ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી છે, પણ ન્યાયાધીશો કેમ પૂર્વગ્રહી?

ન્યાય તોળનારા જજો પણ આ સમાજમાંથી જ આવે છે અને તેઓ દલિતો પરના અત્યાચારના કેસોમાં કેવા સંવેદનહીન ચૂકાદાઓ આપી ચૂક્યા છે તે જાણો ચંદુ મહેરિયા પાસેથી.
The goddess of justice is blindfolded

ચંદુ મહેરિયા

ન્યાય આંધળો કહેવાય છે. ન્યાયાલયોમાં ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી હોય છે. મતલબ કે ન્યાય કોઈ તરફ ઝૂકશે નહીં. તે સૌને સમાન દ્રષ્ટિએ જોઈને ન્યાય આપશે. પરંતુ ન્યાય તોળનારા પણ આ જ સમાજમાંથી આવે છે એટલે સમાજમાં રહેલા વિભાજનો અને વિચારોથી તેઓ સાવ પર હોઈ શકે નહીં. તેથી ઘણીવાર ન્યાયાધીશોની ન્યાયમંદિરોની ટિપ્પણીઓ કે ચુકાદા અસંવેદનશીલ હોય તેવું બને છે. જોકે ભારતમાં ત્રિસ્તરીય ન્યાય વ્યવસ્થા છે એટલે ટ્રાયલ કોર્ટની કોઈ ક્ષતિ હાઈકોર્ટ અને હાઈકોર્ટની ક્ષતિ સુપ્રીમ કોર્ટ સુધારી લે છે. તેને કારણે ન્યાયનું પલ્લું બરાબર રહે છે અને અસંવેદનશીલ ચુકાદા ફેરવાય પણ છે.

તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટનો એક ચુકાદો રદ કર્યો છે. એટલું જ નહીં હાઈકોર્ટની અસંવેદનશીલ ટિપ્પણીઓ સંદર્ભે વધુ પુનરાવર્તન અટકાવવા અદાલતોને દિશાનિર્દેશ જારી કરવાનો નિર્ણય લીધો છે. માર્ચ- ૨૦૨૫માં અલ્હાબાદ હાઈકોર્ટે એક સગીરા પરના કથિત બળાત્કારના પ્રયાસમાં આરોપીઓને નિર્દોષ ઠેરવતા ચુકાદામાં POCSO અધિનિયમ અને બળાત્કારના કાયદાની જોગવાઈઓનું અસંવેદનશીલ અર્થઘટન કર્યું હતું. અદાલતે જણાવ્યું હતું કે સગીરાની છાતી પકડવી કે તેના પાયજામાનું નાડું ખેંચવું તે બળાત્કારનો પ્રયાસ ન ગણાય. આ ચુકાદા અને નિવેદન વિરુધ્ધ દેશભરમાં ભારે વિરોધ થયો હતો.

આ પણ વાંચો: વાલ્મિકી સમાજના કિન્નરને ન્યાય અપાવવામાં પોલીસને રસ નથી

ન્યાયવાંચ્છું લોકોની અંતિમ આશા એવી અદાલતો પરની તેમની શ્રધ્ધા ખતમ થઈ ગઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો છે અને બળાત્કારના કાયદાની જોગવાઈઓનું વધુ ગંભીરતા અને સંવેદનશીલતાથી અર્થઘટન થવું જોઈતું હતું તેમ જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના આવા વલણથી મહિલા ગરિમા અને હકના રક્ષણ માટેનો ન્યાયિક વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ થયો છે.

