શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ‘જાતિવાદી’ છે?

એઆઈ સ્વતંત્ર રીતે વિચારતું નથી, તે ઉપલબ્ધ ડેટા પર આધારિત છે. જો ડેટામાં જાતિવાદી પૂર્વગ્રહ હોય, તો એઆઈના જવાબો પણ પક્ષપાતી હોઈ શકે છે.
AI Casteist

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક ગંભીર અને વૈચારિક યુદ્ધ ચાલી રહ્યું છે. આ વખતે ટ્રોલર્સના નિશાના પર દિલ્હી યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત પ્રોફેસર અને યુપીએસસી માર્ગદર્શક ડૉ. વિજેન્દ્ર ચૌહાણ છે. વિવાદનું મૂળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને જાતિવાદ વચ્ચેના સંબંધ પરનું તેમનું એક નિવેદન છે. પ્રો. વિજેન્દ્રએ તર્ક આપ્યો હતો કે, “કૃત્રિમ બુદ્ધિમત્તા પણ જાતિગત પૂર્વગ્રહોથી ગ્રસ્ત હોઈ શકે છે. એઆઈ દ્વારા અપાતા જવાબો ઉચ્ચ જાતિના દ્રષ્ટિકોણથી લખાયેલા હોઈ શકે છે, કારણ કે તેનો ડેટાબેઝ સત્તાધીશો અને પ્રભુત્વ ધરાવતા વર્ગના પક્ષમાં હોય છે. તેથી, સામાજિક ન્યાય માટે AI પર સંપૂર્ણ નિર્ભરતા જોખમી છે.” આ નિવેદને દેશમાં ટેકનોલોજી અને હજારો વર્ષ જૂની જાતિ વ્યવસ્થાના નવા સંદર્ભોમાં એક તીખી ચર્ચાને જન્મ આપ્યો છે.

એઆઈની કાર્યપદ્ધતિ અને પૂર્વગ્રહનું મૂળ

આપણે સમજવું પડશે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) વાસ્તવમાં શું છે. એઆઈ કોઈ જાદુઈ શક્તિ નથી કે જેની પાસે પોતાની સ્વતંત્ર અને મૌલિક બૌદ્ધિક સત્તા હોય. તે એક એવું તંત્ર છે જે પોતાના જવાબો અને પ્રતિક્રિયાઓ માટે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિશાળ ડેટાબેઝ પર આધાર રાખે છે. આ ડેટાબેઝમાં અસંખ્ય વેબસાઇટ્સ, ઈ-મેગેઝીન્સ, ન્યૂઝ પોર્ટલ્સ, ઈ-પુસ્તકો, સંશોધન પત્રો અને સોશિયલ મીડિયાની સામગ્રીનો સમાવેશ થાય છે. એઆઈ અલ્ગોરિધમ આ અગાઉથી અસ્તિત્વ ધરાવતી માહિતીના આધારે શીખે છે અને તેમાંથી જે પેટર્ન ઉભરી આવે છે તે મુજબ જવાબો આપે છે.

આ પણ વાંચો: વડોદરામાં BJP નેતાનો પુત્ર 30 લાખ આપી ‘આદિવાસી’ બન્યો?

સમસ્યા અહીં જ શરૂ થાય છે. જો એઆઈને તાલીમ આપવા માટે વપરાતો ડેટા પૂર્વગ્રહયુક્ત હોય, તો તેના નિષ્કર્ષો પણ પક્ષપાતી જ હોવાના. ઉદાહરણ તરીકે, જો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ મોટાભાગનું સાહિત્ય અને સમાચાર કોઈ એક ચોક્કસ વર્ગના પ્રભુત્વ હેઠળ લખાયા હોય, તો એઆઈ તે જ પરિપ્રેક્ષ્યને ‘સત્ય’ માની લેશે. એઆઈ પાસે તે નૈતિક વિવેક નથી કે તે ડેટામાં રહેલા સામાજિક અન્યાયને ઓળખી શકે. આમ, ઇતિહાસ અને વર્તમાનમાં રહેલો જાતિવાદ ડિજિટલ સ્વરૂપે એઆઈના મગજમાં ઉતરી રહ્યો છે.

