ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નગલા બિલોતિયા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 20 વર્ષીય દલિત વિદ્યાર્થી અતીન કુમારે જાતિગત અત્યાચાર અને હુમલાથી કંટાળીને પોતાના જ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. મૃતક અતીન BScનો વિદ્યાર્થી હતો અને તે પોતાના દિવ્યાંગ માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. તે અભ્યાસની સાથે એક નાની કરિયાણાની દુકાન ચલાવીને પરિવારને આર્થિક સહયોગ આપતો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને તણાવનો માહોલ છે.
સુસાઈડ નોટમાં જાતિગત હુમલાનો ઉલ્લેખ
રવિવારે અતીન કુમારનો મૃતદેહ તેના રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક પાનાની સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં લાઈબ્રેરીમાં થયેલી માનસિક યાતના અને શારીરિક મારપીટનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રામીણોના જણાવ્યા અનુસાર, મૃતકના શરીર પર ઈજાના નિશાન સ્પષ્ટ દેખાતા હતા અને તેની એક આંગળીમાં ફ્રેક્ચર પણ હતું. આ ઘટના શનિવારે સાંજે ઘટી હતી, જેના બીજા જ દિવસે વિદ્યાર્થીએ આત્યંતિક પગલું ભરી લીધું હતું.

આ પણ વાંચો: બ્રાહ્મણ પડોશીને ‘હેપ્પી હોલી’ કહેતા દલિત યુવકની છરી મારી હત્યા!
જાતિ પૂછીને કરાયો હુમલો
મૃતકના પિતા અજય કુમારે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અતીન કોલેજ પછી નિયમિત રીતે આર.એમ. લાઈબ્રેરીમાં અભ્યાસ કરવા જતો હતો. શનિવારે સાંજે લાઈબ્રેરીમાં હાજર કેટલાક સ્થાનિક યુવકોએ અતીન પર એક છોકરીને હેરાન કરવાનો કથિત આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેની જાતિ પૂછવામાં આવી હતી. અતીનની જાતિ ખબર પડતાં જ યુવકોના ટોળાએ તેને જાતિસૂચક અપશબ્દો કહીને બેરહેમીથી માર માર્યો હતો અને તેને સાર્વજનિક રીતે અપમાનિત કર્યો હતો. આ ઘટનાથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલો અતીન ઘરે પરત ફર્યો હતો, પરંતુ તેણે પરિવારને કશું જણાવ્યું ન હતું અને રવિવારે આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચો: કલોલના રિક્ષાચાલકના ગ્રુપે અનેક યુવાનોને સરકારી નોકરી અપાવી
છ લોકો સામે FIR, ત્રણ આરોપીની ધરપકડ
આ મામલે શિકોહાબાદ પોલીસ મથકે કુલ છ લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. જેમાં બે નામજોગ આરોપીઓ – લાઈબ્રેરી સંચાલક અતુલ સિકેરા અને ધ્રુવ યાદવનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103 (હત્યા), 191 (દંગા), ૩૫૨ (શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાન), 11 box (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) અને SC-ST Act સંબંધિત ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો છે.

શિકોહાબાદના ડીએસપી અને તપાસ અધિકારી અમરીશ કુમારે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ મુખ્ય આરોપીઓ – અતુલ સિકેરા, ધ્રુવ યાદવ અને રિતિક યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે. બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો સતત દરોડા પાડી રહી છે અને ટૂંક સમયમાં જ તમામની ધરપકડ કરવામાં આવશે. પોલીસ હાલ લાઈબ્રેરીના સીસીટીવી ફૂટેજ અને સુસાઈડ નોટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.
આ પણ વાંચો: માણાવદરમાં રૂ. 39 કરોડના ભ્રષ્ટાચાર મુદ્દે દલિતોએ કલેક્ટરને રજૂઆત કરી











