અમદાવાદ: તારીખ 01 માર્ચ, 2026ને રવિવારના રોજ અમદાવાદના બાપુનગર સ્થિત પંચશીલ બૌદ્ધ વિહાર ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ ‘રાજ્ય સ્તરીય પુના કરાર પ્રશિક્ષણ અને ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના જાગૃત બહુજન કર્મશીલો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી સમાજની સ્વતંત્ર રાજનીતિમાં વિશ્વાસ ધરાવતા અને ભવિષ્યમાં નેતૃત્વ કરવા માંગતા સામાજિક-રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે 10.00 વાગ્યાથી શરૂ થયેલી આ શિબિર સાંજના 05.00 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં પુના કરારના વિવિધ પાસાઓ પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન (PPT) દ્વારા ઊંડાણપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.
મયૂર વાઢેરે પુના કરારનો ઇતિહાસ, કાયદાકીય અસરો સમજાવી
શિબિરના પ્રથમ સત્રમાં મુખ્ય વક્તા મયુર વાઢેરે ‘પુના કરાર: ઇતિહાસ અને કાયદાકીય પાસાઓ’ વિષય પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઇતિહાસના પાના ઉથલાવતા જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 1932માં યરવડા જેલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધી વચ્ચે થયેલો આ કરાર દલિત સમાજ માટે એક નિર્ણાયક વળાંક હતો. મયુર વાઢેરે પ્રોજેક્ટરના માધ્યમથી દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતા સમજાવ્યું કે, કઈ રીતે લંડનની ગોળમેજી પરિષદમાં મળેલો ‘સેપરેટ ઈલેક્ટોરેટ’ (સ્વતંત્ર મતાધિકાર) નો અધિકાર પુના કરારને કારણે ‘જોઈન્ટ ઈલેક્ટોરેટ’ (સંયુક્ત મતાધિકાર) માં ફેરવાઈ ગયો.

આ પણ વાંચો: આ રીતે ‘ભણશે ગુજરાત?’ નર્મદા જિલ્લાની 145 શાળાઓમાં માત્ર એક શિક્ષક
તેમણે કાયદાકીય દ્રષ્ટિકોણથી સમજાવ્યું કે, આ કરારને કારણે આજે જે રાજકીય અનામત અસ્તિત્વમાં છે, તે વાસ્તવમાં સમાજના સાચા પ્રતિનિધિત્વને કઈ રીતે રૂંધે છે. મયુર વાઢેરે ભારપૂર્વક જણાવ્યું કે, વર્તમાન અનામત બેઠકો પર ચૂંટાતા પ્રતિનિધિઓ ઘણીવાર રાજકીય પક્ષોના હાઈકમાન્ડને આધીન હોય છે, જેના કારણે સમાજના પ્રશ્નો યોગ્ય રીતે વાચા પામી શકતા નથી. તેમણે આ સમસ્યાના કાયદાકીય ઉકેલની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.

વિદ્વાન વક્તા જગદીશ સોલંકીએ શું કહ્યું?
બીજા મહત્વના વક્તા જગદીશ સોલંકીએ ‘રાજકીય અનામતના વિકલ્પમાં નવી ચૂંટણી પદ્ધતિ’ વિષય પર ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા હતા. તેમણે દલિત સમાજને રાજકીય અનામતને કારણે થઈ રહેલા નુકસાનનો આંકડાકીય અહેવાલ રજૂ કર્યો હતો. જગદીશ સોલંકીએ દલીલ કરી હતી કે, જ્યાં સુધી ચૂંટણી પદ્ધતિમાં આમૂલ પરિવર્તન નહીં આવે, ત્યાં સુધી સમાજનું સ્વતંત્ર રાજકીય અસ્તિત્વ જોખમમાં રહેશે.
આ પણ વાંચો: અમદાવાદમાં ભદ્રકાળીની યાત્રાને કારણે બોર્ડના પરીક્ષાર્થીઓને હાલાકી
તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે, જો આપણે પુના કરારની અસરોમાંથી મુક્ત થવું હોય, તો રાજકીય અનામતના સ્થાને એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ જેમાં ઉમેદવાર માત્ર પોતાના સમાજ પ્રત્યે જ જવાબદાર હોય. તેમણે વિશ્વના અન્ય લોકશાહી દેશોમાં પ્રચલિત વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે કઈ રીતે સ્વતંત્ર રાજનીતિ દ્વારા સમાજનું હિત સાધી શકાય છે. જગદીશ સોલંકીના મતે, નવી ચૂંટણી વ્યવસ્થા એ જ પુના કરારનો સાચો અને કાયમી ઉકેલ છે.
જાગૃત નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂકાયો
આ શિબિર ખાસ કરીને એવા લોકો માટે હતી જેઓ સમાજનું નેતૃત્વ કરવા માંગે છે. શિબિરના અંતિમ સત્રમાં ચિંતન કરવામાં આવ્યું હતું કે, પુના કરારની મર્યાદાઓને સમજ્યા વિના દલિત સમાજની પ્રગતિ શક્ય નથી. ઉપસ્થિત તમામ આગેવાનોએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ આ જ્ઞાનને ગામડે-ગામડે પહોંચાડશે અને સમાજમાં રાજકીય જાગૃતિ લાવશે.
બહુજન કર્મશીલો દ્વારા આયોજન કરાયું
સમગ્ર કાર્યક્રમનું આયોજન અત્યંત વ્યવસ્થિત રીતે અમદાવાદના બહુજન કર્મશીલો દ્વારા કરવામાં આવ્યું હતું. શિબિરમાં થયેલી ચર્ચાઓ અને રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશન્સે ઉપસ્થિત દરેક વ્યક્તિને વિચારતા કરી દીધા હતા. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા સંપર્ક નંબર સાથે ભાવિ રણનીતિની જાહેરાત કરવામાં આવી હતી. આ શિબિર ગુજરાતના સામાજિક અને રાજકીય ઇતિહાસમાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
(વિશેષ માહિતીઃ યુગ સોલંકી)
આ પણ વાંચો: “ડોક્ટર સાહેબ, મારો ચહેરો તો બચી ગયો, પણ હું મરી ગયો છું?”













