Tribal News: વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આજે એક આદિવાસી યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પત્ની સાથેના ઝઘડા બાદ અટકાયત કરાયેલા 40 વર્ષીય આદિવાસી યુવક રમેશ વસાવાને લોકઅપના ટોઈલેટમાં ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવી પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યાં છે.
મામલો શું હતો?
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા જીવણનગરમાં વુડાના મકાનમાં રહેતા 40 વર્ષીય રમેશ વસાવા અને તેની પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. ઘરકંકાસનો મામલો પોલીસ મથકે પહોંચતા પાણીગેટ પોલીસે રમેશ વસાવાની અટકાયત કરી હતી અને અટકાયતી પગલાં હેઠળ તેને લોકઅપમાં પૂરી દીધો હતો.

મળતી માહિતી અનુસાર લોકઅપમાં રમેશની સાથે અન્ય ત્રણ શખસો પણ હતા. આજે વહેલી સવારે રમેશ લોકઅપમાં આવેલા ટોયલેટમાં ગયા હતા. લાંબો સમય સુધી તે બહાર ન આવતા સાથીઓએ તપાસ કરી હતી, જ્યાં રમેશભાઈ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. કેદીઓએ બૂમો પાડતા પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રમેશભાઈએ તેમના સ્વેટરની દોરી વડે શૌચાલયમાં ફાંસો ખાઈ લીધો હતો.
આ પણ વાંચો: રાજકોટમાં ભાજપ નેતાની સ્કૂલની બેદરકારીમાં વિદ્યાર્થી ડૂબી ગયો

યુવકના મોતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિક લોકોના ટોળા પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. પરિવારે આક્રોશ સાથે આક્ષેપ કર્યો છે કે, રમેશભાઈનું મોત આપઘાતથી નહીં પરંતુ પોલીસના ઢોર મારને કારણે થયું છે. પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે હોબાળો અને તણાવની સ્થિતિ સર્જાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો છે.
ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં મેજિસ્ટ્રેટની હાજરીમાં પીએમ કરવાની અને સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જીવનનગર વુડાના મકાનમાં રહેતા રમેશ વસાવા નામના શખ્સની પત્નીએ તેના વિરુદ્ધ ગઈકાલે 20 જાન્યુઆરીએ અરજી કરી હતી, પત્ની સાથે બોલાચાલી કરી માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસ દ્વારા રમેશ વસાવાની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસે કલમ BNS 176 મુજબ કાર્યવાહી હાથ ધરી. હાલમાં પાણીગેટ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બોલો લો! ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનું કોઈ સાંભળતું નથી!
વકીલ જિતેન્દ્ર ચાંદવાનીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અને કાયદાના સ્પષ્ટ નિર્દેશો છે કે, જ્યારે ફેમિલી મેટર્સ, બિઝનેસ મેટર્સ કે આવા અન્ય સિવિલ પ્રકારના કિસ્સાઓ હોય, ત્યારે સૌથી પહેલા પ્રાથમિક તપાસ થવી જોઈએ. જો તપાસમાં કોઈ કોગ્નિઝેબલ (ગંભીર) ગુનો જણાય તો જ FIR નોંધીને ધરપકડ કરી શકાય. કૌટુંબિક બાબતોમાં સીધેસીધી ધરપકડ કે અટકાયત કરવી ગેરકાયદેસર છે.
DCP અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, રમેશભાઈ વસાવાને એક અરજીના અનુસંધાને ગઈકાલે 20 જાન્યુઆરીએ સાંજે અટકાયતી પગલાં લઈને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. તેમની સાથે બીજા ત્રણ આરોપીઓ પણ લોકઅપમાં હાજર હતા. આજે વહેલી સવારે લગભગ 6થી 6.15 વાગ્યાની આસપાસ, તેમણે લોકઅપના વોશરૂમમાં જઈને પોતે પહેરેલા સ્વેટર હૂડીની દોરી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.
DCPએ વધુમાં જણાવ્યું હતું કે, જેવી આ ઘટના સામે આવી, તુરંત જ SDM અને ACPને જાણ કરવામાં આવી છે. અત્યારે તપાસ ચાલુ છે. SDMની હાજરીમાં પંચનામું કરવામાં આવશે અને ત્યારબાદ પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયાને વીડિયોગ્રાફી સાથે રેકોર્ડ કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: કોન્ટ્રાક્ટરો-અધિકારીઓએ રૂ. 2000 કરોડના ખીચડી કૌભાંડ કર્યું!