સંસ્થાગત માળખું અને પ્રતિનિધિત્વનો અભાવ

હવે પ્રશ્ન એ થાય છે કે જે માધ્યમો દ્વારા માહિતીનું સર્જન થાય છે, ત્યાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં કોણ બેઠું છે? ડિજિટલ મીડિયા, સાહિત્યિક સંસ્થાઓ અને મોટા મીડિયા હાઉસના ટોચના હોદ્દાઓ પર કયા વર્ગના લોકો બિરાજમાન છે? તે દેખીતું છે કે આ સંસ્થાઓમાં પછાત, દલિત અને આદિવાસી સમુદાયોની ભાગીદારી અત્યંત ઓછી છે. જ્યારે કોઈ એક વિશિષ્ટ વર્ગ પાસે માહિતીના પ્રસારની શક્તિ હોય, ત્યારે તેમના સાંસ્કૃતિક પૂર્વગ્રહો અને માન્યતાઓ અજાણતા પણ તેમના કામમાં ભળી જાય છે.

આ પણ વાંચો: દલપતરામે ‘જ્ઞાતિ નિબંધ’ માં ‘દલિતો’ વિશે શું લખ્યું છે?

ઓક્સફામ અને ન્યૂઝલૉન્ડ્રીના 2019 અને 2022ના અહેવાલો મુજબ, ભારતના મુખ્ય મીડિયા સંસ્થાઓના માલિકી હક્કો અને વરિષ્ઠ સંપાદકીય પદો પર ઓબીસી, એસસી અને એસટી સમાજનું પ્રતિનિધિત્વ નહિવત્ છે. જ્યારે માહિતીનું ઉત્પાદન જ એકપક્ષીય હોય, ત્યારે એઆઈ જેવી ટેકનોલોજી તે જ એકતરફી ડેટાને રિસાયકલ કરે છે. આથી જ વિચારકોનો એક વર્ગ એઆઈની તટસ્થતા પર પ્રશ્નચિહ્ન લગાવી રહ્યો છે.

AI Casteist

સાહિત્યિક દ્રષ્ટિકોણ અને દલિત વિમર્શ

જો આપણે ભારતમાં દલિતોના પરિપ્રેક્ષ્યમાં જોઈએ, તો આ સ્થિતિ વધુ સ્પષ્ટ થાય છે. આપણા દેશમાં દલિત સાહિત્યને એક ગંભીર સાહિત્યિક પ્રવાહ તરીકે સ્વીકારવામાં વર્ષો લાગ્યા. આઝાદીના દાયકાઓ પછી, છેક 1990ના સમયગાળામાં દલિત સાહિત્યને શૈક્ષણિક અને સાહિત્યિક જગતમાં થોડું સ્થાન મળ્યું. આજે પણ મુખ્યધારાનું સાહિત્ય જગત દલિત સંવેદનાઓને તે સન્માન આપતું નથી જે તે આભિજાત્ય વર્ગના સાહિત્યને આપે છે. ક્યારેક શિલ્પ, ક્યારેક કળા તો ક્યારેક સૌંદર્યશાસ્ત્રના નામે દલિતોના સંઘર્ષની કથાઓને નકારવામાં આવે છે.

આ પણ વાંચો: દેશની યુનિવર્સિટીઓમાં જાતિગત ભેદભાવની ફરિયાદો 118 ટકા વધી

જ્યારે એઆઈ સાહિત્ય કે સંસ્કૃતિ વિશે વાત કરે છે, ત્યારે તે મોટાભાગે એ જ સામગ્રીને પ્રાધાન્ય આપે છે જે ડિજિટલ વિશ્વમાં વધુ લોકપ્રિય છે. જો ડિજિટલ સ્પેસમાં આભિજાત્ય સંસ્કૃતિના સાહિત્યનો ભંડાર હોય, તો એઆઈના જવાબો સ્વાભાવિક રીતે જ તે તરફ ઝુકેલા હશે. આ રીતે, એઆઈ વંચિતોના અવાજને દબાવવાનું એક નવું સાધન બની શકે છે.

