2 ઓક્ટોબર, 2025 ના રોજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) 100 વર્ષ પૂર્ણ કરશે. આ પ્રસંગે શતાબ્દી ઉજવણી ચાલી રહી છે, ત્યારે વિપક્ષી નેતાઓ RSS ની દાનત પર કેટલાક પાયાના પ્રશ્નો ઉઠાવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) ના સાંસદ સંજય સિંહે અને શિવસેના યુબીટીના સંજય રાઉતે RSS ને તેની 100મી વર્ષગાંઠ પર કેટલાક પ્રશ્નો પૂછ્યા છે.
સંજય સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો શેર કર્યો, જેમાં લખ્યું, “RSS ને તેની 100મી વર્ષગાંઠ પર કેટલાક તીક્ષ્ણ, કડવા અને સાચ સવાલો. 100 વર્ષમાં એક પણ RSS પ્રમુખ દલિત, ઓબીસી કે આદિવાસી કેમ નથી? તમારા આકાઓએ ઝીણાની મુસ્લિમ લીગ સાથે જોડાણ કરીને સરકાર કેમ બનાવી હતી? તમે સ્વતંત્રતા ચળવળ દરમિયાન ક્રાંતિકારીઓ વિશે અંગ્રેજોને માહિતી કેમ આપી હતી? બ્રિટિશ સેનામાં RSS ના સભ્યોની ભરતી કેમ કરવામાં આવી હતી? સંઘે ભારતની આન-બાન અને શાન એવા ત્રિરંગા ઝંડાનો વિરોધ કેમ કર્યો હતો? 52 વર્ષ સુધી RSS હેડક્વાર્ટર પર ત્રિરંગો ધ્વજ કેમ ન ફરકાવ્યો? જેઓ દેશના ન થયા અમે તેમના નથી.

આ પણ વાંચો: RSS ના ચામૂ કૃષ્ણ શાસ્ત્રીની લાયકાત કેમ છુપાવાઈ રહી છે?
કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે પણ આ પ્રસંગે એક પોસ્ટમાં RSS પર નિશાન સાધ્યું હતું. તેમની પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે શું દિલ્હીની શાળાઓ હવે RSSને અભ્યાસક્રમનો ભાગ બનાવીને ભણાવશે? આગળ શું થશે? શું નાથુરામ ગોડસેને “દેશભક્ત” તરીકે ભણાવવામાં આવશે? RSS ઇતિહાસ બદલવા માંગે છે કારણ કે તેનો પોતાનો કોઈ ઇતિહાસ નથી. આરએસએસ વર્ષ 1942 ના ભારત છોડો આંદોલનનો ભાગ નહોતો. તેણે બ્રિટિશરો સામેના આંદોલનમાં ભાગ લીધો ન હતો. પરંતુ તે ગાંધીજીની હત્યા સમયે હાજર હતો.

મણિકમ ટાગોર આગળ લખે છે કે, જો બાળકોને RSS ની “સ્વતંત્રતા સંગ્રામમાં ભૂમિકા” ભણાવવામાં આવશે, તો શું તેમાં એટલું લખ્યું હશે કે એ પાનું જાણી જોઈને છોડી દેવામાં આવ્યું હતું? આ શિક્ષણ નથી. શિક્ષણ વિજ્ઞાન, જ્ઞાન અને બંધારણીય મૂલ્યો માટે હોય છે, શાખા-શૈલીમાં બ્રેઈનવોશ કરવા માટે નહીં.
આ પણ વાંચો: દલિતોના ઉત્થાન માટે RSS ના રામરાજ્યની નહીં આંબેડકર યુગની જરૂર છે
પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે RSS એ જવાબ આપવો જોઈએ કે તેણે ત્રિરંગાનો વિરોધ કેમ કર્યો, સ્વતંત્રતા સંગ્રામમાં શા માટે ભાગ ન લીધો અને ગાંધીજીની હત્યા પછી તેના પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આપણા બાળકોએ સાચો ઇતિહાસ શીખવો જોઈએ, પ્રચાર નહીં. દિલ્હીની શાળાઓએ RSS ના જૂઠાણા નહીં પરંતુ સત્ય શીખવાડવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, પોતાને રાષ્ટ્રવાદી ગણાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને આજે દશેરાએ 100 વર્ષ પૂર્ણ થયા છે. સંઘ પર તેની કટ્ટર જાતિવાદી વિચારધારા હેઠળ દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓના હકો પર તરાપ મારી તેમને કાયમ ગુલામ જેવી સ્થિતિમાં રાખવાના આરોપો લાગતા રહે છે. ભાજપ આરએસએસની રાજકીય પાંખ ગણાય છે અને ખુદ વડાપ્રધાન મોદી તેના કાર્યકર તરીકે વર્ષો સુધી કામ કરી ચૂક્યા છે. સંઘ પર દેશની આઝાદીમાં ભાગ ન લેવો, અંગ્રેજો સાથે હાથ મિલાવી લેવા અને ગાંધીજીની હત્યા સહિતના અનેક આરોપો લાગતા રહે છે. તેમ છતાં સંઘ પોતાને રાષ્ટ્રવાદી સાંસ્કૃતિક સંગઠન ગણાવે છે. જેને લઈને વારંવાર પ્રશ્નો ઉભા થાય છે.
આ પણ વાંચો: CJI ગવઈની માતાએ RSS ના કાર્યક્રમમાં હાજરી આપવાનો ‘ઈનકાર’ કર્યો?










