સવાયા હિંદુ થઈને છાશવારે હિંદુ ધર્મ બચાવવા રસ્તા પર ઉતરી પડતા ઓબીસી સમાજની આ ધર્મમાં શું કિંમત છે તેની વાસ્તવિકતા સમજાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બહુજન સમાજમાં ઓબીસી સમાજ હજુ પણ તેમના હક પ્રત્યે જેટલો જાગૃત હોવો જોઈએ તેટલો છે નહીં, પરિણામે તેઓ હિંદુત્વવાદીઓની જાળમાં આસાનાથી ફસાઈ જાય છે અને તેમના હકો પણ મનુવાદીઓ ખાઈ જાય છે. આવો જ એક ઓબીસી સમાજ સાથે જાતિ ભેદભાવ દાખવતો અને તેમના હક પર તરાપ મારતો કિસ્સો સામે આવ્યો છે.
મામલો પ્રગતિશીલ મનાતા કેરળનો છે. સામાજિક સુધારા અને પ્રગતિશીલ વિચારસરણી માટે જાણીતા આ રાજ્યમાં જાતિવાદના મૂળ હજુ પણ ઊંડા છે. તેનું તાજેતરનું ઉદાહરણ ત્રિશૂરના કૂડલમણિક્યમ મંદિરમાં જોવા મળ્યું, જ્યાં એક ઓબીસી (OBC) સમાજના યુવકને તેના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યો છે.
કેરળ દેવસ્વમ ભરતી બોર્ડની પરીક્ષામાં ટોપ કરનાર બી.એ. બાલુ નામના ઓબીસી યુવકને મંદિરમાં ‘કઝકમ’ પદ પર નિયુક્ત કરવામાં આવ્યો હતો. ‘કઝકમ’નું મુખ્ય કામ પૂજારીઓને ધાર્મિક વિધિઓમાં મદદ કરવાનું અને દેવી-દેવતાઓ માટે ફૂલોની માળા બનાવવાનું છે. જોકે, મંદિરના બ્રાહ્મણ પૂજારીઓએ આ નિમણૂકનો વિરોધ કર્યો હતો અને માંગ કરી કે આ પદ ફક્ત બ્રાહ્મણ/ઉચ્ચ જાતિના વ્યક્તિને જ આપવામાં આવે. 9 માર્ચે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો હતો, જોકે, બાલુને ‘કઝકમ’ પદ પરથી દૂર ન કરવામાં આવે ત્યાં સુધી પૂજારીઓએ સમારોહમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચોઃ ‘જાતિની ખબર ન પડે એટલે તમારી વર્દી પર અટક ન લખો..’
બાલુ કેરળના ઈઝવા ઓબીસી સમાજનો છે. તેની નિમણૂકને કેરળની ડાબેરી સરકાર અને દેવસ્વમ બોર્ડ બંનેનું સમર્થન છે, પરંતુ બ્રાહ્મણ પુજારીઓના વિરોધને કારણે બાલુને આ પદ મળી શક્યું નહીં. બાલુને મંદિરમાં ઓફિસમાં બેસી રહેવાની નોકરી આપી દેવામાં આવી છે, જ્યારે ‘કઝકમ’નું પદ બ્રાહ્મણ જાતિના વ્યક્તિને આપવામાં આવ્યું છે. જો બાલુને આ પદ મળ્યું હોત, તો તે કેરળના આ મંદિરના ઇતિહાસમાં ‘કઝકમ’ બનનાર ઓબીસી સમાજનો પ્રથમ વ્યક્તિ હોત. પણ બ્રાહ્મણોએ તેને ઈતિહાસ રચતા રોકી દીધો હતો.
બાલુએ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “પુજારીઓનું વલણે મને ભારે દુઃખ પહોંચાડ્યું છે. હું મંદિરમાં કોઈ વિવાદ ઇચ્છતો નથી, ખાસ કરીને જ્યારે ઉત્સવનું વાતાવરણ હોય. મારા પરિવારનો પણ આ જ મત છે. મેં મંદિરના સંચાલકને પત્ર લખીને કહ્યું છે કે મને ‘કઝકમ’નું પદ નથી જોઈતું. હું મંદિરમાં ઓફિસનું કામ કરવા તૈયાર છું.”
દેવસ્વમ બોર્ડના ચેરમેન સીકે ગોપીએ બાલુને તેના નિયુક્ત પદ પર જાળવી રાખવાની તરફેણમાં વાત કરી. તેમણે કહ્યું કે બોર્ડ બાલુની વિનંતી પર ચર્ચા કરશે અને નિર્ણય લેશે. જોકે, તેમણે મેનેજમેન્ટના નિર્ણયનો પણ બચાવ કર્યો. ગોપીએ કહ્યું કે 6 માર્ચે, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા થનારા શુદ્ધિકરણ વિધિના માત્ર ચાર કલાક પહેલા, ‘તંત્રી’ (પુજારી) પરિવારોએ ફરિયાદ નોંધાવી હતી. મંદિર સાથે સંકળાયેલા છ બ્રાહ્મણ પરિવારોએ માંગ કરી છે કે તેમને ‘કઝકમ’ પસંદ કરવાની મંજૂરી આપવી જોઈએ. તેમનું કહેવું છે કે આ પદ ફક્ત ‘થેક્કે વર્રિએથ’ સમાજ માટે અનામત રાખવું જોઈએ.
