સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

5084 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ. સાંજે છ વાગ્યા સુધીમાં 56.30 ટકા આસપાસ મતદાન. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ. 18મી ફેબ્રુઆરીએ મતગણતરી થશે.
voting

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓની સામાન્ય, મધ્ય સત્ર અને પેટા ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું હતું. જે શાંતિભર્યા માહોલમાં પૂર્ણ થયું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી. જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજિત 56.60 ટકા જેટલું મતદાન થયું હોવાનું માહિતી પ્રાપ્ત થઈ છે. ત્યારે હવે ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયા છે. 18 ફેબ્રુઆરી 2025ના રોજ મત ગણતરી કરવામાં થશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 21 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં જૂનાગઢ મહાપાલિકા, 68 નગરપાલિકા, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય/ મધ્યસત્ર તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ અંતર્ગત આજે તા.16-02-2025ના રોજ મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. આ ચૂંટણીઓ માટે કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા, તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા. ત્યાર બાદ 478 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. જ્યારે રાજ્યની કુલ 213 બેઠકો બિનહરીફ થઈ હતી. ત્યારે આજે યોજાયેલા મતદાનમાં હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5084 ઉમેદવારો હરિફાઇમાં છે.

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય, મધ્ય સત્ર અને પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટેની સામાન્ય ચૂંટણી, બે નગરપાલિકાની મધ્ય સત્ર તેમજ રાજ્યની વિવિધ મહાપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું.

આ પણ વાંચો: હવે ઉમેદવારો અને સામાન્ય લોકોને મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ નહીં મળે

જેના અંતર્ગત રાજ્યના કુલ 5084 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. રાજ્યના આશરે 38 લાખ જેટલા મતદારો દ્વારા આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. અત્યાર સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર થયેલી છે. જોકે રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ ખોટકાયાની ફરિયાદો મળી હતી. કેટલાક સ્થળોએ તો વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિજનો પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

ગાંધીનગરમાં તાલુકા પંચાયતની 28 બેઠકો પર મતદાન યોજાયું

ગાંધીનગરમાં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો પર મતદાન યોજાયું હતું. જેના અંતર્ગત 224 મતદાન મથકોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ મતદાન કેન્દ્રો માટે ચૂંટણી પંચ દ્વારા 280 ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી હતી.

રાજકોટના જેતપુરમાં વોર્ડ નંબર 5 અને 8માં ઇવીએમ ખોટકાયા

રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે જેતપુરમાં ઈવીએમ ખોટકાયાની માહિતી સામે આવી હતી. જેતપુરના વોર્ડ નંબર 5 અને 8માં ઈવીએમ ખોટકાય જવાથી મતદાનની પ્રક્રિયા પર અસર પડી હતી. મતદાનની પ્રક્રિયા અટકી જતાં મતદારોની લાંબી લાઈન જોવા મળી હતી.

લુણાવાડામાં મતદાન મથક પર માથાકૂટ થઈ

જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મતદાન મથક પર માથાકૂટ થઈ હતી. જેમાં વોર્ડ નંબર 4ના મતદાન મથક પર ભાજપ અને કોંગ્રેસના બે એજન્ટો વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી જેના કારણે અહી માથાકૂટના દૃશ્યો જોવા મળ્યા હતા.

દ્વારકાના સલાયામાં લાંબા સમય સુધી ઈવીએમ ખોટકાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 2માં લાંબો સમય સુધી ઈવીએમ ખોટકાયેલા જોવા મળ્યા હતાં, જેના કારણે મતદારોએ કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું, એટલું જ નહીં આ મતદારો મતદાન કરવાથી રઝળી પડ્યા હતા હોવાનું પણ સામે આવ્યું છે.

ધંધુકામાં વરરાજા મતદાન કરવા પહોંચ્યા

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનાં મતદાનનો એવો ઉત્સાહ હતો કે ધંધૂકામાં એક વરરાજા લગ્ન પહેલા મતદાન કરવા પહોંચી ગયા હતા. જ્યારે આવી રીતે બોટાદમાં પણ એક વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ વાજતે-ગાજતે મતદાન કરવા આવ્યા હતા. આવી જ રીતે જામનગરમાં પણ એક વરરાજા મતદાન કરવા સગા સંબંધીઓ સાથે પહોંચ્યા હતાં અને મતદાન કર્યું હતું.

મહેમદાવાદ નગરપાલિકા ચૂંટણીમાં રાજાપાઠમાં આવેલા ચૂંટણી અધિકારી સામે ફરિયાદ

રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન એક પ્રિસાઈડિંગ ઓફિસર જ દારૂ પીધેલ હાલતમાં પકડાયો હતો. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન રાજાપાઠમાં આવેલા (દારૂ પીધેલી હાલતમાં) ચૂંટણી અધિકારી વીરેન્દ્ર સુખાભાઈ બારિયા જોવા મળ્યા હતાં. જે અંગે સ્થાનિક લોકો દ્વારા તેની સામે ફરિયાદ કરવામાં આવતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મહેમદાવાદ પ્રાથમિક કન્યા શાળામાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરી સમયે વિરેન્દ્ર સુખાભાઈ બારિયા પીધેલી હાલતમાં ફરજ બજાવતાં જોવા મળ્યા હતાં. જેથી તેની સામે ફરિયાદ કરાઇ હતી.

જેના કારણે કલેકટર દ્વારા આ ચૂંટણી અધિકારીને તાત્કાલિક અસરથી હટાવવામાં આવ્યા હતા. તેનાથી ચૂંટણી પ્રક્રિયામાં થોડા સમય માટે અવરોધ આવ્યો હતો. રાજાપાઠમાં પકડાયેલો ચૂંટણી અધિકારી વિરેન્દ્ર બારિયા ખેડાની રાસ્કા સરકારી પોલિટેક્નિક કોલેજ ખાતે લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. આ મામલે મહેમદાવાદ પોલીસ મથકમાં વિરેન્દ્ર બારિયા સામે ફરિયાદ નોંધાઈ છે. જે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: દિલ્હીમાં દલિત અને મુસ્લિમ મતદારો કોંગ્રેસથી કેમ દૂર રહ્યા?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x