ન્યાયાલયોએ મહિલાઓ પરના જાતીય અત્યાચારના ગુનાઓમાં વધુ ગંભીરતાથી અને સંવેદનાથી વિચારવાની જરૂર છે. બળાત્કાર જેવા ગુનામાં અદાલતોએ બેહદ સંવેદનશીલ વર્તાવ કરવાની જરૂર છે. આ પ્રકારના જઘન્ય અપરાધોમાં પીડિતાના મન-મસ્તિષ્ક પર થતી અસરોને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અદાલતો તેથી વિપરીત વર્તન કરતી ક્યારેક જોવા મળે છે. એક મહિલા અને તેમની ૧૪ વરસની સગીર દીકરીને આરોપીઓએ જબરદસ્તીથી રોકવાનો, તેમની સાથે અશ્લીલ હરકતો કરવાનો અને પુલિયા નીચે ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે મહિલા પરના બળાત્કારના પ્રયાસના આ કેસમાં એવી અમાનવીય અને વિચિત્ર ટિપ્પણી કરી હતી કે રાતનો સમય આરોપીઓ માટે આમંત્રણ સમાન હતો. કોઈ રાજકીય નેતા ‘બચ્ચે હૈ ભૂલ હો જાતી હૈ..’ એમ કહે કે હાઈકોર્ટના ન્યાયાધીશ રાત્રિના સમયને બળાત્કાર માટે અનુકૂળ ગણાવે તે કેટલું અમાનવીય છે.

બોમ્બે હાઈકોર્ટના મહિલા જજે પોક્સો કાયદા હેઠળના એક ગુનામાં આરોપીઓને બેકસૂર ઠેરવતા ચામડીથી ચામડીનો સ્પર્શ થાય તો જ ગુનો બને તેમ કહ્યું હતું. પીડિતા તેના પરિચિતના ઘરે ગઈ તે બળાત્કારનું આમંત્રણ હતું તેમ કહેતાં એક અદાલતના અસન્માનીય ન્યાયાધીશ અટક્યા નહોતા. સમાજમાં સ્ત્રી-પુરુષ સંબંધો સહજ છે. સાથે ખાવું-પીવું, હરવું-ફરવું કે ઘરે જવું એટલે મહિલા સાથે પુરુષને બળાત્કાર કરવાનો પરવાનો કઈ રીતે હોઈ શકે? પુરુષમિત્રના બોલાવવા પર તેણે ઘરે જવું તે વિનયભંગનું આમંત્રણ હોઈ ના શકે.

આ પણ વાંચો: બોટાદના સરવઈનો દલિત પરિવાર 14 વર્ષથી ન્યાય માટે રઝળે છે

સંબંધોમાં નિભાવાતી આ એક ઔપચારિકતા છે. આ સંજોગોમાં પુરુષની બળજબરીને ફરિયાદીએ પોતે જ ઉપાધિ વહોરી છે કે મુસીબતને નિમંત્રણ આપ્યું છે કહીને પુરુષોને નિર્દોષ ઠેરવવાનું અદાલતી વલણ ભારોભાર ટીકાઓને પાત્ર છે. કોઈ મહિલાની છાતી પકડવી કે તેના સલવારનું નાડું ખેંચવું તે બળાત્કારની નિયત સાબિત કરવાનો પર્યાપ્ત પુરાવો નથી કે ચામડીથી ચામડીનો સ્પર્શ થયો નથી એવું અર્થઘટન સંવેદનહીન છે. કોલકાતા હાઈકોર્ટે તો વળી છોકરીઓને તેમની જાતીય ઈચ્છાઓને કાબૂમાં રાખવાની સલાહ આપી હતી. આ પ્રકારના ઘણા ચુકાદા સર્વોચ્ચ અદાલતે પલટ્યા છે અને નીચેની અદાલતોને ફટકાર લગાવી છે.

અદાલતોએ ન્યાય કરતી વખતે તેની સમાજ પર પડનારી અસરો અને ભવિષ્યમાં તેમના ચુકાદાને દાખલારૂપ ગણવાની પ્રણાલીને પણ ધ્યાનમાં રાખવાની છે. ન્યાયાધીશોએ અદાલતોમાં અને અદાલતોની બહાર પ્રત્યેક શબ્દ જોખી-તોળીને બોલવાનો છે. યૌન ઉત્પીડન સંબંધી મામલાઓમાં તો ખાસ સંવેદનશીલતા અને પીડિતા પર પડનારી ભાવનાત્મક અસરોનો ખ્યાલ રાખવાનો છે. સર્વોચ્ચ અદાલતે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અદાલતો માટે મહિલા સંબંધી કેસોમાં વધુ સંવેદનશીલતાની જરૂર માટેની ગાઈડ લાઈન તૈયાર કરવા ભોપાલ સ્થિત રાષ્ટ્રીય ન્યાયિક અકાદમીને આદેશ કર્યો છે. તેને કારણે થોડી રોક લાગશે જરૂર પણ અદાલતોમાં ન્યાયાધીશોએ અને સમાજમાં આપણે સૌએ પણ વધુ માનવીય અને સંવેદનશીલ વલણ અખત્યાર કરવાની જરૂર છે.

