બિહાર વિધાનસભા ચૂંટણી 2025(Bihar Assembly election 2025)ના ચૂંટણીના પરિણામો(results) આવી ગયા છે. NDAએ પ્રચંડ બહુમતી મેળવી છે, જ્યારે મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જો કે, આ વખતની ચૂંટણી મુસ્લિમ સમાજના પ્રતિનિધિત્વને(Muslim representation) લઈને એક ચિંતાજનક સવાલ ઉભો થયો છે. આ વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ઘટીને 11 થઈ ગઈ છે, જે 1951-52ની વિધાનસભા ચૂંટણી પછી સૌથી ઓછી છે.
બિહારમાં લગભગ 18 % મુસ્લિમ વસ્તી છે. છતાં, 2025ની વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 11 ધારાસભ્યો જ જીત્યા છે. આનો અર્થ એ થયો કે મુસ્લિમ વસ્તીના 1 ટકાએ 1 ધારાસભ્ય પણ નથી. બિહારની પહેલી વિધાનસભા ચૂંટણી 1951-52માં યોજાઈ હતી. ત્યારથી, વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ક્યારેય આટલી ઓછી રહી નથી. 11 મુસ્લિમ ધારાસભ્યોમાંથી 05 અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)ની પાર્ટી AIMIMના છે. 03 મુસ્લિમ ધારાસભ્યો RJD, 02 કોંગ્રેસ અને 01 JDUમાંથી જીત્યા છે.

સીમાંચલમાં ઓવૈસીનો દબદબો યથાવત
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, AIMIM એ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. 2020 ની જેમ, 2025 ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમની પાર્ટીએ સીમાંચલમાં 05 બેઠકો જીતી હતી. AIMIM ના મુર્શીદ આલમે જોકીહાટ, તૌસીફ આલમે બહાદુરગંજ, સરવર આલમે કોચાધામણ, અખ્તરુલ ઇમાન અમૌરથી અને ગુલામ સરવર બાયસીથી જીત્યા છે.
આ પણ વાંચો: આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 9 ભક્તોના મોત; અનેક ઈજાગ્રસ્ત

આ સાથે, ઓવૈસીએ તેજસ્વી યાદવ(Tejashwi Yadav) અને RJD સાથે પણ પોતાનો હિસાબ બરાબર કર્યો છે. 2020 ની વિધાનસભા ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના 05 ધારાસભ્યો જીત્યા હતા. પાંચેય સીમાંચલના હતા, જ્યાં મુસ્લિમ મતદારો નિર્ણાયક સંખ્યામાં છે. આ પાંચ બેઠકો અમોર, બહાદુરગંજ, બૈસી, જોકીહાટ અને કોચાધામન હતી. જોકે, ચૂંટણીના થોડા મહિના પછી જ, RJDએ તેમના 4 ધારાસભ્યોને તોડીને પોતાનામાં ભેળવી દીધા લીધા. AIMIM પક્ષના બિહારના વડા અને અમરોહા વિધાનસભા બેઠકના પક્ષના ધારાસભ્ય અખ્તરુલ ઈમાન ઓવૈસીની સાથે રહ્યા.
એ વખતે ઓવૈસીએ તેજસ્વી યાદવ પર તેમની પાર્ટીને ખતમ કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હવે AIMIM એ 4 બેઠકોમાંથી 3 પર કબજો કરી લીધો છે જ્યાં તેમના ધારાસભ્યો જીત્યા પછી RJD માં જોડાયા હતા. આ બેઠકો જોકીહાટ, કોચધામણ અને બાયસી છે.
RJD સાથે જોડાણ કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા અખ્તરુલ ઈમાનએ RJD સુપ્રીમો લાલુ યાદવને પત્ર લખીને ગઠબંધનમાં જોડાવાનું કહ્યું હતું. પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ઉલટાનું RJD ના નેતાઓએ ઓવૈસીને હૈદરાબાદમાં જ રહેવાની સલાહ આપી હતી. વધુમાં, એક મુલાકાતમાં તેજસ્વી યાદવે ઓવૈસીને “ઉગ્રવાદી” ગણાવ્યા હતા. ત્યારથી ઓવૈસીનો ચૂંટણી પ્રચાર ખૂબ આક્રમક રહ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે તેજસ્વી તેમને “ઉગ્રવાદી” કહી રહ્યા છે કારણ કે તેઓ ટોપી પહેરે છે, દાઢી રાખે છે અને નમાજ પઢે છે.
