સુરેન્દ્રનગર શહેરમાં બેટી બચાવોનો સંદેશ આપતી એક સુંદર ઘટના બની છે. અહીં એક દલિત પરિવારમાં જન્મેલી દીકરીનું પરિવારજનોએ ઢોલનગારા વગાડીને સ્વાગત કર્યું હતું. સુરેન્દ્રનગરના નટુભાઈ જેઠાભાઈ સિંધવના પુત્ર વિશ્વનાથ અને પુત્રવધુ ભારતીબહેનના ઘરે પારણું બંધાયું હતું અને દીકરીનો જન્મ થયો હતો. સિંધવ પરિવારે દીકરીનું સ્વાગત કરવાની સાથે સમાજને ભ્રૂણ હત્યા અને બેટી વધાવોનો સંદેશ આપવા માટે દીકરીનું ઢોલનગારા વગાડી લોકોને મીઠાઈ અને ફરસાણ વહેંચીને મોં મીઠું કરાવ્યું હતું અને ગૌતમ બુદ્ધ ગૌશાળામાં દાન કર્યું હતું.
દીકરીનું ઢોલનગારા વગાડી સ્વાગત કરાયું
પિતૃપ્રધાન ભારત દેશમાં સામાન્ય રીતે દીકરાનો જન્મ થાય ત્યારે મીઠાઈ વહેંચવામાં આવે છે અને ઉત્સવ જેવો માહોલ સર્જાય છે. જો દીકરીનો જન્મ થાય તો આજે પણ લોકો તેને વધાવતા નથી. પણ સિંધવ પરિવારે આ પ્રથાની તોડવા પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચો: ડાંગની દીકરીએ ખોખો વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં મેળવ્યું સ્થાન
દંપતી વિશ્વનાથ અને ભારતીબહેનની દીકરીના સ્વાગતમાં તેમના પિતા નટુભાઈ સિંધવ દ્વારા અમરદીપ સોસાયટી સ્થિત પોતાના ઘરે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જ્યાં દીકરી જન્મ્યાંની ખુશીમાં ઉપસ્થિત સૌ લોકોને પેંડા અને ચવાણું વહેંચી ઢોલનગારા વગાડી દીકરીનું સામૈયું કરીને બેટીને વધાવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ બેટી બચાવો, બેટી પઢાવોનો સંદેશો આપતા બેનરો પણ લગાવ્યા હતા.
સુરેન્દ્રનગરમાં એક દલિત પરિવારે ‘બેટી બચાવો, બેટી વધાવો’નો સુંદર મેસેજ આપતા દીકરીનું ઢોલનગારાથી સ્વાગત કરી સૌનું મોં મીઠું કરાવી બૌદ્ધ ગૌશાળામાં દાન કર્યું હતું. અગાઉ દીકરીની માતાના લગ્ન વખતે તેમનું હાથીની અંબાડી પર ફુલેકું ફેરવવામાં આવ્યું હતું.#savegirl #surendranagar #dalit pic.twitter.com/dyI0WG8ae7
— khabar Antar (@Khabarantar01) May 8, 2025
ગૌતમ બુદ્ધ ગૌશાળામાં દાન કર્યું
દીકરીના માતાપિતા બનેલા વિશ્વનાથ સિંધવ અને ભારતીબેન સિંધવે અહીંની તથાગત ગૌતમ બુદ્ધ ગૌશાળામાં લગાવતી બીમાર અને અશક્ત ગાયોના ઘાસચારા માટે દાન કર્યું હતું. જ્યારે દીકરીના દાદા બનેલા નટુભાઈ સિંધવ અને તેમના પરિવારે નવનિર્માણ સાર્વજનિક ટ્રસ્ટમાં રૂ. 5100નું દાન કરી આ રૂપિયા યોગ્ય સામાજિક કાર્ય પાછળ વાપરવા કહ્યું હતું.
દીકરીની માતાનું હાથીની અંબાડી પર ફૂલેકું ફેરવાયું હતું
અહીં એ પણ યાદ કરવું જોઈએ કે, દીકરીની માતા બનેલા ભારતીબહેનના જ્યારે લગ્ન થયા ત્યારે તેમના સાસરિયાઓએ તેમનું હાથીની અંબાડી પર ફૂલેકું ફેરવવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર પંથકમાં આ પહેલો એવો પ્રસંગ હતો જ્યારે કોઈ દીકરીનું ફૂલેકું હાથીની અંબાડી પર ભારતનું બંધારણ હાથમાં રાખીને નીકળ્યું હોય.
આ ઐતિહાસિક ઘટનાની તે સમયે તમામ પ્રચાર માધ્યમોએ નોંધ લીધી હતી. હવે એ જ દીકરી પોતે માતા બની છે અને દીકરીના જન્મ પ્રસંગે સમાજને બેટી વધાવોનો સંદેશો આપી રહી છે. કુપ્રથાઓ આ જ રીતે પેઢી દર પેઢી ધીમી પણ મક્કમ ગતિએ બદલાતી હોય છે.
આ પણ વાંચો: 70 દલિત પરિવારોનો 4 મહિનાથી સામાજિક બહિષ્કાર કરાયો