Honor Killing: ભારતમાં આંતરજાતીય લગ્નોમાં જાતિવાદી તત્વોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ પ્રેમી યુગલની હત્યા કરી નાખે છે. આવા અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં બન્યાં છે અને તાજો કિસ્સો ડો.આંબેડકરના વતન મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે. જ્યાં એક બૌદ્ધ ધર્મી યુવકની તેમની હિંદુ પ્રેમિકાના પરિવારજનોએ મળીને હત્યા કરી નાખી હતી. એ પછી યુવતીએ યુવકના મૃતદેહ સાથે લગ્ન કર્યા હતા અને આજીવન તેની માતાની સાથે રહીને તેમની સેવા કરવાનું નક્કી કર્યું હતું. સાથે જ યુવતીએ તેના પ્રેમીના હત્યારા એવા તેના પિતા અને ભાઈઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે.
મામલો મહારાષ્ટ્રના નાંદેડનો છે. જ્યાં એક દલિત બૌદ્ધ યુવકની તેની હિંદુ પ્રેમિકાના પિતા અને પરિવારજનોએ મળીને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં જાતિવાદના મૂળ કેટલા ઉંડા છે અને આંતરજાતીય લગ્નો માટે સમાજમાં કેવી સ્થિતિ પ્રવર્તે છે તેને ઉજાગર કરે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, લોકોને કાયદાનો કોઈ ડર નથી. આ સમગ્ર ઘટના માત્ર બર્બરતાની હદ જ નથી વટાવતી, પરંતુ સમાજમાં હજુ પણ અસ્તિત્વમાં રહેલા જાતિગત કટ્ટરતાનું ભયાનક ચિત્ર પણ રજૂ કરે છે.

આ પણ વાંચો: દલિત યુવકની તેના જન્મદિવસે જ રાજપૂતોએ જાહેરમાં હત્યા કરી
આ ઘટના નાંદેડના મિલિંદ નગર વિસ્તારમાં બની હતી. અહીં સક્ષમ તાટે અને આંચલ મામિડવાર છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. સક્ષમ આંચલના ભાઈનો મિત્ર હતો, અને તેમના ઘરે વારંવાર આવતો-જતો હોવાથી બંને વચ્ચે પ્રેમંબંધ બંધાયો હતો અને લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ આંચલના પિતા અને ભાઈને આ સંબંધની જાણ થતાં જ, પરિવારે તેનો સખત વિરોધ કર્યો કારણ કે સક્ષમ દલિત બૌદ્ધ જાતિનો હતો. પરિવાર તરફથી સતત ધમકીઓ અને દબાણ છતાં, આંચલ તેના નિર્ણય પર અડગ રહી, જેના કારણે તણાવ વધુ વધ્યો હતો.

પોલીસ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા
(27 નવેમ્બર) ગુરુવારે સાંજે ઇટવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્ષમ તાટેનો મૃતદેહ મળી આવ્યો, જેનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સક્ષમને પહેલા ખૂબ માર મારવામાં આવ્યો હતો, પછી માથામાં ગોળી મારી દેવામાં આવી હતી અને પછી તે ઓળખાય નહીં તે માટે તેનું માથું મોટા પથ્થરથી કચડી નાખવામાં આવ્યું હતું. હત્યાની ક્રૂરતા દર્શાવે છે કે આખા કાવતરાને અત્યંત કટ્ટરતા અને ગુસ્સામાં અંજામ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ‘હું દરબાર છું’ કહીને મહેસાણામાં રજપૂત યુવકે દલિત યુવકને માર્યો
પ્રેમિકા આંચલે સક્ષણના મૃતદેહ સાથે લગ્ન કર્યા
આ ઘટનાનું સૌથી સનસનાટીભર્યું પાસું એ પછી પ્રકાશમાં આવ્યું હતું. સક્ષમના મૃત્યુના સમાચાર મળતાં જ, આંચલ તેના ઘરે દોડી ગઈ. અંતિમ સંસ્કાર પહેલાં તે સક્ષમના મૃતદેહની બાજુમાં બેઠી, તેના શરીર પર પીઠી લગાવી, તેના માથા પર સિંદૂર લગાવ્યું અને પોતાની માંગમાં સક્ષમના નામનું સિંદૂર ભરી દીધું. બિલકુલ એવી રીતે, જે રીતે એક કન્યા લગ્ન દરમિયાન તેના વર સાથે કરે છે. આંચલે બધાની હાજરીમાં જાહેરાત કરી કે તેણે સક્ષમ સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે તેના ઘરે જ રહેશે અને તેના પરિવારની સાથે જ રહીને તેની માતાની સેવા કરશે.
પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી
આંચલનું આ પગલું સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. સમાજમાં એકબાજુ આટલો ગંભીર ગુનો સામે આવ્યો છે, બીજી તરફ એક પ્રેમીનો તેના મૃત પ્રેમી સાથે લગ્ન કરવાનો અને તેના પરિવાર સાથે રહેવાનો નિર્ણય આ કેસને વધુ ભાવનાત્મક અને પ્રતીકાત્મક બનાવે છે. પોલીસે સક્ષમની હત્યાના સંદર્ભમાં આંચલના પરિવાર સામે ગંભીર આરોપોની તપાસ શરૂ કરી છે અને ઘણા લોકોની પૂછપરછ કરી છે. આંચલે કહ્યું, “મારા સક્ષમે મારો પ્રેમ જીતી લીધો; મરીને પણ તે જીતી ગયો; મારા પિતા અને ભાઈ હારી ગયા.”
આ પણ વાંચો: કૉલેજિયન દલિત યુવકે 3 સવર્ણોએ માર મારતા આપઘાત કર્યો
પોલીસે પાંચ લોકોની ધરપકડ
નાંદેડ પોલીસના વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રશાંત શિંદેએ જણાવ્યું હતું કે આ કેસમાં એક સગીર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ગજાનન બાંબિલવાડ, સાહિલ સિંહ ઉર્ફે મદન સિંહ ઠાકુર, સોમેશ લકે, વેદાંત ફંડેકર અને એક સગીરનો સમાવેશ થાય છે. આ કેસમાં એટ્રોસિટી(SC-ST Act) અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બહેને દલિત યુવક સાથે લગ્ન કરતા ભાઈઓએ 5 ગોળી મારી દીધી