21મી સદીનો ‘અમૂર્ત’ જાતિવાદ

21મી સદીની જાતિ વ્યવસ્થા તેના સ્વરૂપમાં ખૂબ જ જટિલ અને અમૂર્ત બની ગઈ છે. તે આઝાદી પહેલાની સીધી અને દેખીતી ક્રૂરતા જેવી નથી, પરંતુ તે સિસ્ટમની અંદર ઊંડે સુધી વણાયેલી છે. આજે આપણે ‘મેટા-મોડર્નિટી’ના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં વ્યક્તિગત સ્વતંત્રતા અને આધુનિકતાના દાવાઓ તો કરવામાં આવે છે, પરંતુ સામાજિક માનસિકતા બદલાઈ નથી.

આજના યુગનો જાતિવાદ ‘લેટરલ એન્ટ્રી’ અથવા સરકારી પસંદગી પ્રક્રિયાઓમાં ‘નોટ ફાઉન્ડ સ્યુટેબલ’ (NFS) જેવા શબ્દો પાછળ છુપાયેલો છે. આ પ્રક્રિયાઓ ભલે ટેકનિકલ દેખાય, પણ તેની પાછળ વર્ષો જૂના પૂર્વગ્રહો કામ કરતા હોય છે. જ્યારે એઆઈ આવી પ્રક્રિયાઓના ડેટાનું વિશ્લેષણ કરે છે, ત્યારે તે મેરિટ અને યોગ્યતાના નામે સામાજિક પક્ષપાતને જ મંજૂરી આપે છે. એઆઈ એ સમજી શકતું નથી કે જે વ્યક્તિ ‘યોગ્ય’ નથી જણાતી, તેની પાછળ વર્ષોની સામાજિક વંચિતતા જવાબદાર હોઈ શકે છે.

આ પણ વાંચો: રોહિત વેમુલાથી દર્શન સોલંકી સુધી, આ દલિતો જાતિવાદનો ભોગ બન્યા

સામાજિક ન્યાય અને ટેકનોલોજીનો પડકાર

માહિતી ક્રાંતિના આ યુગમાં પણ જો દલિત-પછાત-આદિવાસી સમાજ હાસિયામાં ધકેલાયેલો રહેશે, તો ટેકનોલોજી ક્યારેય સર્વસમાવેશક બની શકશે નહીં. એઆઈ એ માત્ર એક અરીસો છે; જો સમાજમાં જાતિવાદનું ઝેર હશે, તો ટેકનોલોજીના પ્રતિબિંબમાં પણ તે જ દેખાશે. એઆઈને પૂર્વગ્રહમુક્ત બનાવવા માટે આપણે તેના ડેટાબેઝમાં વિવિધતા લાવવી પડશે. જ્યાં સુધી વંચિત વર્ગોની સંવેદનાઓ અને સમસ્યાઓ ડિજિટલ વિશ્વમાં સમાન મહત્વ નહીં મેળવે, ત્યાં સુધી એઆઈ ‘જાતિવાદી’ પૂર્વગ્રહોથી મુક્ત નહીં થઈ શકે.

પ્રોફેસર વિજેન્દ્ર ચૌહાણે જે ચિંતા વ્યક્ત કરી છે તે વાસ્તવમાં ટેકનોલોજીના લોકશાહીકરણ માટેની હાકલ છે. જો આપણે ઈચ્છીએ છીએ કે એઆઈ ખરેખર માનવજાતનું કલ્યાણ કરે, તો આપણે તેને માનવીય પૂર્વગ્રહોથી ઉપર ઉઠાવવા માટે પ્રયત્ન કરવો પડશે.

સામાજિક ન્યાયનો રસ્તો માત્ર ટેકનોલોજીથી નહીં, પણ ટેકનોલોજીમાં સમાન પ્રતિનિધિત્વથી જ ખુલશે.

આ પણ વાંચો: ‘પાઈથનનું કામ માત્ર બ્રાહ્મણ-ક્ષત્રિય કરે, તું Java કે સફાઈકામ કર!’

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x