જાતિવાદ માટે કુખ્યાત દેશના ટોચના ત્રણ રાજ્યો પૈકીના એક એવા મધ્યપ્રદેશ(MP)માં જાતિવાદની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. અહીંના અશોક નગર (Ashok nagar) જિલ્લાની શાઢૌરા (Shadhaura) નગરપાલિકાના દલિત (Dalit) સમાજમાંથી આવતા અધ્યક્ષે (President) અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતથી તંગ આવી જઈને આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભાજપના દલિત નેતાએ (BJP Dalit leader) એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો જેને લઈને હોબાળો મચી ગયો હતો. વીડિયોમાં નેતાજી આત્મહત્યા કરવાની ધમકી આપી રહ્યાં છે અને તેમને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો હેરાન કરતા હોવાનું કહી રહ્યાં છે.
આ પણ વાંચોઃ બે ગાડીઓ ભરી પોલીસ પહોંચી ત્યારે દલિત યુવકનો વરઘોડો નીકળ્યો
મધ્યપ્રદેશની ગુના સંસદીય બેઠકમાં આવતા અશોકનગર જિલ્લાની શાઢૌરા નગરપાલિકામાં ભાજપનું સાશન છે. અહીં અધ્યક્ષની સીટ એસસી અનામત હોવાથી દલિત સમાજમાંથી આવતા અશોક માહૌર (Ashok Mahor) છે. તેઓ છેલ્લાં ઘણાં દિવસોથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મીલીભગતનો શિકાર બની રહ્યાં છે. બે દિવસ પહેલા તેમણે પોતાની વ્યથા વર્ણવતો એક વીડિયો જાહેર કર્યો હતો.
તેમણે કહ્યું કે તેઓ શાઢૌરા નગરપાલિકામાં ઘણી અપેક્ષાઓ સાથે ચૂંટાયા હતા. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની સાંઠગાંઠને કારણે તેઓ આ વિસ્તારમાં કોઈ વિકાસ કરી શકતા નથી. કોન્ટ્રાક્ટરો તેમના પર અનૈતિક દબાણ લાવે છે. વીડિયોમાં વધુમાં તેઓ જણાવે છે કે, તેઓ ખૂબ દુઃખી છે અને તેમણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો છે. તેમણે એમ પણ કહ્યું કે તેમણે તેમના સંતાનોને આ માટે જવાબદાર બધાં લોકોના નામ લખાવી દીધા છે. હાલમાં તેમનો આ વીડિયો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચોઃ દલિતે સવર્ણો વચ્ચે ઘર બનાવતા ગામલોકોએ સામાજિક બહિષ્કાર કર્યો
જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ મામલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કરવામાં આવેલા હેરાનગતિના આરોપોને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મુદ્દો ભાજપની સાથે દલિતો સાથે પણ જોડાયેલો હોવાથી ભાજપ સંગઠને પણ મૌન ધારણ કરી લીધું છે.
આ ઘટનાએ ફરી એકવાર ભાજપની દલિત વિરોધી હોવાની છાપને વધુ મજબૂત કરી હોવાનું જણાય છે. અગાઉ પણ વિપક્ષો દ્વારા ભાજપ પર દલિત વિરોધી હોવાના આક્ષેપો કરાતા રહ્યાં છે, ત્યારે આ ઘટનામાં જો સમયસર પગલાં નહીં લેવાય તો ભાજપની દલિત વિરોધી પક્ષ તરીકેની છાપને વધુ બળ મળશે તે નક્કી જણાય છે.
બીજી તરફ આ મામલે કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું છે કે આ મામલો ખૂબ જ ગંભીર છે અને તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે. તેમણે મધ્યપ્રદેશ સરકારને આ મામલાની તપાસ કરવા અને દોષિતો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
આ પણ વાંચોઃ ઘરમાં ઘૂસી એક દલિત દીકરીને ઉપાડી ગયા, બીજીની હત્યા કરી?
દિગ્વિજયસિંહે એમ પણ કહ્યું છે કે સરકારે મધ્યપ્રદેશમાં દલિતો અને વંચિત વર્ગો સાથે થતા દુર્વ્યવહાર અને હેરાનગતિના કિસ્સાઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા દાખવવી જોઈએ. તેમણે કહ્યું કે સરકારે ખાતરી કરવી જોઈએ કે આવા કિસ્સાઓમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ગુનેગારોને સજા મળે.
દિગ્વિજય સિંહે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવને વિનંતી કરી છે કે તેઓ સમગ્ર મામલાની નોંધ લે અને ભાજપના નેતા અશોક માહૌર સાથે વાત કરે અને તેમને સમજાવે કે તેમણે આત્મહત્યા જેવા પગલા લેવાની વાત ન કરવી જોઈએ અને આવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના સાંઠગાંઠ સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેઓ પૈસા પડાવવાના લોભમાં, લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને હેરાન કરે છે અને વિકાસના માર્ગમાં અવરોધ ઉભો કરે છે. તેમણે એમ પણ કહ્યું કે સરકારે ખાતરી કરવી જોઈએ કે અશોક માહોરને ન્યાય મળે.
આ પણ વાંચોઃ દલિત પરિવાર પર ટોળાંનો હુમલો, સાત લોકો ગંભીર રીતે ઘાયલ
*આત્મહત્યાનો વિચાર કરવાનો છોડો અને આરપારની લડાઈ સમાજને સાથે રાખીને શરૂ કરો એ જ તમારા માટે સીધો માર્ગ છે! ધન્યવાદ! જયભીમ! જય સંવિધાન!