બહુજન સંઘર્ષ મંચ સુરત દ્વારા અહીંના મેઘમહાર ભવન, બહુચરનગર, વેડ રોડ ખાતે એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમાજના 50 થી વધુ બહુજન સંગઠનો, કાર્યકરો અને આગેવાનોએ સાથે મળીને 26મી જાન્યુઆરી 2025ના રોજ જિલ્લા સ્તરનો બંધારણ જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શક તરીકે ઉતર પ્રદેશના લખનઉથી સામાજીક ચિંતક એન્જિનિયર પ્રોફેસર અમિતા બૌદ્ધે મુખ્ય માર્ગદર્શક તરીકે હાજરી આપી હતી. સાથે જ વિશિષ્ઠ અતિથી તરીકે લખનઉમાં ટોપર્સ ક્લબ આઈએએસ એકેડમીનું સંચાલન કરનાર અને પ્રબુદ્ધ ભારતના સંસ્થાપક માનનીય દેવ પ્રતાપ સિંહે બંધારણને લગતી માહિતીઓના આદાનપ્રદાન સાથે બહુજન સમાજના ગ્રેજ્યુએટ વિધાર્થીઓ માટે નજીવી ફી ના દરે યુપીએસસીમાં સિલેક્શન સાથે તૈયારીઓ કરવાની બાંહેધરી આપી હતી. સેમની સાથે ઓલ ઇન્ડિયા એસસી/એસટી એમ્પ્લોઇઝ એસોસિયેશનનાં અધ્યક્ષ માનનીય રામદાસ કનૌજીયાએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને રેલ્વેને લગતી તમામ માહિતીઓ શેર કરી હતી. સાથે ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા થકી ખ્યાતિ મેળવનાર યૂટ્યુબર અને સોશીયલ મિડિયા એક્ટિવિસ્ટ જ્યોત્સના આહીરે પણ હાજરી આપીને સંવિધાન વિશે ધારદાર વક્તવ્ય આપ્યુ હતું. આ સાથે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ સામાજીક કાર્યકરોએ હાજરી આપીને સમાજને લગતી માહિતીઓનું આદાનપ્રદાન કર્યું હતું.
ગુજરાતમાં બહુજન સમાજના હિત અને હક માટે અનેક સંગઠનો કાર્ય કરી રહ્યા છે, જેઓ સતત સમાજમાં જાગૃતિ આવે અને શિક્ષણનો વ્યાપ વધે તેમજ આર્થિક, સામાજિક અને રાજકીય રીતે સમાજના યુવાનો આગળ વધે અને સમાજ અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે એ માટે સતત સંઘર્ષરત છે, ત્યારે બહુજન સંઘર્ષ મંચ આ તમામ સંગઠનોને એક મંચ પર લાવી એમની વચ્ચે એક મજબુત સેતુ ઊભો કરી સંગઠનોના કાર્યોનો લાભ સમાજના દરેક છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પ્રયત્નશીલ છે.
આ પણ વાંચો: તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો…
આ કાર્યક્રમ અંતર્ગત બહુજન સંઘર્ષ મંચ અને તમામ સહયોગી સંગઠનો અને ઉપસ્થિત અતિથિઓ સાથે મળીને “સંવિધાનને સમજ્યા વગર સંવિધાન બચાવી શકાય નહી” તેમજ “સંવિધાન એ બહુજન મહાપુરુષો, માતાઓ, વીરાંગનાઓ, સંતો અને ગુરુઓના સમતાવાદી આંદોલનની સફળતાનું પ્રતિક છે” એ સાથે જ “આંબેડકરી આંદોલન ભાવનાઓથી ચાલી શકે નહી” જેવા વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા અને સંબોધન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શહેરીજનોએ હાજરી આપીને આ સંવિધાન જનજાગૃતિ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટઃ ભરત જાદવ, સુરત
આ પણ વાંચો: 2035 સુધીમાં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવાશે, મહાકુંભમાં જાહેરાત