ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા ડૉ. તુષાર ચૌધરીએ આખરે તેમનું નામ લઈને જાતિવાદી નિવેદન કરનાર પત્રકાર જગદીશ મહેતા અને તે નિવેદનને પ્રસારિત કરવા બદલ નિર્ભય ન્યૂઝ ચેનલ પર એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે તાજેતરમાં નિયુક્ત થયેલા ડૉ. તુષાર ચૌધરી સામે નિર્ભય ન્યૂઝ ચેનલ પર કરવામાં આવેલું આદિવાસી સમાજ વિરુદ્ધનું એક નિવેદન પત્રકાર જગદીશ મહેતાને ભારે પડી ગયું છે. ચેનલની એક ચર્ચા દરમિયાન જગદીશ મહેતાએ આદિવાસી સમાજ અને ડો.તુષાર ચૌધરીનું અપમાન કરતું નિવેદન કર્યું હતું. આ મામલે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો.તુષાર ચૌધરીએ જગદીશ મહેતા અને નિર્ભય ન્યૂઝ ચેનલના એન્કર ગોપી ઘાંઘર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.

તુષાર ચૌધરીએ શું કહ્યું?
આ મામલે ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે, “આજથી બે દિવસ પહેલા નિર્ભય ન્યૂઝ ચેનલ ઉપર એક ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો હતો. જેમાં એંકર ગોપી ઘાંઘર ઇન્ટરવ્યુ લઇ રહ્યા હતા અને તેમાં રાજકોટના પત્રકાર જગદીશ મહેતાએ આદિવાસી સમાજ અને મારા વિશે જે ટિપ્પણી કરી હતી, તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. મારું નામ લઈને તેમણે કહ્યું હતું કે, તે કોઈ પ્રકારે આદિવાસી લગતા નથી. આદિવાસી તો કાળા હોય, આદિવાસીના પગમાં ચંપલ ન હોય, આદિવાસી તો તીર કામઠુ લઇને જંગલમાં રહે અને આદિવાસી તો વન્ય પ્રાણીઓ જોડે ધમાલ મસ્તી કરતા હોય છે. આવા કોઈ લક્ષણો તુષાર ચૌધરીમાં દેખાતા નથી. મારા માટે જે શબ્દો વાપર્યા જેના લીધે સમગ્ર આદિવાસી સમાજમાં પણ રોષની લાગણી ઉભી થાય છે. આથી અમે હવે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.”
મામલો શું હતો?
ગુજરાતના ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ નિર્ભય ન્યૂઝ(Nirbhay News) પર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની નિમણૂંકને લઈને ચર્ચા દરમિયાન પત્રકાર જગદીશ મહેતાએ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીને ટાર્ગેટ કરવા જતાં આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદન કર્યું હતું. જગદીશ મહેતાએ ખેડબ્રહ્માના ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિમાયેલા ડૉ. તુષાર ચૌધરી વિશે કહ્યું હતું કે, “અમરસિંહ ચૌધરીના દીકરા તુષાર ચૌધરીમાં ક્યાંય આદિવાસીપણું લાગે છે ખરું? કોઈ એન્ગલથી આદિવાસી દેખાય છે? તમે એનાં મકાન જુઓ, એની પ્રોપર્ટી જુઓ, રહેણીકરણી જુઓ, ક્યાં આદિવાસી કાળા-ભમ્મર, હાથમાં તીર-કામઠાં, પહેરવા અડધાં વસ્ત્રો, ઉઘાડા પગ, માથાં પર જુઓ તો ફાળિયું બાંધેલું હોય, જંગલમાં રહે, જાનવરો સાથે જીવ સટોસટ લડવાનું, ક્યાં એ આદિવાસી અને ક્યાં આ ભાઈ? આમાં ક્યાંય મેળ પડે આદિવાસીનો?”

એન્કર ગોપી મણિયાર ઘાંઘરે જગદીશ મહેતાને ટોક્યા નહીં
જગદીશ મહેતા પોતાના નિવેદનમાં આગળ જતા ગાંધીજીનો ઉલ્લેખ કરીને કહે છે કે તેઓ પણ સૂટ-બુટ પહેરીને ફરી શક્યા હોત, પણ તમારે લોકોની સમસ્યા જાણવી હોય, તેમની વચ્ચે રહેવું હોય તો તેમના જેવા બનવું પડે. કોઈ એન્ગલથી એને(તુષાર ચૌધરીને) અને આદિવાસીને હજાર ગાઉંનું છેટું છે. તેના બંગલા, ગાડીના ફોટા પાડીને પૂછવું જોઈએ કે આને આદિવાસી કહેવાય? આવા આદિવાસી હોય તો ભગવાન અમને આદિવાસી બનાવે, હું તો એમ કહું.”
જગદીશ મહેતાના આ નિવેદન દરમિયાન એન્કર ગોપી ઘાંઘર ક્યાંય પણ જગદીશ મહેતાના આવા જાતિવાદી નિવેદનનો વિરોધ કરતા જોવા મળતા નથી. ઉલટાનું તેઓ તેમની વાતમાં જાણે સૂર પુરાવતા હોય તેમ વારંવાર હામાં હા મિલાવતા જાય છે.
આદિવાસી સમાજs કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી
પત્રકાર જગદીશ મહેતાની આ નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં ભારે હોબાળો મચ્યો હતો. અનેક પ્રબુદ્ધ નાગરિકો અને આદિવાસી સમાજના યુવાનો, નેતાઓ તથા એક્ટિવિસ્ટોએ જગદીશ મહેતાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી નાખી હતી. એ દરમિયાન નેશનલ મીડિયામાં પણ આ મામલો ચર્ચાએ ચડ્યો હતો. હવે આ મામલે ખુદ તુષાર ચૌધરીએ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: પત્રકાર જગદીશ મહેતા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી થશે?












*પત્રકાર દ્વારા બુલંદ પત્રકારિતા ને કે પત્રકારત્વની
શૈલીને લાંછન લાગે એવી અશ્લીલ ભાષાનો પ્રયોગ કરવો જોઈએ નહીં! Journalism is in Courage!
પત્રકારિતા જીવનાં જોખમે થાય છે! ન સમજ પડતી હોય તેને વેળાસર છોડી દો! જયભીમ જય સંવિધાન!