લગ્નની સિઝન ચાલી રહી છે અને તેની સમાંતરે ઉત્તર ભારતમાં જાતિવાદી તત્વોની દલિત વરરાજાના વરઘોડા રોકવાની અને જાન પર હુમલો કરવાની ઘટનાઓ પણ સમાંતરે બનતી રહે છે. આવી જ એક વધુ ઘટનામાં જાતિવાદી તત્વોએ આગર માળવા વિસ્તારમાં દલિત વરરાજાના ઘોડી પર બેસીને જાન લઈ ગામમાં પ્રવેશવા ન દેવાની ધમકી આપી હતી. જો કે, ભીમ આર્મીના કાર્યકરોને તેની જાણ થતા તેઓ દલિત પરિવારની મદદે આવ્યા હતા. તેમણે પોલીસ સાથે મળીને દલિત વરરાજાની જાનને રક્ષણ પુરું પાડ્યું હતું. એ રીતે જાતિવાદી તત્વોને બંધારણ અને કાયદો વ્યવસ્થાનું ભાન કરાવી તેમને તેમની હેસિયત બતાવી દીધી હતી.
મધ્યપ્રદેશના માળવાની ઘટના
મામલો મધ્યપ્રદેશના આગર માળવા વિસ્તારના રળાયતી અને ડાબલા પીપલોંણ ગામનો છે. અહીં બે દલિત વરરાજાની લગ્નની જાન પોલીસ સુરક્ષા અને ભીમ આર્મીના કાર્યકરોની ચાંપતી નજર વચ્ચે નીકળી હતી.આ વરઘોડા દરમિયાન બંને વરરાજાના પિતા, કન્યાઓના પિતા અને તેમના સંબંધીઓની સુરક્ષા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અનિલ કુમાર માલવિયા સહિત 15 થી 20 પોલીસકર્મીઓ તૈનાત હતા. આ ઘટના જિલ્લાના રળાયતી અને ડાબલા પીપલોઁણ ગામમાં બની હતી. અહીં અસામાજિક તત્વોએ દલિત વર-કન્યાના વરઘોડાને અટકાવી દીધો હતો. જાતિવાદી લુખ્ખાઓનું કહેવું હતું કે, તમે દલિત સમાજમાંથી આવતા હોવાથી ઘોડી પર બેસીને આ રીતે જાન કે વરઘોડો કાઢી શકો નહીં.
આ પણ વાંચો: વર વિના 20 કન્યાઓના લગ્ન કરી દેવાયા, સર્ટિફિકેટ પણ મળ્યાં!
આ ઘટનાની ભીમ આર્મી અને તેના કાર્યકરોને જાણ થતા તેઓ ગામમાં પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી વટ કે સાથે પોલીસ સુરક્ષા વચ્ચે બંને દલિત વરરાજાના વરઘોડા અને જાન ગામ વચ્ચેથી કાઢી જાતિવાદી તત્વોની દાદાગીરીની હવા કાઢી નાખી હતી.
મામલો શું હતો
2 માર્ચના રોજ, આગર પોલીસ સ્ટેશન હેઠળના રળાયતી અને ડાબલા પીપલોંણ ગામમાં કેટલાક અસામાજિક તત્વોએ દલિત કન્યા અને વરરાજાના લગ્ન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને વરરાજા દિનેશ કાલુરામ બુઆલે ભીમ આર્મીના જિલ્લા પ્રમુખ અજય બાગી સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે 2 માર્ચે તેની બંને બહેનોનું ફૂલેકું કાઢવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ રસ્તામાં ફોર વ્હીલર પાર્ક કરીને તેને અટકાવ્યું અને વિવાદની સ્થિતિ ઊભી કરી. દિનેશે એમ પણ કહ્યું કે તેની બંને બહેનોના લગ્નની જાન બીજા દિવસે એટલે કે 3 માર્ચે તેમના ઘરે પરણવા માટે આવવાની છે પરંતુ, ગામના ગુંડાઓએ ધમકી આપી છે કે દલિત વરરાજાને ઘોડી પર ચઢીને પરણવા માટે આવવા દેવામાં નહીં આવે. જાતિવાદીઓનું કહેવું હતું કે, ઘોડી પર બેસીને, માથે સાફો બાંધીને પરણવા જવાનો અધિકાર માત્ર તેમની અમુક જાતિના લોકોને જ છે.
જો દલિતો પણ આ રીતે ઘોડી પર બેસીને લગ્ન કરવા નીકળશે તો તેમની કોઈ વેલ્યુ નહીં રહે. આવી નિમ્ન સ્તરની માનસિકતા સાથે તેઓ વિરોધ કરવા ઉતરી પડ્યા હતા. જો કે ભીમ આર્મીના કાર્યકરો અને પોલીસે તેમને બંધારણ અને કાયદાની તાકાત બતાવી દીધી હતી.
પોલીસ આવતા જાતિવાદીઓ ભાગી ગયા
દિનેશની ફરિયાદના આધારે પોલીસ અધિકારી મોતીલાલ કુશવાહાએ એક પોલીસ દળની રચના કરી તેને ગામમાં મોકલ્યું હતું. પોલીસને જોઈને જાતિવાદી તત્વોની બધી દાદાગીરી અને જાતિવાદી સોંસરો નીકળી ગયો હતો. એ પછી લગભગ 15 થી 20 પોલીસકર્મીઓની હાજરીમાં બંને દલિત વરરાજાઓને ઘોડી પર બેસાડીને વટ કે સાથે તેમને માંડવા સુધી લઈ જવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કાયદો વ્યવસ્થાનું ભાન કરાવવા વરરાજાને ઘોડી પર બેસાડી અને વરઘોડો આખા ગામમાં ફેરવવામાં આવ્યો હતો અને લગ્ન સુરક્ષિત રીતે પૂર્ણ કરાયા હતા. પોલીસ અધિકારી મોતીલાલ કુશવાહાએ જણાવ્યું હતું કે સમગ્ર લગ્ન કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. દરમિયાન દલિત પરિવારોએ પોલીસ અને ભીમ આર્મીના કાર્યકરોનો આભાર માન્યો હતો.
અગાઉ પણ આવી ઘટનાઓ બની છે
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં ગામના જાતિવાદી ગુંડાઓ દ્વારા દલિત વરરાજાને ઘોડી પર સવારી કરતા અને લગ્નનો વરઘોડો કાઢતા અટકાવવામાં આવ્યા હોય. જો કે, આવા કિસ્સાઓ પ્રકાશમાં આવે ત્યારે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો જાતિવાદી તત્વો શોધ્યા જડતા નથી. આ ઘટના તેનો વઘુ એક પુરાવો છે.
આ પણ વાંચો: બે ગાડીઓ ભરી પોલીસ પહોંચી ત્યારે દલિત યુવકનો વરઘોડો નીકળ્યો