આ પણ વાંચો: બળાત્કાર પીડિતાને ન્યાયને બદલે ગામે 12 વર્ષ માટે સામાજિક બહિષ્કાર કરાયો

India Justice Report-2025 માં કેટલાક ખાસ માપદંડોને આધારે રાજ્યોની ન્યાય વ્યવસ્થાનું મૂલ્યાંકન કરી રેન્કિંગ કર્યું છે. ન્યાયમ વ્યવસ્થાના ચાર સ્તંભ પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાયદાકીય સહાયને આધારે જોતાં દક્ષિણ ભારતના રાજ્યો રેન્કિંગમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે જ્યારે ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તરાખંડ અને રાજસ્થાન તળિયે છે. દેશના કોઈ રાજ્યમાં પૂર્ણ વ્યવસ્થિત અને સુચારુ ન્યાય વ્યવસ્થા નથી તેવા નિષ્કર્ષ સાથે ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ન્યાયલયો મોટાભાગના કેસોમાં નાગરિકોને સાચો ન્યાય આપી શકતી નથી એમ જણાવ્યું છે.આ મુદ્દો કદાચ ચર્ચાસ્પદ છે પરંતુ અદાલતોનું સંવેદનહીન વલણ તો છાપરે ચઢીને ગાજ્યું છે તે હકીકત છે.

ભંવરી દેવી બળાત્કાર કેસ(Bhavnvari devi rape case)માં રાજસ્થાનની ટ્રાયલ કોર્ટે કથિત ઉપલી જ્ઞાતિના લોકો નીચલી જ્ઞાતિની મહિલા પર બળાત્કાર ના જ કરે અને બાપ અને બેટો કે કાકો અને ભત્રીજો એક જ મહિલા પર એક જ સમયે સામુહિક બળાત્કાર કરે તે સંસ્કાર વિરુધ્ધનું અને એટલે ન માની શકાય તેવું છે એમ જણાવ્યુ જ હતું ને? ચાળીસેક વરસ પૂર્વે ગુજરાતની એક મોટર વાહન ટ્રિબ્યૂનલે દલિત કિશોર ચમાર દિનેશ બળદેવભાઈના વાહન અકસ્માતના કેસમાં વળતર આપવા મુદ્દે એવી ટીકા કરી હતી કે આ કિશોરના માબાપ ગરીબ ખેતમજૂર છે તેમને બીજા બાળકો પણ છે તેમના માટે મૃતક કિશોર બોજારૂપ હતો. એટલે તેના અકસ્માત મૃત્યુનું તે વળી વળતર હોઈ શકે? આ ટિપ્પણી ન માત્ર સંવેદનહીન છે, અમાનવીય પણ છે.

કરુણા અને સંવેદના તો માનવ હ્રદયની આંતરિક બાબત છે તેને બાહ્ય પ્રયાસોથી ભરી ન શકાય. તેમ છતાં કાયદાનું સાચું અને માનવીય અર્થઘટન ગુણવતાયુક્ત તાલીમથી રોપી શકાય. સર્વોચ્ચ અદાલતની સંવેદનશીલ ન્યાયતંત્ર માટેની ગાઈડ લાઈનની પ્રતીક્ષા કરીએ અને તાલીમથી અદાલતોમાં સંવેદના અને કરુણા રોપવાના પ્રયાસો જારી રાખીએ.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)

આ પણ વાંચો: એડવોકેટ પિયુષ જાદુગરને પ્રતિષ્ઠિત ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ એનાયત થશે

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Raghav Chadha on recharge scam

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x