ગુજરાત સહિત દેશભરમાં કોન્ટ્રાક્ટર પદ્ધતિ લાગુ કરીને એસસી, એસટી, ઓબીસીની અનામતને ખતમ કરી દેવામાં આવી રહી છે. આવો જ વધુ એક કિસ્સો નવી બનેલી નડિયાદ મહાનગરપાલિકામાં સામે આવ્યો છે. જ્યાં નડિયાદ કોર્પોરેશનમાં કામ કરતા 180 સફાઈકર્મીઓ સહિત અન્ય મહેકમી લોકોને એજન્સી મારફતે આઉટસોર્સિંગમાં ફેરવી દેવામાં આવતા સફાઈકર્મીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. સોમવારે કોર્પોરેશનના અંદાજે 180 સફાઈકર્મીઓએ આ બાબતે વિરોધ નોંધાવી નડિયાદ મ્યુનિ. કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી અને આજે પણ આ વિરોધ યથાવત રહ્યો હતો. આજે સફાઈ કર્મીઓની સાથે ડ્રાઈવર, વોટર્સવર્કસના કર્મચારીઓ પણ જોડાયા છે અને કોર્પોરેશનના વહીવટદારને આવદેનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે.
આઉટસોર્સિંગ સામે કલેક્ટર, વહીવટદારને આવેદનપત્ર આપ્યું
ખેડા જિલ્લા શ્રમિક સેવા સંઘના નેજા હેઠળ આજે મંગળવારે મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોએ જિલ્લા કલેકટર અને કોર્પોરેશનના વહીવટદારને ઉલ્લેખી અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, નડિયાદ મહાનગરપાલીકામાં જયારે નડિયાદ નગરપાલીકા હતી તે સમયમાં વર્ષ 2014માં પાર્ટ ટાઈમ/ફુલ ટાઈમ સફાઈ કામદાર, ડ્રાઈવર અને વોટરવર્કસના કામદારોના ઈન્ટરવ્યુ લઈ તેઓને આ વર્ષમાં નિમણૂંક આપવામાં આવી હતી અને ત્યારથી આ તમામ કામદારો સતત એકધારી કોઈપણ જાતની ટુટ પડયા વિનાની પોતાની ફરજ અદા કરતા આવેલા છે.
આ પણ વાંચો: RSS ના ચામૂ કૃષ્ણ શાસ્ત્રીની લાયકાત કેમ છુપાવાઈ રહી છે?
દરેક કામદારે 240 દિવસ ઉપરાંત કામગીરી કરેલ છે. આથી આવા કામદારોને કાયમી કરી કાયમી કામદારોને મળતા લાભ આપવા ન આપવા પડે તેથી હાલમાં નડિયાદ મહાનગરપાલીકા ધ્વારા કોઈપણ જાતની ફેરફાર અંગેની નોટીસ કે જાણ કર્યા વીના આ તમામ કામદારોને કોન્ટ્રાકટ એજન્સીમાં તબદીલ કરવાની કામગીરી હાથ ધરી છે. નડિયાદ મહાનગરપાલીકા દ્વારા પહેલી જૂનથી આ કાર્યવાહી કરી છે. જેને લઇને આ તમામ કર્મચારીઓના ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મનપાનું કૃત્ય ગેરકાયદે અને ગેરવ્યાજબી: ગિરીશ સોલંકી
ખેડા જિલ્લા શ્રમિક સેવા સંઘના પ્રમુખ ગિરીશ સોલંકીએ જણાવ્યું હતું કે, “180 જેટલા સફાઈકર્મચારીઓને આઉટસોર્સિગમાં ફેરવી દેવાતા વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે બીજા દિવસે આ બાબતે આ વિરોધમાં સફાઈ કર્મીઓની સાથે ડ્રાઈવર, વોટર્સવર્કસના કર્મચારીઓ પણ જોડાયા છે અને કોર્પોરેશનના વહીવટીદારને રજૂઆત કરી છે. આ તમામ કામદારોની નોકરીની શરતોમાં ફેરફાર કરેલ હોય નડિયાદ મહાનગરપાલિકાનું આ કૃત્ય ગેરકાયદેસર અને ગેરવ્યાજબી હોય સદર કામદારોને તેઓની મૂળ જગ્યાએ પરત લેવાની કાર્યવાહી કરવી જોઈએ. જો એમ નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર રીતે આંદોલન થશે.”
આ પણ વાંચો: બોગસ ST પ્રમાણપત્ર મામલે લક્ષ્મી કટારિયા સામે વેરાવળમાં FIR