દિલ્હીના જંતર-મંતર ખાતે આર્થિક આધારે અનામત લાગુ કરવાની માંગ સાથે શરૂ થયેલા વિરોધ પ્રદર્શન સામે બહુજન સમાજ પાર્ટી (BSP) ના સુપ્રિમો માયાવતીએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો સદીઓથી સામાજિક જાતિવાદ અને શોષણનો શિકાર બનતા આવ્યા છે, તેથી આર્થિક આધારે અનામત આપવાની નવી માંગ તદ્દન અયોગ્ય અને બંધારણની મૂળ ભાવના પર સીધો પ્રહાર છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અનામત અંગેની નીતિ અને વિરોધાભાસી વલણની આકરી ઝાટકણી કાઢીને તેમને બોગસ ગણાવ્યા છે.
કોંગ્રેસની અનામત વિરોધી માનસિકતા ખુલ્લી પડી: માયાવતી
માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું કે, “દિલ્હીમાં પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેસી જતાં રાહુલ ગાંધી બાજુમાં જ જંતર-મંતર પર ચાલી રહેલા અનામત વિરોધી પ્રદર્શનને બંધ કરાવવા કે તેમને સમજાવવા સુધી પણ ન ગયા.” માયાવતીના મતે આ ઘટના દર્શાવે છે કે કોંગ્રેસ માત્ર અનામત અને બંધારણના નામે રાજકારણ કરે છે, પરંતુ તેની વાસ્તવિક માનસિકતા હંમેશાં અનામત વિરોધી જ રહી છે.
અનામત વિરોધી તત્વોને સરકારી સંરક્ષણ ન આપવાની અપીલ

બસપા સુપ્રિમોએ કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોને મજબૂત શબ્દોમાં અપીલ કરી છે કે અનામત બંધ કરવાની કે તેને નબળી પાડવાની માંગ કરતાં તત્વોને કોઈ પણ સંજોગોમાં શરણ કે સરકારી સંરક્ષણ આપવું જોઈએ નહીં. તેમણે તમામ રાજકીય પક્ષોને ચીમકી આપતાં કહ્યું કે, અનામત જેવા અત્યંત સંવેદનશીલ અને ગંભીર સામાજિક મુદ્દા પર સસ્તી રાજનીતિ કરવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે. અનામત એ કોઈ ગરીબી હટાવો કાર્યક્રમ નથી, પરંતુ સામાજિક ન્યાય અને સમાનતાનું બંધારણીય સાધન છે.
આ પણ વાંચોઃ જાતિવાદીઓના ગળામાં હાડકું ફસાયું, EWS અનામત હટાવો આંદોલન શરૂ
1. दिल्ली के जंतर मंतर पर संविधान में एस.सी., एस.टी. व ओ.बी.सी. समाज को दिये गये आरक्षण के विरुद्ध अभी हाल ही में जमा हुये कुछ लोगों द्वारा आर्थिक आधार पर आरक्षण को लागू करने की उठाई गई यह नई माँग कतई भी उचित व देशहित में नहीं है। उन्हें आरक्षण के सम्बंध में ऐसा कोई कार्य नहीं…
— Mayawati (@Mayawati) August 23, 2026
ગરીબી એ સરકારી નિષ્ફળતા અને ભ્રષ્ટાચારનું પરિણામ
માયાવતીએ ભારપૂર્વક જણાવ્યું કે, “દલિત અને પછાત સમાજ (SC, ST અને OBC) સદીઓથી જાતિવાદી યાતનાઓ સહન કરી રહ્યો છે, અને તેમને આ સામાજિક અસમાનતામાંથી ઉગારવા માટે જ ડો.આંબેડકરે બંધારણમાં સામાજિક આધારે અનામતની જોગવાઈ કરી હતી.” તેમણે વધુમાં ઉમેર્યું કે બાબા સાહેબે ‘જાતિવાદનો ત્યાગ’ એ જ સાચી દેશભક્તિ ગણાવી હતી. દર વર્ષે સરકારી તંત્ર દ્વારા ગરીબી નાબૂદી માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. જો લોકોને તેનો લાભ ન મળતો હોય તો તે તંત્રની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારનું પરિણામ છે, તેનો દોષ અનામત પર ઢોળી શકાય નહીં.
સામાજિક ન્યાયના મુદ્દા પર બસપાનું આક્રમક વલણ
રાજકીય વિશ્લેષકોના મતે, આર્થિક આધાર પર અનામતનો મક્કમતાથી વિરોધ કરીને માયાવતીએ પોતાના પરંપરાગત દલિત, આદિવાસી અને વંચિત વોટબેંકને વધુ મજબૂત કરવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. જ્યારે દેશમાં અનામત વિરોધી માનસિકતા ધરાવતા તત્વો સક્રિય થઈ રહ્યા છે, ત્યારે માયાવતીએ સામાજિક ન્યાય, બંધારણ અને વંચિતોના અધિકારોના સૌથી મજબૂત અવાજ તરીકે પોતાની ભૂમિકા પુનઃસ્થાપિત કરી છે.

આ પણ વાંચોઃ OBC-SC-ST યુવાનોની જાગૃતિને કારણે “અનામત હટાવો”નું સૂરસૂરિયું!











