રાજીનામાની માંગ વચ્ચે પહેલીવાર ધર્મેન્દ્ર પ્રધાને મૌન તોડ્યું

દિલ્હીમાં વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પહેલીવાર પોતાનો મત રજૂ કર્યો છે. રાજીનામું આપવાનો ઇનકાર કર્યો. જાણો શું કહ્યું.
Dharmendra Pradhan speaks

દિલ્હીમાં જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને પોતાના રાજીનામાની સતત થઈ રહેલી ઉગ્ર માંગણીઓ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મૌન તોડ્યું છે. અઠવાડિયાઓ સુધી ચુપકીદી સાધ્યા બાદ તેમણે પહેલીવાર આ સમગ્ર મામલે વિસ્તારથી પોતાની પ્રતિક્રિયા આપી છે. જોકે, આ દેશવ્યાપી વિરોધ વચ્ચે પણ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવાનો કોઈ જ સંકેત આપ્યો નથી.

રાજીનામું આપવાને બદલે તેમણે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકવા માટે ‘વિદ્યાર્થીઓનો સાધન તરીકે ઉપયોગ’ કરી રહી છે.

રાહુલ ગાંધી પર અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા

મંગળવારે (21 જુલાઈ) મોડી રાત્રે સોશિયલ મીડિયા મંચ ‘X’ પર એક નિવેદન જાહેર કરીને ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ બહાર યોજાયેલા ધરણાં પ્રદર્શનની સખત ટીકા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ પ્રદર્શનના કારણે સામાન્ય જનતાને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો અને સ્થાપિત સુરક્ષા પ્રોટોકોલની ઘોર ઉપેક્ષા કરવામાં આવી હતી. પ્રધાને લખ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી સંસદના સત્ર દરમિયાન વિદ્યાર્થીઓનો બેશરમીથી રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરીને દેશમાં અરાજકતા અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ભારત આદિવાસી પાર્ટીના સાંસદ રાજકુમાર રોત UNમાં ભાષણ આપશે

સંસદમાં ચર્ચાને બદલે હંગામાની રાજનીતિનો આરોપ

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ સરકારના વલણને દોહરાવતા કહ્યું કે, સરકારે સંસદની અંદર આ સંવેદનશીલ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરાવવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ કોંગ્રેસે આ પ્રસ્તાવને ફગાવીને રસ્તા પર ધરણા કરવાનું પસંદ કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસે લોકતાંત્રિક ચર્ચાના સ્થાને રાજકીય પ્રદર્શનને પસંદ કર્યું છે. વિપક્ષી દળો વિદ્યાર્થીઓના પ્રશ્નોના કાયમી ઉકેલ શોધવાને બદલે માત્ર વર્તમાન મીડિયા કવરેજ અને ‘લાઈમલાઈટમાં રહેવાનો’ તેમજ સંઘર્ષની રાજનીતિ કરવામાં રસ ધરાવે છે. દેશના વિદ્યાર્થીઓ જવાબદેહીના હકદાર છે, પરંતુ તેમણે પોતે રાજીનામું આપશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.

NEET-UG પેપર લીક અને પુનઃપરીક્ષાનું સંકટ

ઉલ્લેખનીય છે કે ગત મે મહિનામાં NEET-UG પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયા બાદથી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી દેશભરમાં તીવ્ર બની છે. છેલ્લા 3 વર્ષમાં આ બીજી વખત બન્યું છે જ્યારે આવી રાષ્ટ્રીય કક્ષાની મહત્વપૂર્ણ પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોય. આ ગંભીર બેદરકારીના કારણે દેશના આશરે 23જેટલા ભાવી તબીબો લાખ અને વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા યોજવાની નોબત આવી છે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ વ્યાપેલો છે.

આ પણ વાંચો: ટીમલી ડાન્સનું નામ સાંભળ્યું હશે, પણ તે શું છે તે ખબર છે?

સોનમ વાંગચુકના ઉપવાસ અને સંસદ માર્ચ પર લાઠીચાર્જ

ધર્મેન્દ્ર પ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમના રાજીનામાનું આંદોલન અત્યંત ઉગ્ર બની ચૂક્યું છે. 28 જૂનથી દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વમાં ચાલી રહેલા પ્રદર્શનમાં જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક આમરણ અનશન પર બેઠા છે. સોમવારે CJP અને વાંગચુકના આહ્વાન પર હજારો વિદ્યાર્થીઓ સંસદ તરફ માર્ચ કરવા નીકળ્યા હતા, જ્યાં દિલ્હી પોલીસ અને સુરક્ષા દળોએ તેમના પર અમાનુષી લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. વાંગચુકના આંદોલન પહેલાં ધર્મેન્દ્ર પ્રધાને CJP ને ‘આતંકવાદીઓની B-ટીમ’ ગણાવી હતી, જે સંગઠને રચનાના ગણતરીના દિવસોમાં જ મે મહિનાથી પ્રધાનના રાજીનામાની માંગ શરૂ કરી દીધી હતી.

પક્ષ-વિપક્ષ વચ્ચે રાજકીય ઘર્ષણ તેજ

બીજી તરફ, રાહુલ ગાંધીએ માત્ર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જ માંગ નથી કરી, પરંતુ સોમવારે વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ હિંસાનો હવાલો આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાસે પણ રાજીનામાની માંગ કરી છે. મંગળવારે મોદી સરકારે રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો હતો કે તેમણે સંસદમાં ચર્ચાની સાથે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની શરત ઉમેરીને પોતાના વચનથી પીછેહઠ કરી છે. તેના જવાબમાં કોંગ્રેસે વળતો પ્રહાર કરતાં કહ્યું કે, લોકસભામાં વિપક્ષના નેતા અને દેશના વિદ્યાર્થીઓ શું માંગ કરશે તે નક્કી કરવાનો અધિકાર અન્ય કોઈને નથી.

આ પણ વાંચો: દલિત યુવકે પાણી પીતા દુકાનદારે એટલો માર્યો કે 12 દિવસ સારવાર લેવી પડી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x