SIR ને લઈને સામાન્ય માણસમાં જે ભય અને આશંકા છે તે ધીરે ધીરે સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને મુસ્લિમ મતદારોના નામો તેમની જાણ બહાર કમી કરી નાખવામાં આવતા હોવાના આરોપ લાગતા રહ્યા છે. ત્યારે થાનગઢ ખાતે રહેતા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ SIR ની કામગીરી દરમિયાન કાપી નાખવામાં આવ્યું હોવાની ચર્ચા ઉઠી છે. આ ફરિયાદ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કરી છે. તેમણે SIR ની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા છે.
થાન ખાતે રહેતા પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડનું એસઆઇઆર અંતર્ગત કોઈએ 07 નંબરનું ફોર્મ ભર્યાનો આક્ષેપ થયો છે. ઋત્વિક મકવાણાએ ભાજપ દ્વારા પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડનું મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવ્યું હોવાનો પણ દાવો કર્યો છે. તેમણે એસઆઇઆર અંતર્ગત થતી કામગીરીમાં ભાજપ સરકાર દ્વારા મોટાપાયે ગેરરીતિ કરાતી હોવાનો આક્ષેપ કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

આ પણ વાંચો: SIR સૌથી વધુ કામગીરી રાજકોટમાં, છતાં TOP 10 માંથી ગાયબ
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SIR) ની કામગીરી વિવાદોના વમળમાં ફસાઈ છે. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે કે, જાણીતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ખોટું ફોર્મ ભરવામાં આવ્યું છે. આ મામલે જ્યારે તપાસ થઈ ત્યારે જે તથ્યો સામે આવ્યા તે ચોંકાવનારા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ SIR એટલે કે મતદાર યાદીની ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ વાંધા અરજીઓ મંગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ એક મોટો ધડાકો કર્યો છે. તેમનો આક્ષેપ છે કે ભાજપ દ્વારા લઘુમતી સમાજ અને પ્રતિષ્ઠિત લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ‘ફોર્મ નંબર 7’ નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં થાનગઢનું ગૌરવ ગણાતા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ પણ બાકાત રાખવા અરજી કરવામાં આવી છે.

પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કહ્યું કે, ‘ભાજપ ચૂંટણી જીતવા માટે કોઈપણ હદ વટાવી રહી છે. પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી હટાવવા હિતેશ રાઠોડના નામે ફોર્મ ભરાયું છે. જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં જ્યારે એ નંબર પર ફોન કર્યો, ત્યારે ખબર પડી કે આખી સિસ્ટમ હેક કરીને અજાણ્યા લોકોના નામે ફોર્મ જનરેટ થઈ રહ્યા છે. હાઈકોર્ટે આ બાબતે સુઓમોટો લેવો જોઈએ.’
આ પણ વાંચો: ચેતી જજો, ચૂંટણી પંચ લોકશાહીને ખતમ કરી રહ્યું છે!’
આ મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ફોર્મમાં લખેલા મોબાઈલ નંબરની તપાસ કરવામાં આવી. જે ‘હિતેશ રાઠોડ’ ના નામે અરજી હતી, તે નંબર વાસ્તવમાં રાજકોટના મહેશ હદાણીનો નીકળ્યો. મહેશભાઈ છેલ્લા 8 વર્ષથી આ નંબર વાપરે છે અને તેઓ ક્યારેય થાન ગયા પણ નથી. તેમની જાણ બહાર તેમના નંબરનો ઉપયોગ કરીને આ ખોટું ફોર્મ ભરવામાં આવ્યું છે, જે ચૂંટણી પંચની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ ઉભા કરે છે.
મોબાઈલ ધારક મહેશ હદાણીએ સમગ્ર માલે કહ્યું કે, ‘મને છેલ્લા બે દિવસથી સતત ફોન આવી રહ્યા છે. મેં કોઈ જ ફોર્મ ભર્યું નથી અને હું ક્યારેય થાન ગયો પણ નથી. મારું સીમકાર્ડ 8 વર્ષ જૂનું છે, કોઈએ મારો મોબાઈલ નંબર ખોટી રીતે લખાવ્યો છે. મારી જાણ બહાર આ બધું થઈ રહ્યું છે.”
પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનો આક્ષેપ છે કે આ માત્ર એક કિસ્સો નથી, પરંતુ આખા ગુજરાતમાં આ પ્રકારે પદ્ધતિસર રીતે વિરોધ પક્ષના મતો અને ચોક્કસ વર્ગના મતો કાપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આ મામલે શું પગલાં ભરે છે.
આ પણ વાંચો: SIRમાં ગેરબંધારણીય શબ્દ દૂર કરવા કચ્છ મેઘવાળ સમાજ મેદાનમાં











ચૂંટણી પંચ પણ આંખ આડા કાન કરી રહ્યું છે કોઈ કોઈને પૂછતાં નથી બધાજ પોતાનો વિટો પાવર વાપરી દેશ ને વિકાસ ના નામે વીક કરી રહ્યા છે. હવે સમય આવ્યો છે દેશ ના જાગૃત નાગરિકો ને પોતાના હક્ક માટે સંઘર્ષ કરવા સિવાય કોઈ પર્યાય નથી.