મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના સત્તાધારી ભાજપ તરફના વલણ મુદ્દે હવે વિપક્ષ તેમની વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. હાલ સંસદના ચાલુ બજેટ સત્રના બીજા તબક્કામાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. વિરોધ પક્ષો હવે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટેની મક્કમ તૈયારી કરી રહ્યા છે.
ભારતીય બંધારણીય માળખામાં મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ અત્યંત સ્વાયત્ત અને સુરક્ષિત માનવામાં આવે છે, તેથી તેમને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા પણ તેટલી જ જટિલ છે. બંધારણની જોગવાઈઓ મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનરને માત્ર તે જ સંસદીય મહાભિયોગ પ્રક્રિયા દ્વારા પદભ્રષ્ટ કરી શકાય છે, જે પ્રક્રિયાનો ઉપયોગ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા માટે કરવામાં આવે છે. આ હિલચાલ ભારતના લોકશાહી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક સમાન સાબિત થઈ શકે તેમ છે.

આ પણ વાંચો: વિપક્ષો શા માટે ચૂંટણી પંચને ભાજપનો 12મો ખેલાડી ગણાવે છે?
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર સદનમાં ચર્ચા શરૂ થાય તે પૂર્વે જ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા બ્લોક’ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગની માંગણી કરતી સત્તાવાર નોટિસ દાખલ કરવાની યોજના ઘડવામાં આવી છે. આ વ્યૂહરચના પાછળ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) અત્યંત સક્રિય ભૂમિકા ભજવી રહી છે. પક્ષના એક વરિષ્ઠ સાંસદના જણાવ્યા મુજબ, આ કોઈ એક રાજકીય પક્ષનો એકપક્ષીય નિર્ણય નથી, પરંતુ વિરોધ પક્ષોનો એક સામૂહિક પ્રયાસ છે.
આ પ્રસ્તાવના મુસદ્દાને તૈયાર કરવામાં અને તમામ પક્ષોની સહમતી સાધવામાં અંદાજે બે અઠવાડિયા જેટલો લાંબો સમય લાગ્યો છે. આ નોટિસ એવા સમયે લાવવામાં આવી રહી છે જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા (SIR) ના વિરોધમાં 6 માર્ચથી કોલકાતામાં ધરણા પર બેઠા છે. અગાઉ દિલ્હીની મુલાકાત દરમિયાન પણ મમતા બેનર્જીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે તેમનો પક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના કોઈપણ મહાભિયોગ પ્રસ્તાવને પૂર્ણ તાકાત સાથે સમર્થન આપશે.
આ પણ વાંચો: ધંધુકામાં પહેલીવાર દલિત મહિલાઓએ સમાજનું બંધારણ ઘડ્યું

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023 મુજબ, CEC ને હટાવવાના આધારો સુપ્રીમ કોર્ટના જજ સમાન જ હોવા જોઈએ. ન્યાયાધીશ તપાસ અધિનિયમ, 1968 માં નિર્ધારિત પ્રક્રિયા મુજબ, જો આ નોટિસ લોકસભામાં રજૂ કરવામાં આવે, તો તેના પર ગૃહના ઓછામાં ઓછા 100 સભ્યોની સહી હોવી અનિવાર્ય છે. બીજી તરફ, જો આ પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે, તો તેના માટે ઓછામાં ઓછા 50 સાંસદોના હસ્તાક્ષરની જરૂર પડે છે. ત્યારબાદ સંબંધિત ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિ પાસે એ સત્તા રહેલી છે કે તેઓ આ પ્રસ્તાવને સ્વીકારે અથવા નકારે. જો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે, તો ત્રણ સભ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવે છે, જે આરોપોની ગંભીરતા તપાસે છે.
આ પણ વાંચો: વોટ ચોરીમાં દલિત-OBC મતોને ટાર્ગેટ કરાય છેઃ Rahul Gandhi
વિરોધ પક્ષો દ્વારા જ્ઞાનેશ કુમાર પર અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ઓગસ્ટ 2025 માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્ઞાનેશ કુમારે ‘વોટ ચોરી’ ના ગંભીર આરોપોને ફગાવી દીધા હતા અને તેને ‘જનતાને ગેરમાર્ગે દોરવાનો’ પ્રયાસ ગણાવ્યો હતો. વિપક્ષી નેતાઓ માને છે કે તેમનું આ નિવેદન પક્ષપાતી હતું અને બંધારણના રક્ષક તરીકેની તેમની જવાબદારીનું અપમાન હતું.
લોકસભામાં હાલમાં અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ પણ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ અપાઈ છે, જેમાં આરોપ લગાવાયો છે કે તેઓ સદનની કાર્યવાહી પક્ષપાતી રીતે ચલાવે છે. સોમવારે પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે વિપક્ષી દળોના પ્રચંડ હોબાળાને કારણે આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકી નહોતી, પરંતુ હવે વિપક્ષ આક્રમક મૂડમાં છે. બજેટ સત્રના આગામી દિવસોમાં આ બંને પ્રસ્તાવ પરની કાર્યવાહી ભારતીય રાજનીતિની દિશા અને દશા નક્કી કરશે.
આ પણ વાંચો: ‘તેઓ ચૂંટણી કમિશનર નહીં, મુસ્લિમ કમિશનર હતા’











