ગુજરાતના મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના વાવ ગામેથી સામે આવેલી ઘટના વર્તમાન સમયમાં પણ સમાજમાં વ્યાપ્ત જાતિવાદી માનસિકતા અને સામાજિક વિકૃતિનું કદરૂપું ચિત્ર રજૂ કરે છે. દેશ ભલે 21st સેન્ચ્યુરીમાં આધુનિકતા અને ગ્લોબલ વિકાસના મોટા મોટા દાવા કરતો હોય, પરંતુ હજુ પણ ગામડાઓમાં દલિતો અને વંચિત સમાજો સામેની સામાજિક નફરત, અસ્પૃશ્યતા અને જ્ઞાતિસૂચક અપમાનોનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. આ ઘટના તેનો પુરાવો છે.
મામલો શું છે?
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા વાવ ગામે અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનના રસ્તાને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે. ગામમાં આવેલી ‘સર્વોત્તમ ફેક્ટરી’ નજીક અનુસૂચિત જાતિના સેનમાં અને પરમાર પરિવારનું પરંપરાગત સ્મશાન આવેલું છે. આ સ્મશાન તરફ જવાના મુખ્ય માર્ગ પર ગામના બે સ્થાનિક રહીશો દ્વારા ગેરકાયદેસર રીતે અડચણ ઊભી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ લાગ્યો છે.

દલિતોના સ્મશાન તરફ જતા રસ્તાનો ઉપયોગ કરતી વખતે આ સ્થાનિક શખ્સો દ્વારા જ્ઞાતિ વિષયક અપમાનજનક શબ્દો કહીને જાહેરમાં હેરાનગતિ કરવામાં આવે છે. એટલું જ નહીં, જ્યારે પણ સમાજમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે મૃતદેહની દફનવિધિ માટે સ્મશાન જતાં પરિવારજનો અને ગ્રામજનોને રસ્તામાં જ રોકી દેવામાં આવે છે. આ શખ્સો દ્વારા દલિત સમાજના લોકોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને સ્મશાન સુધી પહોંચવા દેવામાં આવતા નથી.
પંચાયતની કામગીરી દાદાગીરીથી અટકાવી ધમકી આપી
ચોમાસાની વર્તમાન ઋતુ દરમિયાન સ્મશાનના રસ્તા પર ઝાડી-ઝાંખરા અને કાદવ-ગંદકી વધી જતાં દલિતોને ભારે હાલાકી પડી રહી હતી. આ સમસ્યાના ઉકેલ માટે અનુસૂચિત જાતિ સમાજના લોકોએ ગ્રામ પંચાયતમાં વિધિવત અરજી કરી હતી. પંચાયત દ્વારા અરજી ગ્રાહ્ય રાખીને રસ્તાની સફાઈ માટે જેસીબી મશીન મોકલીને કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ મહેસાણાના ગોઠડામાં દલિત વિદ્યાર્થી પર સવર્ણ વિદ્યાર્થીઓની ગેંગનો હુમલો
પરંતુ, જેસીબી દ્વારા સફાઈ કામ ચાલુ હતું તે જ સમયે માર્ગ રોકનારા આ શખ્સોએ સ્થળ પર આવીને બળજબરીથી કામગીરી બંધ કરાવી દીધી હતી. તેમણે સફાઈ કરી રહેલા લોકોને અને ગ્રામજનોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો કોઈ આ રસ્તા પર પગ મૂકશે તો તેના પગ ભાંગી નાખવામાં આવશે. આ રીતે કાયદો અને વ્યવસ્થાનો અનાદર કરીને સ્મશાનનો રસ્તો સંપૂર્ણપણે બાધિત કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ મહેસાણામાં દલિત વિદ્યાર્થીને 4 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો
સતલાસણા મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજી
આ મામલે ન્યાય મેળવવા માટે વાવ ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકો ભેગાં થયા હતા અને વાવ ગામથી સતલાસણા તાલુકા મામલતદાર કચેરી સુધી એક વિશાળ જનઆક્રોશ રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દલિતો દ્વારા મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં મુખ્ય બે માંગણીઓ મૂકવામાં આવી હતી. જેમાં સ્મશાન તરફ જતો રસ્તો તાત્કાલિક ધોરણે સાફ કરાવીને ખુલ્લો કરવામાં આવે અને ધમકી આપી ગેરકાયદેસર રીતે રસ્તો રોકનાર શખ્સો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં
મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કે દફનવિધિ એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે. વાવ ગામની આ ઘટના સ્પષ્ટ કરે છે કે સ્થાનિક સ્તરે હજુ પણ આવી બાબતોમાં વિવાદ ઊભા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક પંચાયત અને પોલીસ પ્રશાસને આ મામલે મધ્યસ્થી કરીને કાયમી ઉકેલ લાવવો જરૂરી બન્યો છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને. જો કે, હજુ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળ્યું નથી.
આ પણ વાંચોઃ મહેસાણામાં ફેમસ થવા મહિલાએ સફાઈકર્મીને લાફા માર્યા












