વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના મુદ્દે આજે બનાસકાંઠામાં ઠાકોર સેનાના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ અમીરગઢ હાઈવે અને આબુ રોડ-પાલનપુર નેશનલ હાઈવે પર દેખાવો કર્યા હતા. તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પર ગંભીર આક્ષેપો કર્યાં હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન ઠાકોર સેનાના કાર્યકરોએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યકરોનો આરોપ છે કે, વિધાનસભા અધ્યક્ષ ‘હાથમાં વિસ્કી ને આંખોમાં પાણી’ ગાનાર કલાકારોનું સન્માન કરે છે, પરંતુ ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી રહી છે.
આ સાથે જ ઠાકોર સેનાના કાર્યકરોએ અભિનેતા વિક્રમ ઠાકોરને આગામી વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે ચૂંટણી લડવા માટે વિનંતી કરીને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કરતા મામલો શાંત પડવાને બદલે વધુ ગરમાયો છે.
બીજી તરફ પોલીસે આબુ રોડ-પાલનપુર નેશનલ હાઈવે પર દેખાવ કરી રહેલા ઠાકોર સમાજના લોકોને રોક્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ઠાકોર સેનાના કાર્યકરો જોડાયા હતા. તેમણે ઠાકોર સમાજના કલાકારોની અવગણના બદલ તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી.
આ અંગે અમીરગઢ તાલુકા યુવા ઠાકોર સમાજ અગ્રણી અરવિંદ ઠાકોરે જણાવ્યું હતું કે, “તાજેતરમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વિધાનસભામાં ગાયક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં ઠાકોર સમાજના એક પણ કલાકારને બોલાવવામાં આવ્યા નહોતા. જેને લઈને ઠાકોર સમાજમાંથી આવતા ગાયક અને ગુજરાતી ફિલ્મોના અભિનેતા વિક્રમ ઠાકોરે પોતાની વેદના વ્યક્ત કરી હતી. અમે તેમના સમર્થનમાં આ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છીએ.
આ પણ વાંચો: વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી નથી
ઉલ્લેખનીય છે કે, વિક્રમ ઠાકોરે પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ઠાકોર સમાજના સિંગર સહિત સમગ્ર ઠાકોર સમાજનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. એ પછી સમગ્ર રાજ્યમાંથી ઠાકોર સમાજના અગ્રણીઓ, આગેવાનો તેના સમર્થનમાં સામે આવ્યા હતા. હવે ઠાકોર સેનાએ વિક્રમ ઠાકોરને શંકર ચૌધરી સામે ચૂંટણી લડવા કહ્યું છે.
અરવિંદ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, “અમને એવું લાગી રહ્યું છે કે શંકર ચૌધરી બનાસકાંઠા લોકસભા ચૂંટણીની હારનો બદલો લઈ રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે જેની વિરુદ્ધમાં જઈને એક ગાયક દારૂનું ગીત ગાય છે. છતાં એવા ગાયકોને શંકર ચૌધરી વિધાનસભામાં બોલાવી તેમનું સન્માન કરે છે, આ ગુજરાત માટે શરમજનક બાબત છે.”
અરવિંદ ઠાકોરે આગળ કહ્યું કે, “આ યુવા ધન આવા ગીતોના કારણે બરબાદ થઈ રહ્યું છે. હું ઠાકોર સમાજના ગાયક વિક્રમ ઠાકોરને કહેવા માંગું છું કે, આપ આવો અને 2027માં જ્યાં શંકરભાઈ ચૌધરી ચૂંટણી લડે છે ત્યાં તેમની સામે ચૂંટણી લડો, ઠાકોર સમાજની સાથે અઢારે આલમ તન મન ધનથી તમને જીતાડશે.”
આ પણ વાંચો: વિધાનસભાની કાર્યવાહી જોવામાં ઠાકોર કલાકારોની બાદબાકી કેમ?