દેશની સર્વોચ્ચ અને અગ્રણી ટેકનિકલ શિક્ષણ સંસ્થા IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ દરમિયાન સ્ટેજ તરફ આગળ વધતી વખતે શરુ થયેલા વૈદિક મંત્રોચ્ચારે એક મોટો રાજકીય અને વૈચારિક વિવાદ ઊભો કર્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદ અને AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સહિતના વિપક્ષી નેતાઓએ શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક મંત્રોચ્ચાર અને સંકેતો સામે સખત આપત્તિ દર્શાવી છે. વિપક્ષનો સીધો આરોપ છે કે બિન-ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં ધાર્મિક મંત્રોનો ઉપયોગ કરીને દેશના શિક્ષણ ક્ષેત્રનું ધ્રુવીકરણ કરવામાં આવી રહ્યું છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને સાવ કોરાણે મૂકી દેવામાં આવ્યો છે.
શમા મોહમ્મદનો સવાલ અને સોશિયલ મીડિયા પર ટ્રોલીંગ
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કોંગ્રેસના નેતા શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ મુદ્દો ઉઠાવતા લખ્યું કે, IIT નો દીક્ષાંત સમારોહ કોઈ ધાર્મિક કે પૂજા-પાઠનો કાર્યક્રમ નહોતો, તો પછી ત્યાં મંત્રોચ્ચાર કેમ વગાડવામાં આવ્યા? તેમણે પોતાની પોસ્ટમાં ઉમેર્યું હતું કે શૈક્ષણિક અને ટેકનિકલ સંસ્થાઓ તમામ ધર્મોના નારા અને મંત્રોથી સંપૂર્ણપણે મુક્ત હોવી જોઈએ.

આ પણ વાંચો: મંદિરમાં દલિતો પર જાતિવાદી હુમલો, 42 સામે ફરિયાદ
જોકે, શમા મોહમ્મદે પોતાની પોસ્ટમાં આ મંત્રોને ‘ગાયત્રી મંત્ર’ કહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ પદવીદાન સમારોહનો વીડિયો વાયરલ થતાં જ નેટીઝન્સ અને સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શમા મોહમ્મદને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. IIT કાનપુરના એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ફેક્ટ-ચેક કરતાં સ્પષ્ટ કર્યું કે વીડિયોમાં વાગી રહેલો મંત્ર ગાયત્રી મંત્ર નથી, પરંતુ તૈત્તિરીય ઉપનિષદની ‘શિક્ષાવલ્લી’માંથી લેવાયેલા શ્લોક છે, જે ગુરુ અને શિષ્ય વચ્ચેના વિધિવત શિક્ષણ સંબંધો અને જ્ઞાન અર્જન દર્શાવે છે.
અસદુદ્દીન ઓવૈસીનો બંધારણીય પ્રહાર અને વિજ્ઞાન પર સવાલો
AIMIM ના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર અને સંસ્થાના વહીવટ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, વિજ્ઞાનના વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર દરમિયાન ઊભા રહેવાની ફરજ પાડવી એ ભારતીય બંધારણના અનુચ્છેદ 28 (Article 28) નું સીધું અને સ્પષ્ટ ઉલ્લંઘન છે. બંધારણનો આ અનુચ્છેદ સરકારી કે સરાકારી ભંડોળથી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારની ધાર્મિક સૂચનાઓ કે ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ મૂકે છે.
આ પણ વાંચો: કલોલમાં ફાયનાન્સરે પતિની હાજરીમાં દલિત મહિલાને લાફો માર્યો

ઓવૈસી અને અન્ય વિપક્ષી નેતાઓએ સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર અને RSS ના શાસન હેઠળ દેશમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ (Scientific Temper) ને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો છે. દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવાની ઘેલછામાં વિજ્ઞાન અને ટેકનોલોજી કેન્દ્રિત સંસ્થાઓનું ભગવાકરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે દેશની આંતરરાષ્ટ્રીય સ્તરની IIT જેવી સંસ્થાઓમાં પણ સંશોધન અને આધુનિક વિજ્ઞાનને બદલે ગૌમૂત્ર એક્સપર્ટ્સ અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપીને વૈજ્ઞાનિક સોચ પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે.
AIMIM chief Asaduddin Owaisi sahab questions reports that IIT Delhi students were told to bow their heads while receiving medals from PM Modi and stand during Vedic chants. Cites Articles 28 & 51A(H). @asadowaisi #modiiniit #IITDelhi #Asaduddinowaisi @narendramodi pic.twitter.com/ihYtBRiyZw
— Syed Irfan Ali | سید عرفان علي (@origirfan) August 8, 2026
IIT દિલ્હીની સ્પષ્ટતા અને પરંપરાનો દાવો
રાજકીય હોબાળો મચ્યા બાદ અને વિવાદ વકરતાં IIT દિલ્હીના વર્તુળો તથા ભૂતપૂર્વ પ્રોફેસરો તરફથી આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું હતું કે દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક પ્રક્રિયા (Academic Procession) દરમિયાન મંત્રોચ્ચાર કરવો એ સંસ્થાની છેલ્લા 57 વર્ષ જૂની સ્થાપનાકાળની પરંપરાનો એક ભાગ છે. જ્યારે એકેડેમિક પ્રોસેસન એટલે કે વડાપ્રધાન, ડાયરેક્ટર અને પ્રોફેસરોનો સંઘ મંચ તરફ આગળ વધે છે ત્યારે તેના સન્માનમાં તમામ વિદ્યાર્થીઓએ ઊભા રહેવું પડે છે અને આમાં કોઈ ચોક્કસ ધર્મનો પ્રચાર કે ધાર્મિક સૂચના આપવામાં આવી નહોતી.
આ પણ વાંચો: જંતર-મંતર વાળા પાણી ભરે! આ સ્કૂલના વિદ્યાર્થીઓએ એવો વિરોધ કર્યો
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિરુદ્ધ ધાર્મિકતાનો તણાવ
સંસ્થાની સ્પષ્ટતા છતાં, વિપક્ષ અને સામાજિક વિશ્લેષકોનું માનવું છે કે 21મી સદીમાં જ્યારે દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પેસ સાયન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે, ત્યારે દેશની સર્વોચ્ચ ટેકનોલોજીકલ સંસ્થાઓમાં બિન-સાંપ્રદાયિક વાતાવરણ જાળવી રાખવું અત્યંત જરૂરી છે.
જો આવી ઉચ્ચ સંસ્થાઓમાં પણ સંશોધન અને તાર્કિક વિચારસરણીને પ્રાધાન્ય આપવાને બદલે ધાર્મિક પ્રતીકો કે મંત્રોનો આગ્રહ રાખવામાં આવશે, તો વિજ્ઞાનનો ગ્રાફ નીચે જશે. હાલ આ મુદ્દો માત્ર એક સમારોહ પુરતો સીમિત ન રહેતાં દેશમાં ‘સાયન્સ વર્સિસ રિલિજન’ ની નવી રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
આ પણ વાંચો: રાજીનામાની માંગ વચ્ચે પહેલીવાર ધર્મેન્દ્ર પ્રધાને મૌન તોડ્યું











