સુરેન્દ્રનગર(surendranagar)ને સરકારે મોટા ઉપાડે મહાનગરપાલિકા જાહેર કરી દીધું છે પરંતુ તેના રસ્તાઓ આજે પણ ગામડાના ગાડામારગ જેવા છે. સુરેન્દ્રનગર શહેરમાં દાયકાઓથી રસ્તા એ જ બિસ્માર (dilapidated roads) હાલતમાં છે. જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે નાગરિકોએ આ મામલે અવાજ ઉઠાવવો શરૂ કરતા જિલ્લા કલેક્ટરે(collector) તંત્રને 10 દિવસમાં શહેરના ભંગાર થઈ ગયેલા રસ્તાને રિપેર કરવાનો આદેશ આપ્યો છે. જો આટલા દિવસમાં રસ્તા રિપેર નહીં થાય તો જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
દૂધરેજ કેનાલનો બ્રિજ વૈકલ્પિક રસ્તા વિના બંધ કરી દીધો?
સુરેન્દ્રનગર શહેરમાં રાજકોટ બાયપાસ રોડ, સુરેન્દ્રનગર-દૂધરેજ પાસેથી પસાર થતા હાઇવે નંબર 51 રોડ અને કેનાલ નજીકના ડાયવર્ઝન રોડમાં મસમોટા ખાડા પડી ગયા છે. તંત્ર દ્વારા ટી.બી. હોસ્પિટલ પાસે નર્મદા કેનાલ પરના જર્જરિત બ્રિજને ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ યોગ્ય વૈકલ્પિક રસ્તો બનાવ્યા વિના અચાનક બંધ કરી દીધો હતો. જેના કારણે ધ્રાંગધ્રા, હળવદ, મોરબી અને કચ્છ જિલ્લા તરફ જતા હજારો વાહનોની અવરજવર અટકી પડી હતી. તંત્રની બેદરકારીને લીધે એસટીની બસો પણ દૂધરેજ કેનાલ સુધી માંડ ચાલે છે. આ તકનો લાભ લઈને ઓટોરિક્ષા ચાલકોએ મુસાફરોને લૂંટવાનું ચાલું કરી દીધું છે. આ બધી હાડમારીઓ વચ્ચે તંત્ર દ્વારા રસ્તા રિપેરીંગમાં પણ બેદરકારી દાખવતા લોકોની હાલત પડ્યા પર પાટું જેવી થઈ ગઈ છે.
વરસાદમાં શહેરના મોટાભાગના રસ્તા ધોવાયા
સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે રસ્તા બિસ્માર બન્યા છે અને તેમાં મસમોટા ખાડા પડયાં છે. જેના પગલે અનેક વાહનો સ્લીપ ખાઇ જવાના તેમજ અકસ્માત સર્જાવાના બનાવો બન્યા છે. આ મામલે ફરિયાદ ઉઠતાં જેતે કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદ વિરામ લેશે ત્યાર બાદ રિપેરિંગ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. જોકે, વરસાદે વિરામ લીધાને પંદર દિવસ વિતી ગયા બાદ પણ બિસ્માર રસ્તાનું રિપેરીંગ કામ હાથ નહીં ધરવામાં આવતા કલેક્ટરે વઢવાણ પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેના પગલે વઢવાણ પ્રાંત અધિકારીએ જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી તેઓ પોતાની જવાબદારી નિભાવાવમાં નિષ્ફળ ગયા હોવાનું જણાવી 10 દિવસમાં રોડનું રિપેરીંગ કામ હાથ ધરવા જણાવ્યું છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના વસ્તડીનો બ્રિજ 3 વર્ષથી તૂટેલો છતાં રિપેર કરાતો નથી
પ્રાંત અધિકારીએ કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી
સુરેન્દ્રનગર શહેરની જનતાને રોડ રસ્તાની યોગ્ય સુવિધા મળી રહે તે માટે કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે બિસ્માર રોડ મામલે કાર્યવાહી કરવા આદેશ કરતા વઢવાણ સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ (પ્રાંત અધિકારી) એમ. જે. ભરવાડે માર્ગ અને મકાન વિભાગ, રાષ્ટ્રીય ધોરી માર્ગ અને નર્મદા નિગમના જવાબદાર ઇજનરોને નોટિસ પાઠવી છે. જેમાં જણાવ્યું છે કે વઢવાણ-સુરેન્દ્રનગર-રતનપર શહેરી વિસ્તારમાંથી રાજકોટ-બાયપાસ અને વઢવાણ-સુરેન્દ્રનગર-દૂધરેજ શહેરી વિસ્તારમાંથી પસાર થતો નેશનલ હાઇવે-51 રોડ, અને દૂધરેજ કેનાલ નજીકનો ડાવયર્ઝન રોડ પસાર થાય છે. આપના તાબા હેઠળના આ રસ્તાઓ મરામતની જવાબદારી આપની છે. રસ્તા રીપેરીંગ માટે નક્કી થયેલા કોન્ટ્રાકટરની રસ્તા રીપેરીંગની જવાબદારી બને છે અને સમયસર રસ્તા રીપેર થઈ જાય તે માટે આપે જવાબદાર કોન્ટ્રાકટર પાસેથી રસ્તા રીપેર થઈ જાય તે સુનિશ્ચિત કરાવવાનું હોય છે તેમ છતા રસ્તાઓમાં કોઈ સુધારો કે સમારકામ જોવા મળેલ નથી. કોન્ટ્રકાકટરો કે સંબંધિત એજન્સી પાસેથી જરૂરીયાત મુજબનું કામ લેવામાં આપ સંપૂર્ણપણે નિષ્ફાળ ગયેલ હોવાનું અમારૂ માનવુ છે.
10 દિવસમાં રસ્તાનું સમારકામ કરવા આદેશ
ઉપરોક્ત રોડ પર પડેલ તમામ ખાડાઓનું 10 દિવસ (તા. ૦૮/૦૯/૨૦૨૫ સુધી)માં સમારકામ કરી રસ્તાઓ અવર-જવર યોગ્ય બનાવવા એસડીએમ એ હુકમ કર્યો છે. અને જો આમ કરવામાં નિષ્ફળ જાય તો તા. ૦૮/૦૯/૨૦૨૫ ના દિવસે સાંજે ૦૪.૦૦ વાગ્યે અત્રેની કોર્ટમાં હાજર થવું અને આ હુકમનો શા માટે અમલ ન કરવો જોઈએ તેનું કારણ બતાવવું, અથવા આ હુકમની અમલવારી કરીને અત્રે જાણ કરવી. જો તમો દ્વારા આ આદેશનું પાલન કરવામાં નહીં આવે તો ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ હેઠળ કાર્યવાહી કરવાની ફરજ પડશે. જે અંતર્ગત જેલની સજા તથા દંડની જોગવાઈઓ રહેલી છે. વધુમાં જણાવવાનું કે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ ૧૫૨ (૨) હેઠળ મેજીસ્ટ્રેટ દ્વારા કરેલા હુકમને સિવીલ કોર્ટમાં પડકારી શકાશે નહીં.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં દીકરી જન્મતા પરિવારે ઢોલ-નગારાથી સ્વાગત કર્યું