આ પણ વાંચોઃ શિક્ષકે વિદ્યાર્થીને 300 ઉઠક-બેઠક કરાવતા વિદ્યાર્થીનું મોત
આ ઘટના પરથી ફરી એકવાર એ સાબિત થઈ ગયું છે કે, એસસી, એસટી, ઓબીસીની અનામતનો વિરોધ કરતા બ્રાહ્મણોને તેમની પૂજારી તરીકેની સદીઓ જૂની અનામત પર અન્ય કોઈ સમાજનો ભાગ પડે તે જરાય પસંદ નથી. મંદિર એ બ્રાહ્મણો માટેની સો ટકા અનામત છે તે પણ આના પરથી સાબિત થાય છે.
ગોપીએ કહ્યું, “અમે તાત્કાલિક એક બેઠક બોલાવી અને તેમની વાત સાંભળી. અમે તેમને સ્પષ્ટપણે કહ્યું કે વહીવટીતંત્રે કાયદાનું પાલન કરવું પડશે. અમે તેમને કોર્ટ, સરકાર અથવા દેવસ્વમ ભરતી બોર્ડનો સંપર્ક કરવા અને તે દરમિયાન સહકાર આપવા કહ્યું. પરંતુ તેઓ તેમના વલણ પર અડગ રહ્યા અને કહ્યું કે જો ઓબીસી યુવક બાલુને કઝકમ બનાવવામાં આવશે તો તેઓ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું નેતૃત્વ નહીં કરે.”
આ પરિસ્થિતિમાં, વહીવટકર્તાએ પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને, બાલુને ઓફિસ આસિસ્ટન્ટના પદ પર કામચલાઉ નિયુક્ત કરી દીધો છે. ગોપીએ કહ્યું, “જો અમે આ નિર્ણય ન લીધો હોત, તો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો ન હોત.”
આ પણ વાંચોઃ સાબરકાંઠાના ચડાસણામાં મધરાતે દલિત યુવકને નગ્ન કરીને ફેરવ્યો
કોંગ્રેસના ધારાસભ્ય એપી અનિલ કુમારે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ આખી ઘટનામાં બંધારણની કલમ 17નું ઉલ્લંઘન થયું છે, જે કોઈપણ સ્વરૂપમાં અસ્પૃશ્યતાને પ્રતિબંધિત કરે છે. તેમણે કહ્યું કે, “દેવસ્વમે પૂજારીઓની ફરિયાદના આધારે એક ઓબીસી સમાજના યુવકને તેના પદ પરથી દૂર કર્યા, જે સ્પષ્ટપણે ગેરબંધારણીય હતું. તેના બદલે, પૂજારીઓ સામે કાર્યવાહી થવી જોઈતી હતી.”
કેરળ સરકારે એમ પણ કહ્યું છે કે બાલુને ‘કઝકમ’ પદ પર જાળવી રાખવામાં આવશે. રાજ્યના દેવસ્વમ મંત્રી અને સીપીઆઈ(એમ) નેતા વી.એન. વાસવને કહ્યું કે કેરળ સમાજ સુધારકોની ભૂમિ છે અને જાતિના આધારે વ્યક્તિને તેના હકથી દૂર રાખવો એ રાજ્યનું અપમાન છે. તેમણે કહ્યું, “અમે મંદિરના પૂજારીઓના વલણ સાથે સહમત નથી. કેરળ એ જગ્યા છે જ્યાં બિન-બ્રાહ્મણોને મંદિરોમાં પૂજારી બનાવવામાં આવ્યા છે.”
આ પણ વાંચોઃ Telangana caste survey : 46.25 ટકા OBC છતાં રાજકારણમાં સવર્ણોનું વર્ચસ્વ
દેવસ્વમ મંત્રીએ જણાવ્યું હતું કે કૂડલમણિક્યમ દેવસ્વમ કર્મચારી વિનિયમ 2003 હેઠળ મંદિરમાં બે ‘કઝકમ’ પદો છે. એક પદ વારસાગત છે, જે પૂજારી પરિવાર દ્વારા પસંદ કરાયેલી વ્યક્તિને આપવામાં આવે છે. જ્યારે બીજા પદ પર સીધી ભરતી કરવામાં આવે છે. જેના માટે દેવસ્વમ ભરતી બોર્ડ પરીક્ષાનું આયોજન કરે છે. હાલમાં મંદિરમાં વારસાગત ‘કઝકમ’ પદ ખાલી છે અને તેના કાર્યો કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે કૂડલમણિક્યમ મંદિર પર જાતિ ભેદભાવનો આરોપ લાગ્યો હોય. વર્ષ 2022 માં ભરતનાટ્યમ કલાકાર મંસિયા વીપીએ આરોપ લગાવ્યો હતો કે મંદિરે તેમને હિન્દુ ન હોવાના કારણે ત્યાં પર્ફોમ કરતા રોક્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર કેરળમાં જાતિ ભેદભાવ અને સામાજિક સમાનતાના મુદ્દાને ઉજાગર કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે પોતાને પ્રગતિશીલ ગણાવતી કેરળ સરકાર મનુવાદી બ્રાહ્મણો સાથે રહે છે કે, પરીક્ષા પાસ કરીને કઝકમ સુધી પહોંચવાની પોતાની યોગ્યતા સાબિત કરનાર ઓબીસી યુવક બાલુની સાથે. હાલ કેરળ દેવસ્વમ બોર્ડ અને સરકાર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચોઃ દેશની પહેલી દલિત હિરોઈન PK Rosy ની કરૂણ કહાની
*લ્યો કરો વાત! હવે OBC યુવકને જનોઈ નડી!
આ દેશમાં ગૈરબ્રાહ્મણોએ એકજૂટ થવાની શક્યતાઓ દિનપ્રતિદિન વધતી જાય છે! હંમેશા સત્યનો જ વિજય થાય છે.