એક બાજુ દેશભરમાં ભાજપ દ્વારા વકફ બોર્ડ દ્વારા ખોટી રીતે જમીનો પચાવી પાડ્યાની વાતો ઉડાડીને કોમી ધ્રુવીકરણ કરવા પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે નડિયાદમાં તેનાથી તદ્દન ઉલટી ઘટના સામે આવી અહીં છે. અહીં નગરપાલિકાના પૂર્વ પ્રમુખે પોતાના પેટ્રોલ પંપની બાજુમાં આવેલી વકફ બોર્ડની સોનાની લગડી જેવી જમીન ખોટા દસ્તાવેજો ઉભા કરીને પચાવી પાડી હતી. જો કે હાઈકોર્ટે તેને મોટા ઝટકો આપ્યો છે.
નડિયાદ શહેરમાં પારસ સર્કલ પાસે આવેલી વકફ બોર્ડની જમીન કૌભાંડ આચરીને પચાવી પાડનાર સંજય દેસાઇને આ જમીન બે અઠવાડિયામાં ટ્રસ્ટને પરત કરવાનો હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.પારસ સર્કલ પાસે નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ સંજય ભાસ્કરભાઇ દેસાઇનો પેટ્રોલ પંપ આવેલો છે. જેની પાસે જ વકફ બોર્ડની જમીન છે. સંજય દેસાઇએ આ વકફ બોર્ડની જમીન પચાવી પાડવા માટે એક કારસો રચીને, બનાવટી દસ્તાવેજો બનાવી અને આ જમીન વર્ષ 2023 માં પચાવી લીધી હતી. જેને લઇને સરકાર દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી
સમગ્ર મામલે સંજય દેસાઇની પોલીસ દ્વારા ધરપકડ કરે તે પહેલાં જ તેણે હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે મામલો મંગળવારે હાઇકોર્ટમાં ચાલતાં કોર્ટ દ્વારા સંજય દેસાઇને તેણે ખોટી રીતે કૌભાંડ આચરીને પચાવી પાડેલી વકફ બોર્ડની જમીન બે અઠવાડિયામાં ટ્રસ્ટને પરત સોંપવાનો હુકમ કરી, શરતી જામીન મંજુર કર્યા હતા. જોકે બે સપ્તાહમાં જમીન પરત કરવામાં ચૂક કરી તો સમન્સ બજાવવાનો પણ આદેશ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
વર્ષ 2023માં મોટું કૌભાંડ આચર્યું હતું
ઉલ્લેખનીય છે કે નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજય દેસાઈએ આચરેલાં કૌભાંડને લઇને વર્ષ 2023 માં ભારે ચકચાર મચી હતી. એક પછી એક કૌભાંડો સામે આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા અને પોતાની જમીનનો વેપલો બારોબાર નથી થઇ ગયો ને તેની પણ ચકાસણી કરવા લાગ્યા હતા. અન્ય જમીન કૌભાંડોમાં સંજયે સમાધાન કર્યું હતું.
આ પણ વાંચો: વકફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં
સંજય દેસાઇ દ્વારા વકફ બોર્ડના જમીન કૌભાંડ પહેલાં ચકલાસી અને ઉત્તરસંડાની જમીનો પણ પચાવી પાડવાના કૌભાંડ આચર્યા હતા. જોકે, એ કૌભાંડોમાં સમાધાન થઇ ગયું હતું.
નકલી દસ્તાવેજો બનાવ્યા છતાં પોલીસે કાર્યવાહી ન કરી
અગાઉના જમીન કૌભાંડમાં સંજય દેસાઇએ પોતાના મળતીયાઓ સાથે નકલી આધારકાર્ડ, પાવર ઓફ એટર્ની સહિતના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવા છતાં પણ તેની સામે કે આ દસ્તાવેજો બનાવનારાઓ સામે નક્કર કાર્યવાહી પોલીસ કે સરકાર દ્વારા કરવામાં આવી નથી. જેને લઇને અનેક સવાલો ઉપસ્થિત થયા છે.
કૌભાંડ આચરી વિદેશ ભાગી ગઈ બધું મેનેજ કર્યું
સંજય દેસાઇ કૌભાંડ કરી વિદેશ ભાગી ગયો હતો ચકલાસી અને ઉત્તરસંડાની જમીનોમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર સંજય દેસાઇ મામલો પ્રકાશમાં આવતાં જ વિદેશ ફરાર થઇ ગયો હતો. 2023 માં વિદેશ ગયેલાં સંજય દેસાઇએ ત્યાંથી જ તમામ બાબતો મેનેજ કરી લીધી અને બાદમાં નડિયાદ પરત ફર્યો હતો. જોકે, પોલીસે સમગ્ર મામલામાં સંજય દેસાઇને ભરપુર બફર ટાઇમ આપ્યો હોવાની પણ ચર્ચા છે.
આ પણ વાંચો: હોળીમાં ડીજે વગાડવા બદલ દલિત યુવકની છરી મારી હત્યા