દલિતોમાં હજુ પણ કેટલાક એવા લોકો છે, જેમને વારંવાર અપમાન થવા છતાં હિંદુ હોવાનો વહેમ છૂટતો નથી. પછી જ્યારે જાતિવાદી હિંદુઓ તેમનું અપમાન કરી તેમની સાન ઠેકાણે લાવે છે ત્યારે આવા લોકોને ડો.આંબેડકર અને તેમનું બંધારણ યાદ આવે છે, ન્યાય યાદ આવે છે. આવી જ એક ઘટનામાં કેટલાક જાતિવાદી હિંદુઓએ એક દલિત યુવકને શિવ મંદિરમાં પૂજા કરવા અને દૂધ ચઢાવવા બદલ ધીબેડી નાખ્યો હતો.
મામલો ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના ગોવર્ધન ક્ષેત્રમાં આવેલા અડીંગ ગામનો છે. અહીં હિંદુ હોવાના વહેમમાં એક દલિત યુવક શિવ મંદિરમાં પૂજા કરવા ગયો હતો, પણ જાતિવાદી હિંદુઓએ તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. શિવ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં પૂજા-અર્ચના કરવા ગયેલા એક દલિત યુવક અને તેના સાથી પર કટ્ટર જાતિવાદી તત્વોએ લાકડીઓ અને દંડા વડે હુમલો કરી દીધો હતો. યુવકને વહેમ હતો કે ધર્મના નામે બધા સમાન છે, પરંતુ કટ્ટર સનાતની માનસિકતા ધરાવતા લોકોએ તેને વાસ્તવિકતાનું ભાન કરાવતા ‘મંદિર અભડાવી માર્યું’ હોવાનો આક્ષેપ મૂક્યો હતો. કન્હૈયા ઠાકુર, વિપિન સહિતના 5 નામજોગ અને 5 થી 7 અજાણ્યા તત્વોએ યુવકને જાતિસૂચક ગાળો આપીને બેરહમીથી ધીબેડી નાખ્યો હતો.

હિંદુ ધર્મમાં ફેલાયેલો જાતિવાદ અને આભડછેટ
આ ઘટના હિંદુ ધર્મમાં આજે પણ ઊંડે સુધી ઘર કરી ગયેલા જાતિવાદ અને આભડછેટની વરવી વાસ્તવિકતાને ઉઘાડી પાડે છે. જે ધર્મ મોટી મોટી વાતોમાં એકતા અને ‘વસુધૈવ કુટુંબકમ’ના નારા લગાવે છે, તે જ ધર્મના મંદિરોમાં દલિતો માટે આજે પણ દરવાજા બંધ છે. દલિતોને માત્ર ચૂંટણી સમયે મતબેંક તરીકે વાપરવામાં આવે છે અને તેમને હિંદુ હોવાનો અહેસાસ કરાવવામાં આવે છે, પરંતુ જ્યારે તેઓ સમાન અધિકાર સાથે મંદિરના ઉંબરે પગ મૂકે છે ત્યારે તેમને અછૂત ગણવામાં આવે છે. ધર્મના નામે ચાલતી આ સિસ્ટમમાં દલિતો માટે કોઈ સન્માન કે સ્થાન નથી, માત્ર શારીરિક અને માનસિક શોષણ જ છે.
આ પણ વાંચોઃ મંદિરમાં દલિતો પર જાતિવાદી હુમલો, 42 લોકો સામે ફરિયાદ
પોલીસની નિષ્ક્રિયતા અને રાજકીય દબાણ
મારામારીની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવા છતાં સ્થાનિક પોલીસની ભૂમિકા આશંકાના ઘેરામાં આવી છે. પીડિત પક્ષનો સ્પષ્ટ આક્ષેપ છે કે સ્થાનિક પોલીસ કાયદાનું પાલન કરાવવા અને ગુનેગારોને જેલભેગા કરવાને બદલે રાજકીય દબાણમાં આવીને આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી રહી છે. પુરાવા તરીકે સ્પષ્ટ વીડિયો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતાં આખરે પીડિત પરિવારે ન્યાયની ગુહાર લગાવવા માટે સીધા SSP મથુરાની કચેરીએ દોડી જવું પડ્યું હતું. પીડિતોએ 5 નામજદ અને અન્ય અજાણ્યા આરોપીઓ સામે તરત એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.
દલિતોએ મંદિર નહીં પણ શિક્ષણનો માર્ગ અપનાવવો જોઈએ
આ ઘટના દરેક દલિત અને વંચિત સમાજ માટે એક મોટો બોધપાઠ છે. જે ધર્મ અને મંદિરોમાં મનુષ્ય તરીકેનું સન્માન નથી મળતું, જ્યાં પ્રવેશ માત્રથી મંદિર ‘અભડાઈ’ જવાનો આક્ષેપ થાય છે, ત્યાં શ્રદ્ધાના નામે જવાનો કોઈ અર્થ નથી. બાબાસાહેબ આંબેડકરે પણ દલિતોને આહ્વાન કર્યું હતું કે મંદિરોના દરવાજા ખખડાવવામાં સમય અને ઊર્જા બગાડવાને બદલે શિક્ષણના માર્ગે આગળ વધો.

દલિત સમાજે એ સમજવાની જરૂર છે કે શિક્ષણ જ એકમાત્ર એવું માધ્યમ છે જે સામાજિક સમાનતા, આર્થિક આઝાદી અને માનવ ગૌરવ અપાવી શકે છે. મંદિરોમાં માથું ટેકવવાથી અન્યાય દૂર નહીં થાય, પરંતુ હાથમાં પુસ્તકો લેવાથી અને કાયદાકીય-બંધારણીય અધિકારો પ્રત્યે જાગૃત થવાથી જ જાતિવાદી માનસિકતા સામે સાચી લડત આપી શકાશે. દલિત યુવકોએ કલ્પનાશીલ ધાર્મિક વહેમોમાંથી બહાર આવીને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવું જોઈએ, જેથી તેઓ સમાજમાં ઉચ્ચ સ્થાનો પર પહોંચીને પોતાના હક્કોની રક્ષા કરી શકે.
આ પણ વાંચોઃ RSS કાર્યકરે બીમાર દલિત વૃદ્ધને મંદિરમાં પેશાબ ચટાડ્યો











