‘અનામતને હાથ તો લગાવી જુઓ, દેશ ન હલાવી નાખીએ તો કહેજો’

નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે કેન્દ્રની મોદી સરકાર અને RSSને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું કે અનામત સાથે ચેડાં કરશો તો દેશમાં ભૂકંપ આવશે.
Just try to touch the reserve if it doesnt cause an earthquake
Just try to touch the reserve if it doesnt cause an earthquake

નગીના લોકસભાના સાંસદ અને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે(Chandrashekhar Azad) અનામત વ્યવસ્થાને લઈને કેન્દ્રની ભાજપ સરકાર અને આરએસએસ (RSS) પર આક્રમક પ્રહારો કર્યા છે. દેશમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અનામત વિરોધી ચર્ચાઓ વચ્ચે ચંદ્રશેખર આઝાદે ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, “જો કોઈ અનામતને અડવાનો કે તેને નાબૂદ કરવાનો પ્રયાસ કરશે તો આ દેશમાં એવો ભૂકંપ આવશે, જેનો સામનો ભાજપ અને સંઘના લોકો કરી શકશે નહીં.”

મધ્યપ્રદેશના દતિયા ખાતે પેટાચૂંટણીમાં દામોદર યાદવના સમર્થનમાં પ્રચાર કરવા પહોંચેલા સાંસદ ચંદ્રશેખર આઝાદનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ‘Reservation Hatao’ જેવા હેશટેગ અને અનામત વિરોધી ઝુંબેશો વાયરલ થઈ રહી છે. આ વાતાવરણ વચ્ચે અનામત નાબૂદીની વાતો કરનારા તત્વો અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા આઝાદે ઉમેર્યું હતું કે, “સરકાર અને તેના સંગઠનો દાવા કરે છે કે તેઓ બંધારણ બદલી નાખશે અને અનામત ખતમ કરી દેશે. પરંતુ મારી તેમને ખુલ્લી ચેતવણી છે કે તમે અનામતમાં ફેરફાર કરીને તો બતાવો! દેશ આખામાં એવો ભૂકંપ આવશે કે તેને આ સરકાર અને આરએસએસના લોકો સહન પણ નહીં કરી શકે.”

તેમણે વધુમાં આકરા શબ્દોમાં ઉમેર્યું હતું કે, “જો સરકાર એવું વિચારતી હોય કે તે બળજબરી કરીને કે છૂપા ષડયંત્રો રચીને બહુજન સમાજના બાળકોને ભાગલા પાડીને વહેંચી દેશે, તો આ ષડયંત્રોનું ખરાબ પરિણામ ભોગવવા માટે સરકાર તૈયાર રહે. જો સંઘ અને આ સરકારને ધોળા દિવસે તારા ન દેખાડી દઉં તો મારું નામ ચંદ્રશેખર આઝાદ નહીં.” આઝાદના આ આક્રમક વલણ અને ખુલ્લા પડકાર બાદ દેશમાં ભારે ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચોઃ ‘જ્યાં સુધી બ્રાહ્મણ દીકરી ન આપે, ત્યાં સુધી અનામત ચાલુ રહેશે’

અનામત એ બંધારણીય અધિકાર અને સામાજિક ન્યાયનું કવચ

ચંદ્રશેખર આઝાદે પોતાના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) માટે અનામત એ કોઈ સરકાર કે શાસકો દ્વારા આપવામાં આવેલી ભીખ કે મહેરબાની નથી, પરંતુ ભારતીય બંધારણે આપેલો મૌલિક અધિકાર છે. અનામત એ સામાજિક ન્યાય સ્થાપિત કરવાનું અને સદીઓથી શોષિત તથા વંચિત રહેલા સમાજને દેશના શાસન, તંત્ર, નોકરીઓ અને શિક્ષણ ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનું સૌથી મોટું માધ્યમ છે. આ બંધારણીય અધિકારને સમાપ્ત કરવાના, બદલવાના કે નબળો કરવાના કોઈ પણ પ્રયાસનો દેશભરમાં લોકશાહી અને બંધારણીય ઢબે સખત વિરોધ કરવામાં આવશે. સામાજિક ન્યાયના આ મુદ્દા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકારવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ બંગાળની શુભેન્દુ સરકારે OBC અનામત 17 ટકાથી ઘટાડીને 7 ટકા કરી!

દેશમાં અનામતનો મુદ્દો સમય-સમય પર રાજકીય ચર્ચા અને વિવાદોનું કેન્દ્ર બનતો રહ્યો છે. દેશના બંધારણ હેઠળ અનામત વ્યવસ્થા પૂર્ણપણે અમલી છે અને કોઈપણ મોટા ફેરફાર માટે જટિલ બંધારણીય તથા વિધાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જોકે, હાલમાં કેન્દ્ર સરકાર તરફથી અનામત નાબૂદ કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી અનામત વિરોધી વાતાવરણ ઊભું કરવાના થઈ રહેલા પ્રયાસો સામે આઝાદ સમાજ પાર્ટી અને બહુજન સમાજના નેતાઓએ મજબૂત મોરચો માંડ્યો છે.

દતિયાની ધરતી પરથી સંઘ અને સરકારને પડકાર ફેંક્યો

મધ્યપ્રદેશના દતિયા ખાતેથી સભાને સંબોધિત કરતી વખતે ભીમ આર્મી ચીફે સ્પષ્ટ કર્યું કે વંચિત અને બહુજન સમાજ હવે પોતાના અધિકારો પ્રત્યે સંપૂર્ણપણે જાગૃત થઈ ચૂક્યો છે. સરકાર કે શાસક પક્ષ દ્વારા જો કોઈ ગુપ્ત ષડયંત્ર રચીને કે પાછલા બારણેથી અનામત વ્યવસ્થા પર પ્રહાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો બહુજન સમાજના યુવાનો શેરીઓથી લઈને સંસદ સુધી રસ્તા પર ઊતરીને તેનો વિરોધ કરશે.

ચંદ્રશેખર આઝાદની આ આક્રમક ચેતવણી અને ખુલ્લા પડકાર બાદ અનામત નાબૂદી અંગે વહેતી થયેલી તમામ રાજકીય અટકળો અને વિરોધી ઝુંબેશો પર વિરામ લાગશે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે. બહુજન સમાજના યુવાનો, વિદ્યાર્થીઓ અને સામાજિક સંગઠનો પણ હવે અનામતના રક્ષણ માટે એકજૂથ થઈને મેદાને આવ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે બંધારણીય હકો પરના કોઈપણ પ્રહાર સામે દેશવ્યાપી આંદોલન ઊભું થશે.

આ પણ વાંચોઃ જાતિવાદીઓના ગળામાં હાડકું ફસાયું, ‘EWS અનામત હટાવો’ આંદોલન શરૂ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x