દેશની પહેલી દલિત હિરોઈન PK Rosy ની કરૂણ કહાની

PK Rosy

કહેવાય છે કે કલાકારની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. તે માત્ર એક કલાકાર હોય છે જે પોતાની કલા દ્વારા સમાજની સેવા કરે છે. પરંતુ આ વાત દરેક વખતે સાચી પડતી નથી. જાતિવાદથી ખદબદતા ભારત દેશમાં જ્યાં દરેક મોરચે પહેલા તમારી જાતિ જોવાતી હોય ત્યાં એક કલાકાર જાતિ-ધર્મમાંથી બાકાત રહી જાય તે શક્ય નથી. આવું જ કંઈક દેશની પહેલી દલિત અભિનેત્રી (India’s first Dalit women actor) પી.કે.રોઝી (PK Rosy) સાથે બન્યું હતું.

પીકે રોઝી સાથે એક એવી ઘટના બની હતી જેના કારણે તેમની અભિનેત્રી તરીકેની કારકિર્દી તેમની જાતિના કારણે શરૂ થતાં જ અટકી ગઈ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે પી.કે. રોઝી (PK Rosy) ભારતની પ્રથમ દલિત અભિનેત્રી હતી. ફિલ્મી પડદે તેમના આગમનથી કેટલાક લોકો એટલા ગુસ્સે થયા હતા કે તેમણે પી.કે. રોઝી (PK Rosy) નું ઘર સળગાવી દીધું હતું. ડરી ગયેલી અભિનેત્રી બીજી ફિલ્મ કરવાની હિંમત ન કરી શકી અને અભિનયમાંથી નિવૃત્ત થઈ ગઈ.

આ પણ વાંચોઃ 

મલયાલમ સિનેમાની પહેલી અભિનેત્રી
પી.કે. રોઝી (PK Rosy) મલયાલમ સિનેમાની પ્રથમ અભિનેત્રી હતા. એવું બનવું જોઈતું હતું કે આજે આપણે તેમના અભિનય કૌશલ્યની ચર્ચા કરીએ અને તેમની ફિલ્મોનો ઉલ્લેખ કરીએ. પરંતુ, જાતિના ભેદભાવથી પીડિત સમાજમાં આ શક્ય ન બન્યું. પી.કે. રોઝી (PK Rosy) ને ફિલ્મોમાં અભિનય માટે ભારે કિંમત ચૂકવવી પડી હતી. દલિત હોવા થતાં ફિલ્મી પડદે આવવાની હિંમત કરવા બદલ જાતિવાદી તત્વોએ તેમનું ઘર સળગાવી દીધું હતું. એટલું જ નહીં તેમના અસ્તિત્વને ભૂંસી નાખવાના શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. એનું જ કારણ છે કે, એઆઈના જમાનામાં પણ તેમની ગૂગલ સર્ચ એન્જિનમાં માત્ર એક તસવીર ઉપલબ્ધ છે. જાતિવાદી તત્વોનો ખૌફ એટલો મોટો હતો કે, તેમની ફિલ્મની પ્રિન્ટ અને રિલ્સ પણ ઉપલબ્ધ રહેવા દેવામાં નથી. આવી.

ફિલ્મમાં સવર્ણ જાતિની મહિલાનું પાત્ર ભજવ્યું
પીકે રોઝી (PK Rosy)નો જન્મ વર્ષ 1903માં ત્રિવેન્દ્રમના નંદનકોડ ગામમાં થયો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેના માતાપિતા પુલિયા જાતિના હતા અને તેમણે તેનું નામ રાજમ્મા રાખ્યું હતું. દલિત જાતિની હોવા ઉપરાંત રોઝીનો પરિવાર આર્થિક રીતે પણ નબળો હતો. નાની ઉંમરમાં પિતાના અવસાનને કારણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ વધુ નબળી બની ગઈ હતી. જો કે, તેમના મનમાં કલા માટે હંમેશા વિશેષ સ્થાન હતું. ખૂબ જ નાની ઉંમરે રોઝીએ અભિનય અને લોકનૃત્ય-નાટક શીખ્યા. એ પછી, પીકે રોઝી (PK Rosy) એ વર્ષ 1928માં પ્રથમ મલયાલમ ફિચર ફિલ્મ ‘વીગતથકુમારન’ (ધ લોસ્ટ ચાઈલ્ડ)માં અભિનય કર્યો હતો. આ ફિલ્મ જેસી ડેનિયલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં દલિત મહિલા પીકે રોઝી (PK Rosy) એ સરોજિની નામની ઉચ્ચ જાતિની નાયર મહિલાની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ

