મહાનાયક ડો. આંબેડકરને બાબાસાહેબમાંથી ડૉ.ભીમરાવ આંબેડકર બનાવવાની સફરમાં માતા રમાબાઈ (Mata ramabai) નો સિંહફાળો રહ્યો છે. ડો.આંબેડકરની કપરી કેડીમાં ખભે ખભો મિલાવી સાથ આપનાર, પોતાના ચાર ચાર બાળકોનું બલિદાન આપનાર સંઘર્ષ અને ત્યાગમૂર્તિ એવા દરેક ભારતીય મહિલાઓના આદર્શ માતા રમાબાઈનો આજે જન્મદિવસ (Mata Ramabai Birthday) છે. આ પ્રસંગે દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીં બહુજન સમાજ અમદાવાદના નેજા હેઠળ સ્થાનિક કાર્યકરો દ્વારા માતા રમાબાઈના જન્મદિવસે આજે વહેલી સવારે દૂધવાળી ચાલીની પાસે આવેલી માતા રમાબાઈને અમદાવાદની પહેલી અને એકમાત્ર પ્રતિમાને ફૂલહાર ચઢાવવામાં આવ્યા હતા. એ પછી કેક કટિંગ કરીને ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્થાનિકો દ્વારા એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ મુજબ આજે સાંજે 8.30 કલાકે બહેરામપુરાની દૂધવાળી ચાલીથી એક રેલી નીકળીને કાંકરિયા બુદ્ધ વિહાર સુધી જશે. જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો, બાળકો, મહિલાઓ અને વડીલો જોડાશે.
રેલીના બે દિવસ બાદ તા. 9 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 9.30 કલાકે બહેરામપુરાના આદિત્ય ફ્લેટ ખાતે એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ ઉંમરના બાળકો માતા રમાબાઈઃ જીવન અને કાર્યો વિષય પર પોતાના વિચારો રજૂ કરશે.
આ પણ વાંચોઃ કુશીયારીની Green Army : ધોકે નારી નહીં, નર પાંસરા…