયેલો છું… અમારી સંસ્થાના ઘણાં કાર્યક્રમોમાં આદરણીય શ્રી વાલજીભાઇ પટેલ સાહેબ અને શ્રી રમેશચંદ્ર પરમાર સાહેબ… શ્રી નીતિનભાઈ ગુર્જર સાહેબ અને શ્રી જયંતિ ઉસ્તાદ સાહેબને અમે મહેમાન તરીકે બોલાવેલા છે 🙏
જય ભીમ 🙏દિનેશ એચ. ચાવડા, Mo. 9925461445🙏🎉🎉🥰

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x