BJP Leader Shot Wife: ઉત્તર પ્રદેશના સહારનપુર(Saharanpur)માં એક ભાજપ નેતાએ તેની પત્ની અને ત્રણ બાળકોને ગોળી મારી દીધી. જેમાં બાળકોના મોત થયા છે અને પત્ની ગંભીર રીતે ઘાયલ (BJP Leader Shot Wife)થઈ હતી. આરોપી યોગેશ રોહિલા (Yogesh Rohila) ભાજપની જિલ્લા કારોબારીનો સભ્ય છે. આ પહેલા તે ભારતીય જનતા યુવા મોરચા (BJYM) નો જિલ્લા ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યો છે. ઘટના બાદ યોગેશે પોતે પોલીસને જાણ કરી હતી કે તેણે તેની પત્ની અને ત્રણ બાળકોને ગોળી મારી દીધી છે.
યોગેશને પત્નીના ચરિત્ર પર શક હતો
આ ઘટના સહારનપુરના ગંગોહ શહેરમાં બની હતી. 22 માર્ચને શનિવારના રોજ, ભાજપ નેતા યોગેશે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યોગેશને તેની પત્ની પર શંકા હતી, જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. આ હુમલામાં યોગેશની ૧૧ વર્ષની પુત્રી શ્રદ્ધા, ૬ વર્ષના મોટો પુત્ર દેવાંશ અને ૪ વર્ષના નાના પુત્ર શિવાંશનું મોત થયું છે. જ્યારે પત્ની નેહા (31) ગંભીર રીતે ઘાયલ છે. જેની મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. પત્નીને કાનપટ્ટી પર ગોળી વાગી છે. સ્થાનિકોએ જણાવ્યું કે બપોરે 2:30 વાગ્યાની આસપાસ ઘરમાંથી ગોળીબારના અવાજો સંભળાયા. જ્યારે પડોશીઓ ઘરે ગયા અને જોયું તો પત્ની અને ત્રણ બાળકો લોહીથી લથપથ પડેલા હતા અને યોગેશ તેમની બાજુમાં ઊભો હતો.

આ પણ વાંચોઃ નડિયાદમાં ભાજપના નેતાએ વકફ બોર્ડની જમીન પચાવી પાડી
યુપીના સહારનપુરમાં ભાજપના નેતા યોગેશ રોહિલાએ પત્ની અને ત્રણ બાળકોને પિસ્તોલથી ગોળી મારી દીધી. ત્રણેય બાળકોના મોત થઈ ગયા છે. પત્નીની હાલત ગંભીર છે. પોલીસે આરોપીને પકડી લીધો છે. #YogeshRohilla #Saharanpur #TripleMurder pic.twitter.com/oNP9Bxfi0u
— khabar Antar (@Khabarantar01) March 23, 2025
પહેલા દીકરી, પછી પત્નીને ગોળી મારી
પડોશીઓએ જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે લગભગ દરરોજ ઝઘડા થતા હતા. યોગેશને શંકા હતી કે તેની પત્નીને કોઈ બીજા સાથે અફેર છે. ઘટનાના દિવસે પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આરોપી યોગેશે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે તે તેની પત્ની સાથે ઝઘડો કરી રહ્યો હતો, ત્યારે બાળકો તેમની માતાનો પક્ષ લેવા લાગ્યા હતા. જે સહન ન થતા તેણે પિસ્તોલ કાઢી અને પહેલી ગોળી મોટી પુત્રી શ્રદ્ધા પર ચલાવી. એ પછી પોતાનો જીવ બચાવવા માટે, નેહા તેના નાના દીકરા શિવાંશને લઈને ઘરની બહાર દોડી ગઈ. પણ આરોપી યોગેશે તેમને દોડાવીને રસ્તા પર માતા-પુત્રને ગોળી મારી દીધી. ગોળી વાગતાની સાથે જ તે જમીન પર પડી ગઈ. એ દરમિયાન મોટો દીકરો દેવાંશ ઘરના બીજા માળે ભાગીને જતો ગયો. પણ આરોપીએ ત્યાં જઈને તેને પણ ગોળી મારી દીધી.

SSP રોહિત સિંહ સાજવાણે જણાવ્યું કે આરોપી યોગેશે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી, તેથી તેણે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી આ ગુનો કર્યો હતો. પોલીસે પિસ્તોલ કબજે કરી છે અને આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે અને કેસની તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચોઃ ભાજપ શાસિત નગરપાલિકાના દલિત અધ્યક્ષે આત્મહત્યાની ધમકી આપી










