21મી સદીમાં જ્યારે દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે ગ્રામીણ ભારતના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ સામંતશાહી માનસિકતા અને જાતિવાદના મૂળિયાં કેટલા ઊંડા છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સારસી પિપલિયા ગામમાં દલિત મેઘવાળ સમાજના વરરાજાના વરઘોડામાં જાતિવાદી તત્વોએ વિધ્ન નાખ્યું હતું. ગામના માથાભારે જાતિવાદી તત્વોએ દલિત વરરાજા ઘોડી પર બેસીને ગામમાંથી નીકળી શકે નહીં, જો નીકળશે તો જીવતા નહીં છોડીએ તેવી ધમકી આપી હતી. આખરે વરરાજાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આખરે બે પોલીસ સ્ટેશનના કડક બંદોબસ્ત વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો હતો.
વરઘોડામાં અવરોધ અને હંગામો
ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે આશરે 10.00 વાગ્યા આસપાસ સારસી પિપલિયા ગામમાં મેઘવાલ સમાજના એક યુવકના લગ્ન નિમિત્તે ‘બિંદૌલી’ એટલે કે વરઘોડો કાઢવામાં આવી રહ્યો હતો. લગ્નનો પ્રસંગ હોવાથી પરિવારના સભ્યો અને સંબંધીઓ ઉત્સાહમાં હતા. ડીજેના તાલે વરઘોડો જ્યારે ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ગામના કેટલાક સવર્ણ ગુંડાઓ ટોળું વળીને રસ્તામાં ઉભા રહી ગયા હતા.

આ પણ વાંચો: ‘હું ભાજપ પ્રમુખ છું, એટ્રોસિટીની ફરિયાદ ખેંચી લે નહીંતર પત્તો નહીં લાગે!’
આ અસામાજિક તત્વોએ જાતિવાદી નિવેદનો કરીને વરઘોડાને આગળ વધતા અટકાવી દીધો હતો. તેમનું કહેવું હતું કે આ માર્ગ પરથી દલિત સમાજનો વરઘોડો નીકળી શકે નહીં. આ જીદને કારણે મામલો ગંભીર બન્યો હતો અને ગામમાં તણાવ પ્રસર્યો હતો.
ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા પોલીસ પહોંચી
રસ્તો રોકવાને કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. દલિત પરિવારના સભ્યોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં જાતિવાદી ગુંડાઓ માન્યા નહોતા, જેના કારણે સ્થિતિ તંગ બની હતી. આ દરમિયાન કોઈએ સ્થાનિક સીતામઉ પોલીસને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સીતામઉ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પહોંચતા જ રસ્તો રોકીને ઉભેલા તત્વોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસની હાજરીથી વાતાવરણ થોડું શાંત પડ્યું હતું, પરંતુ અંદરખાને રોષ યથાવત હતો.
આ પણ વાંચો: શંખેશ્વરના સીપુરમાં સરપંચે દલિત પરિવારને મારી નાખવાની ધમકી આપી

બે પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે વરઘોડો નીકળ્યો
વહીવટી તંત્રે કડક વલણ અપનાવીને સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ નાગરિકના બંધારણીય અધિકારોનું હનન ચલાવી લેવામાં આવશે નહીં. સીતામઉ પોલીસની ટીમે વરરાજા અને તેમના પરિવારને સુરક્ષાનું કવચ પૂરું પાડ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે, હથિયારધારી જવાનોની હાજરીમાં વરઘોડો ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. જે માર્ગ પર જાતિવાદી ગુંડાઓએ પ્રતિબંધ મૂક્યો હતો, તે જ માર્ગ પરથી પોલીસના રક્ષણ હેઠળ બિંદૌલી શાંતિપૂર્ણ રીતે પસાર થઈ હતી. ગામમાં અચાનક ઉભી થયેલી આ સ્થિતિને કારણે લગ્નપ્રસંગમાં ભય અને સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસની સક્રિયતાને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.
આરોપીઓની ધરપકડ માટેની તૈયારીઓ શરૂ
સીતામઉ એસડીઓપી (SDOP) દિનેશ પ્રજાપતિએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, “અમને કંટ્રોલ રૂમ દ્વારા સૂચના મળી હતી કે સારસી પિપલિયામાં વરઘોડો રોકવામાં આવ્યો છે. અમે તરત જ ફોર્સ મોકલીને પરિસ્થિતિ થાળે પાડી હતી અને પોલીસની હાજરીમાં બિંદૌલી સંપન્ન કરાવી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે આ કૃત્યમાં સામેલ તમામ શખ્સોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક સાક્ષીઓના નિવેદનોના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અધિકારીએ ખાતરી આપી હતી કે કાયદો હાથમાં લેનારા અને જાતિવાદ ફેલાવનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ જગન્નાથ મંદિરની રૂ.60 કરોડની જમીન ટ્રસ્ટીઓએ વેચી મારી!
દલિત સંગઠનોમાં ભારે રોષ
આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સામાજિક કાર્યકરો અને દલિત સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ જો કોઈ વ્યક્તિએ પોતાની ખુશી વ્યક્ત કરવા માટે પોલીસના પ્રોટેક્શનની જરૂર પડે, તો તે સમાજ માટે કલંક સમાન છે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે માત્ર કાયદા બનાવવાથી પરિવર્તન આવતું નથી, પરંતુ લોકોની માનસિકતા બદલવી પણ એટલી જ અનિવાર્ય છે. હાલમાં ગામમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવાની તૈયારીઓ ચાલી રહી છે જેથી ભવિષ્યમાં આવા સંઘર્ષો ટાળી શકાય. પોલીસ દ્વારા ગામના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સાધુએ પાંચ વર્ષ સુધી મહિલાને સાથે રાખીને શોષણ કર્યું











