જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તરપ્રદેશમાં એક દલિત યુવકને બ્રાહ્મણ આરોપીઓ સામે ચાલતા એક કેસમાં સાક્ષી બનવાની મોટી કિંમત ચૂકવવી પડી રહી છે. આરોપીઓએ તેને ઘરમાં ઘૂસી માર માર્યો અને જેના કારણે દલિત યુવકે ઘર છોડીને ભાગવું પડ્યું. ચોંકાવનારી વાત એ છે કે, દલિત યુવક આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા ગયો તેમ છતાં પોલીસે તેની ફરિયાદ લીધી નહોતી.
ઘટના બારાબંકીના ટિકૈતનગર શહેરની છે. અહીંના નૂરવાફમાં રહેતા દલિત યુવક અમરસિંહ ગૌતમ પર બ્રાહ્મણ આરોપીઓએ તેના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. દલિત યુવક આરોપીઓ સામે ચાલતા એક કેસમાં સાક્ષી હોવાથી તેના પર ધાક બેસાડવા માટે આરોપીઓએ તેના પર હુમલો કર્યો હોવાનું જણાય છે.
આ પણ વાંચો: બોલીવૂડની ફિલ્મોમાં હીરો દલિત કે OBC કેમ નથી હોતો?
દલિત યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી
4 જૂનના રોજ, રાત્રે લગભગ 10:30 વાગ્યે, અમર સિંહ ગૌતમ જમીને ફરવા ગયો હતો. એ દરમિયાન એ જ વિસ્તારમાં રહેતા રામુ શર્મા અને ગુરુદીન શર્માએ તેને રોકીને એક કેસમાં જુબાની આપવા બાબતે તેની સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આરોપીઓએ અમરસિંહ ગૌતમને જાતિસૂચક અપશબ્દો કહેવાનું શરૂ કર્યું અને તેને ધમકી આપી કે જો તેમના કેસમાં જુબાની આપશે તો જાનથી મારી નાખશે. એ પછી બંને લોકોએ તેને માર મારવાનું શરૂ કર્યું. અમરસિંહ ગૌતમ પોતાનો જીવ બચાવવા માટે દોડીને પોતાના ઘરમાં જતો રહ્યો હતો.
15 દિવસ પછી પણ પોલીસે ફરિયાદ નથી લીધી
પરંતુ એ પછી પણ આરોપીઓએ તેનો પીછો છોડ્યો નહોતો અને ઘરમાં ઘૂસીને તેને માર માર્યો. હોબાળો થતા પડોશીઓ આવી પહોંચ્યાં ત્યારે પરિસ્થિતિ સમજીને બંને આરોપીઓ તેને મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. અમરસિંહ ગૌતમે આ અંગે પોલીસમાં ફરિયાદ કર્યાને લગભગ 15 દિવસ થઈ ગયા છે છતાં તેનો કેસ નોંધવામાં આવ્યો નથી. તે ન્યાય મેળવવા માટે અધિકારીઓની ઓફિસોના ધક્કા ખાઈ રહ્યો છે પરંતુ તેને હજુ સુધી ન્યાય મળ્યો નથી.
દલિત યુવકે એસસી એસટી આયોગને ફરિયાદ કરી
આ અંગે દલિત યુવક અમરસિંહ ગૌતમે 21 જૂને ઉત્તર પ્રદેશના એસસી એસટી આયોગને લેખિત ફરિયાદ આપી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર કાયદો અને વ્યવસ્થા અંગે મોટા દાવાઓ કરતી યોગી આદિત્યનાથની સરકારમાં આ દલિત યુવકને ન્યાય મળે છે કે નહીં. દલિત યુવકનો આરોપ છે કે, આરોપીઓ લુખ્ખા તત્વો છે અને સતત તેને જાતિસૂચક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યાં છે. તેઓ તેને કહે છે કે, તું અમારું કશું બગાડી નહીં શકે, અમારી પહોંચ છેક ઉપર સુધી છે. હાલ તો દલિત યુવક ન્યાય માટે એસસી એસટી કમિશન તરફ નજર માંડી રહ્યો છે.
આ પણ વાંચો: દાહોદમાં મતદાર યાદીમાં દલિતો માટે પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરાયો