જે વાતની કલ્પના કરતા પણ ધ્રુજારી છૂટી જાય તેવું વર્તન જાતિવાદી તત્વો દલિતો સાથે કરતા અચકાતા નથી, જે કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે. દલિતોને માર મારવો, જાતિસૂચક ગાળો દેવી, હત્યા કરી નાખવી, દલિત મહિલાઓ-યુવતી-સગીરાઓ પર રેપ કરવામાં પણ આ તત્વોને કાયદાની બીક નથી રહેતી. પરિણામે તેમની હિંમત વધી જાય છે અને તેમને વધુ અત્યાચાર કરવા પ્રોત્સાહન મળે છે.
આવી જ એક ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશમાં બની છે. અહીં એક ગામમાં સવર્ણો એક દલિત મહિલાને છેલ્લાં 6 મહિનાથી ગામમાં આવેલા તેના ઘરમાં ઘૂસવા દેતા નથી. આરોપીઓ દલિત મહિલાને ધમકી આપી રહ્યાં છે કે, “જો ગામમાં દેખાઈશ તો તારા પર રેપ કરીશું.” સવર્ણ ગુંડાઓની આ ધમકી બાદ મહિલા તેના પરિવાર સાથે ભટકતું જીવન જીવી રહી છે. તેમ છતાં સવર્ણ ગુંડાઓ તેને ફોન કરીને અશ્લીલ વાતો કરી ધમકાવે છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, તેમ છતાં પોલીસ કોઈ જ કાર્યવાહી નથી કરી રહી.
આ પણ વાંચોઃ દલિત મહિલા પર તેના પુત્ર સામે બંદૂકના નાળચે બળાત્કાર
ઉત્તરપ્રદેશના શ્રાવસ્તીના એક ગામની ઘટના
મામલો શ્રાવસ્તી જિલ્લાના એક ગામનો છે. જ્યાં એક દલિત મહિલાએ ગામના સવર્ણ ગુંડાઓએ ગામ છોડી દેવાની ફરજ પાડી છે અને ધમકી આપી છે કે જો તે ગામમાં જોવા મળશે તો તેના પર બળાત્કાર કરવામાં આવશે. ઘટના શ્રાવસ્તી જિલ્લાના ઇકોના પોલીસ સ્ટેશન વિસ્તારના ભામેપારા ગામની છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગામના કેટલાક સવર્ણ ગુંડાઓએ દલિત મહિલા અને તેના પતિને ગામ છોડવાની ફરજ પાડી છે. મહિલા અને તેનો પતિ ઘણા દિવસોથી ક્યારેક ખેતરોમાં તો ક્યારેક તેમના સંબંધીઓના ઘરે રહે છે.
પીડિત દંપતીએ જણાવ્યું કે તેઓ પોતાના ઘરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહે છે. તેમનો આરોપ છે કે સવર્ણ ગુંડાઓએ છ મહિના પહેલા તેને ધમકી આપી હતી અને ગામમાંથી કાઢી મૂકી હતી અને હવે પણ તેઓ સતત ફોન પર અશ્લીલ વાતો કરી રહ્યા છે અને તેની સાથે બળાત્કાર અને હત્યા કરવાની ધમકી આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ અહીં ગામ શરૂ થાય એટલે દલિત મહિલાએ ચંપલ હાથમાં લઈ લેવા પડે છે
મહિલાઓને મળેલી ધમકીઓ, અશ્લીલ વાતોનું રેકોર્ડિંગ વાયરલ
જાતિવાદી તત્વોના ત્રાસથી કંટાળીને આખરે પીડિતાએ આ અંગે સ્થાનિક પોલીસને લેખિત ફરિયાદ આપીને ન્યાય માટે અપીલ કરી છે. મહિલા પાસે ફોન પર આપવામાં આવેલી ધમકીઓનું રેકોર્ડિંગ પણ છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તપાસ શરૂ કરી છે અને ગામ પહોંચ્યા પછી સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પીડિતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
ગામ છોડાવી દેવાની ધમકીઓ મળે છે
ઉલ્લેખનીય છે કે યુપીમાં આ પહેલી ઘટના નથી, જેમાં સવર્ણ જાતિના ગુંડાઓ દ્વારા દલિતોને હેરાન કરવામાં આવતા હોય. રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ દલિતો સામે હિંસા, અત્યાચાર અને ધમકીઓના ઘણા રિપોર્ટ્સ મીડિયામાં આવ્યા છે. તેમાં બળાત્કાર, છેડતી, હુમલો અને અન્ય અત્યાચારોના કિસ્સાઓનો સમાવેશ થાય છે, જેમાં પીડિતોને ઘણીવાર તેમની ફરિયાદ પાછી ખેંચી લેવાની અથવા ગામ છોડી દેવાની ધમકી આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ ગેંગરેપ પીડિતા દલિત દીકરીનું આરોપીઓએ ઘર સળગાવી દીધું