RJDના 18 માંથી માત્ર 3 મુસ્લિમ ધારાસભ્યો જીત્યા
આ ચૂંટણીમાં આરજેડીએ 18 મુસ્લિમ નેતાઓને ટિકિટ આપી હતી, પરંતુ તેમાંથી ફક્ત 3 જ જીત્યા છે. મજબૂત નેતા અને આરજેડીના ભૂતપૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનના પુત્ર ઓસામા શહાબે સિવાનની રઘુનાથપુર બેઠક જીતી, જેડીયુના વિકાસ કુમાર સિંહને 9248 મતોથી હરાવ્યા. શહાબુદ્દીનના પરિવારના સભ્યએ છેલ્લી વાર 21 વર્ષ પહેલાં ચૂંટણી જીતી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં બળાત્કારની 9000 ઘટનાઓ નોંધાઈ
ઓસામા ઉપરાંત આરજેડીના ફૈઝલ રહેમાને પૂર્વ ચંપારણની ઢાકા બેઠક જીતી છે. તેમણે ભાજપના પવન કુમાર જયસ્વાલને 178 મતોથી હરાવ્યા હતા. મધુબની જિલ્લાની બિસ્ફી બેઠક પર, આરજેડીના ઉમેદવાર આસિફ અહેમદે ભાજપના ઉમેદવાર હરિભૂષણ ઠાકુર બચૌલને 8,107 મતોથી હરાવ્યા હતા. આસિફ અહેમદ આરજેડીના રાજ્યસભા સાંસદ ફયાઝ અહેમદના પુત્ર છે.
કોંગ્રેસના 6 માંથી 2 ધારાસભ્ય મુસ્લિમ છે
કોંગ્રેસે 61 માંથી 10 બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આમાંથી ફક્ત 2 ઉમેદવારો ધારાસભ્ય બન્યા છે. બંને સીમાંચલમાં છે, જે બેઠકો પાર્ટીએ ગઈ વખતે જીતી હતી. તેના ઉમેદવારો મોહમ્મદ કમરુલ હોદા કિશનગંજમાં અને અબીદુર રહેમાન અરરિયામાં જીત્યા. જોકે, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા શકીલ અહેમદ ખાન JDUના દુલાલ ચંદ્ર ગોસ્વામી સામે 18,368 મતોથી હારી ગયા હતા.
જેડીયુના 4 મુસ્લિમ ઉમેદવારોમાંથી 1 જિત્યા
નીતિશ કુમારની આગેવાની હેઠળના JDUએ 4 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આમાંથી, ફક્ત મોહમ્મદ જામા ખાન કૈમુર જિલ્લાની ચૈનપુર બેઠક પરથી જીત્યા હતા. જામા ખાન 2020 માં BSP ટિકિટ પર જીત્યા હતા, પરંતુ પછીથી JDUમાં જોડાયા હતા. નીતિશ કુમારે તેમને પોતાના મંત્રીમંડળમાં સામેલ કર્યા હતા.
એલજેપી(રામવિલાસ)ના એક ધારાસભ્ય જિત્યા
NDAના અન્ય ઘટક પક્ષ LJP (રામ વિલાસ) એ કિશનગંજ જિલ્લાની બહાદુરગંજ બેઠક પરથી મુસ્લિમ ઉમેદવાર મોહમ્મદ કલીમુદ્દીનને મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે AIMIMના મોહમ્મદ તૌસિફ આલમ કરતાં 28,000 મતોના માર્જિનથી જીત મેળવી છે. કોંગ્રેસના મોહમ્મદ મસવ્વર આલમ બીજા સ્થાને રહ્યા અને કલીમુદ્દીન ત્રીજા સ્થાને રહ્યા હતા.
આ પણ વાંચો: પોલીસે મર્ડરમાં 5 નિર્દોષ આદિવાસીને ફસાવ્યા, પૈસા ન હોવાથી જમીન લઈ લીધી
બિહારમાં મુસ્લિમ ધારાસભ્યોનો ઈતિહાસ
બિહારમાં યોજાયેલી 1951-52 ની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં 24 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હતા. ત્યારબાદ, 1957ની ચૂંટણીમાં 25 મુસ્લિમ ધારાસભ્યો અને 1962ની ચૂંટણીમાં 21 ધારાસભ્યો જીત્યા હતા. 1967ની ચૂંટણીમાં 18 મુસ્લિમો જીત્યા, અને 1969ની ચૂંટણીમાં 19 મુસ્લિમો વિધાનસભા ગૃહમાં પ્રવેશ્યા હતા. 1972 અને 1977ની ચૂંટણીમાં 25-25 મુસ્લિમ ધારાસભ્યો જીત્યા હતા.
ત્યારબાદ 1980ની ચૂંટણીમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા વધી, જેમાં 28 મુસ્લિમો જીત્યા હતા. 1985ની ચૂંટણીમાં 34 મુસ્લિમો જીત્યા હતા. ત્યારબાદ 1990માં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ઘટીને 20 થઈ ગઈ. ત્યારબાદ 1995ની ચૂંટણીમાં 19 મુસ્લિમો ચૂંટાઈ આવ્યા હતા. 2015માં જ્યારે લાલુ અને નીતિશ એક થયા, ત્યારે મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા વધીને 24 થઈ ગઈ હતી. ત્યારબાદ, 2020ની વિધાનસભા ચૂંટણીમાં, ફક્ત 19 મુસ્લિમો ઉમેદવારો ધારાસભ્ય બન્યા હતા. હવે આ આંકડો ઘટીને 11 પર આવી ગયો છે, જે દેશના બિનસાંપ્રદાયિક માળખા માટે ખતરનાક છે.
આ પણ વાંચો: ‘કેજરીવાલની સભામાં કેમ ગયો?’ કહી ભાજપ નેતાએ દલિતને ગાળો ભાંડી