રોઝીનું ઘર સળગાવ્યું અને તેમણે કેરળ છોડી દીધું
પહેલી ફિલ્મમાં ભજવાયેલું પાત્ર જ પીકે રોઝી (PK Rosy) માટે સમસ્યા બની ગયું હતું. લોકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો. તેઓ ફિલ્મની કોઈપણ ઈવેન્ટમાં જોવા નહીં મળે એવી શરત રાખવામાં આવી હતી. અન્યથા ફિલ્મનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી. જ્યારે ફિલ્મ 7 નવેમ્બર 1928ના રોજ કેપિટલ થિયેટરમાં પ્રદર્શિત કરવામાં આવી ત્યારે મોટા દેખાવો થયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સવર્ણોએ આ ફિલ્મ જોવાની ના પાડી દીધી હતી. તેમણે શરત મૂકી કે જો પીકે રોઝી ઓડિયન્સમાં બેસશે તો તેઓ ફિલ્મનું સ્ક્રીનિંગ નહીં જુએ. સ્ક્રીનિંગ દરમિયાન ઘણી તોડફોડ પણ થઈ હતી. વિરોધની આગ રોઝીના ઘર સુધી પહોંચી અને તેમના ઘરને આગ ચાંપી દેવામાં આવી. એ પછી તેમણે કેરળ છોડી દીધું.
ખેતી કરીને બાકીનું જીવન ગુમનામીમાં વિતાવ્યું
મીડિયા રિપોર્ટ અનુસાર પીકે રોઝી (PK Rosy) તેમનું ઘર સળગાવી દીધાં પછી એક ટ્રક ચાલકની મદદથી તેના ગામથી તમિલનાડુ ભાગી ગયા હતા. બાદમાં તેમણે લોકનાટ્યોમાં કામ કરવાનું શરૂ કર્યું અને પોતાનું નામ રાજમ્માથી બદલીને રોજમ્મા કર્યું હતું. પછીના દિવસોમાં તેમણે ખેતી કરીને પોતાનું જીવન પસાર કરવું પડ્યું હતું. તેમને બે બાળકો હતા – પદ્મા અને નાગપ્પન. બંને બાળકોને ક્યારેય ખ્યાલ નહોતો કે તેમની માતા અભિનેત્રી છે. રોઝી પર ફિલ્મ બનાવનાર જેસી ડેનિયલને પણ ફિલ્મ બનાવવાનું પરિણામ ભોગવવું પડ્યું અને તેણે પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવ્યું.

મૃત્યુ બાદ નવી ઓળખ મળી
પીકે રોઝી (PK Rosy) ને જીવતેજીવ સમાજ માન આપી શક્યો ન હતો, તેમને આ દુનિયામાંથી વિદાય પછી ઓળખ મળી. વર્ષ 1988માં લેખક વિનુ અબ્રાહમે જેસી ડેનિયલ અને પીકે રોઝી વિશે નવલકથા લખી હતી. ત્યાર પછી વર્ષ 2013માં કમલ દ્વારા આ જ નવલકથા પર ‘સેલ્યુલોઇડ’ નામની ફિલ્મ બનાવવામાં આવી, જેના કારણે વધુ લોકોને પીકે રોઝીના યોગદાન અને તેના સંઘર્ષ વિશે જાણવા મળ્યું. દુઃખની વાત એ છે કે, રોઝીને ઓળખ મળે તે પહેલાં જ તેમણે 1988માં દુનિયાને અલવિદા કહી દીધી હતી.

આ પણ વાંચોઃ

3.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Shail
Shail
4 months ago

I wouldn’t be surprised if that actress was a victim of caste discrimination.

શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x