મહેસાણા: મહેસાણા શહેરમાં પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બુદ્ધ વિહાર દ્વારા 2570મી ત્રિવિધ પાવન બુદ્ધ પૂર્ણિમા (1 મે 2026) ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બૌદ્ધ સંસ્કૃતિ અને આચરણને જનમાનસ સુધી પહોંચાડવા માટે શહેરમાં એક વિશાળ ધમ્મ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બૌદ્ધ અનુયાયીઓ શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા.
નગરયાત્રાએ શહેરભરમાં આકર્ષણ જમાવ્યું
નગરયાત્રાના પ્રસ્થાન પૂર્વે પવિત્ર વાતાવરણમાં ઉપાસકો દ્વારા ‘તિરતન વંદના’ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે 6:30 કલાકે નગરયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. માર્ગમાં વિવિધ સોસાયટીના રહીશો દ્વારા નગરયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાવાન ઉપાસકો દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને ઠેર-ઠેર છાશ, પાણી અને ઠંડા પીણાના કેમ્પ લગાવી સેવા પૂરી પાડવામાં આવી હતી.

આ પણ વાંચો: વીરમગામના વનથળ ગામે 14મી એપ્રિલે ભવ્ય લાયબ્રેરી ખુલ્લી મુકાઈ
મહેસાણાવાસીઓ બૌદ્ધ સંસ્કૃતિથી આકર્ષાયા
આ નગરયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બૌદ્ધ ધર્મ અને તેના ઈતિહાસ સાથે જોડાયેલી વિવિધ વેશભૂષા ધારણ કરેલા નાના બાળકો હતા. શહેરના રસ્તાઓને પંચશીલ ધ્વજ અને તોરણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા, જે બૌદ્ધ કલ્ચરના પુનર્જીવનનો સંદેશ આપતા હતા. શ્વેત વસ્ત્રો પરિધાન કરી શાંતિપૂર્ણ રીતે જોડાયેલા હજારો ઉપાસકોએ બૌદ્ધિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુજાતા બુદ્ધ વિહાર દ્વારા આ પાંચમી વર્ષે નગરયાત્રાનું સફળ આયોજન કરાયું હતું.
સાંસ્કૃતિક અને શૈક્ષણિક સ્પર્ધાઓ યોજાઈ
બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે સવારથી જ સુજાતા બુદ્ધ વિહારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે બૌદ્ધિક અને કલાત્મક કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી. મહિલાઓ માટે રંગોળી સ્પર્ધા, નાના બાળકો માટે ચિત્ર અને રંગપૂરણી સ્પર્ધા તેમજ કિશોર-કિશોરીઓ માટે બૌદ્ધ ધર્મ આધારિત પ્રશ્નોત્તરી અને વક્તૃત્ત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: બોટાદના સમતા બુદ્ધ વિહારમાં ચૈત્ર પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

પરિશુદ્ધ બૌદ્ધ સંઘની મહેનત રંગ લાવી
આ સમગ્ર મહોત્સવ અને નગરયાત્રાને સફળ બનાવવા માટે પરિશુદ્ધ બૌદ્ધ સંઘના અગ્રણીઓ હર્ષદ વાઘેલા, મિલિંદ બૌદ્ધ, પરેશ બૌદ્ધ, બીપીનચંદ્ર, મનિષ બૌદ્ધ તથા તુષારચંદ્રએ આયોજનબદ્ધ રીતે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર દિવસ દરમિયાન ઉત્સવ જેવું વાતાવરણ જળવાઈ રહ્યું હતું અને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમો સંપન્ન થયા હતા.
આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?











