Honor Killing: મહિલાઓને સ્વતંત્રતા અને સમાનતાનો અધિકાર અપાવનાર ડો.આંબેડકરની 134મી જન્મજયંતીના દિવસે જ ઓનક કિલીંગની એક ચોંકાવનારી ઘટના સામે છે. જેમાં એક દલિત યુવકને પ્રેમ કરતી એક છોકરીની તેની માતાએ જ ગળું દબાવીને હત્યા કરી નાખી. એટલું જ નહીં, એ પછી તેના મૃતદેહના છાનામાના અગ્નિસંસ્કાર કરી દીધાં.
ઘટના આંધ્રપ્રદેશના તિરુપતિ(Turipati)ની છે. જ્યાં આ શંકાસ્પદ ઓનર કિલિંગ(Honor Killing)નો મામલો પ્રકાશમાં આવ્યો છે. તિરુપતિ જિલ્લાના ચંદ્રગિરિ વિસ્તારમાં 16 વર્ષની એક છોકરીની તેની જ માતા દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. શરૂઆતમાં આ એક સામાન્ય મૃત્યુ કેસ લાગતો હતો, પરંતુ પોલીસ તપાસમાં ભયાનક સત્ય બહાર આવ્યું હતું. છોકરીની માતાએ કથિત રીતે તેની પુત્રીની એટલા માટે હત્યા કરી નાખી કારણ કે તે એક દલિત યુવક સાથે પ્રેમસંબંધમાં હતી.
મામલો શું હતો?
છોકરીને બાજુના ગામના દલિત યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધથી તે ગર્ભવતી થઈ હતી. આ બાબતની જાણ થયા પછી છોકરીની માતાએ તેનો ગર્ભપાત કરાવ્યો. વારંવાર ચેતવણી આપવા છતાં તેણે દલિત યુવકને મળવાનું ચાલુ રાખ્યું હતું. માતાએ POCSO હેઠળ કેસ પણ દાખલ કર્યો. જેમાં છોકરાની ધરપકડ કરવામાં આવી હતી. પણ છોકરી તેને સાચો પ્રેમ કરતી હોવાથી જેલમાં પણ તેને મળતી રહી. હાલમાં જ છોકરો જેલમાંથી મુક્ત થયો હતો અને ત્યારબાદ બંને પ્રેમીઓ ફરી મળવા લાગ્યા હતા. જેના કારણે તેની માતા ગુસ્સામાં હતી.
હત્યા કેવી રીતે થઈ?
એવું કહેવાય છે કે પરિવારના અન્ય સભ્યો પણ આ ઘટનાથી ગુસ્સે હતા. છોકરીની દાદી અને કાકાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે દલિત યુવકને પ્રેમ કરતી હોવાથી કોઈનું સાંભળવા તૈયાર નહોતી. દરમિયાન ગયા અઠવાડિયે તેની માતાએ તેને ફોન લઈને બહાર જતી જોઈ. તેણે ગુસ્સે થઈને તેને ઠપકો આપ્યો હતો. પણ તે વારંવારના ટોર્ચરથી કંટાળી ગઈ હોવાથી તેની માતાની સામે થઈ ગઈ હતી અને તેનો પ્રતિકાર કર્યો હતો. જેના કારણે તેની માતા વધારે ગુસ્સે ભરાઈ હતી અને તેણે પુત્રીને પાછળથી પકડીને તેનું મોં અને નાક બંધ કરીને ગળું દબાવી દીધું હતું. એ પછી છોકરી પડી ગઈ અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
મૃતદેહના અંતિમ સંસ્કાર કરી નાખ્યા
આ ઘટના બાદ છોકરીની માતા ડરી ગઈ. તે ઘર બંધ કરીને તિરુમાલા જતી રહી, જ્યાં તે સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી. બીજા દિવસે સવારે તેણીએ તેના પતિને ફોન કર્યો અને તેમને પુત્રીની ખબર પૂછવા કહ્યું. તેના પિતાએ ઘરે જઈને જોતા તેનું મોત થઈ ગયું હતું. તેમણે સગાસંબંધીઓને જાણ કરી. પુરાવાનો નાશ કરવા માટે પરિવારે પોલીસ અધિકારીઓને જાણ કર્યા વિના નજીકના નહેર વિસ્તારમાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરી નાખ્યા.
ઘટના કેવી રીતે પ્રકાશમાં આવી?
આ મામલો ચાર દિવસ પછી પ્રકાશમાં આવ્યો. પોલીસને આ ઘટના શંકાસ્પદ હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જે બાદ તિરુપતિ જિલ્લાના એસપી હર્ષવર્ધન રાજુએ વિગતવાર તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન છોકરીની માતા અને પરિવાર ભાંગી પડ્યો અને ગુનો કબૂલ કર્યો. આમ ઓનર કિલિંગનો મામલો પ્રકાશમાં આવ્યો. પોલીસે આરોપી માતાને કસ્ટડીમાં લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગુનાને છુપાવવામાં સંડોવાયેલા અન્ય લોકોને શોધવાના પ્રયત્નો ચાલુ છે.
આ પણ વાંચો: દલિત પ્રોફેસરને મનુવાદીઓએ વિભાગીય અધ્યક્ષ ન બનવા દીધાં
*લોકો ક્યારેય સુધરવાના નથી, જાતિવાદના મૂળિયાં બુદ્ધિઝ્મ દ્વારા જ ખતમ થઈ શકશે! ધન્યવાદ!