રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની અંદરથી જ ઉઠેલા એક સ્ફોટક અવાજે દેશના રાજકારણમાં મોટો ભુકંપ સર્જ્યો છે. RSS ના જ પૂર્વ પ્રચારક યશવંત સહદેવ શિંદેએ કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયંક ખડગે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વિધિવત પત્ર લખીને RSS, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ જેવા દક્ષિણપંથી સંગઠનોને વિધિવત રીતે ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ કરી છે.
1990 થી સંઘના પૂર્ણકાલીન કાર્યકર રહેલા શિંદેએ પોતાના પત્રમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત, RSS નેતા ઈન્દ્રેશ કુમાર અને VHP ના મહાસચિવ મિલિંદ પરાંડે સહિતના શીર્ષ નેતાઓ પર આકરા આક્ષેપો મૂક્યા છે. તેમણે માંગ કરી છે કે 2000 ના દાયકામાં દેશના વિવિધ ભાગોમાં થયેલા સિરિયલ બોમ્બ ધડાકાઓમાં આ નેતાઓની કથિત ભૂમિકાની તટસ્થ તપાસ કરવામાં આવે અને તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.

કથિત બોમ્બ ટ્રેનિંગ અને ષડયંત્રના ચોંકાવનારા દાવા
યશવંત શિંદેનો દાવો છે કે સંઘ સાથે તેમનો સંબંધ ત્યારે તૂટ્યો જ્યારે તેમને ‘બોમ્બ બનાવવાની અને તાલીમ આપવાની ટીમ’ માં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે 2022 માં મહારાષ્ટ્રના નાંદેડમાં CBI ની સ્પેશિયલ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને દાવો કર્યો હતો કે 2003 માં VHP ના મિલિંદ પરાંડેના માર્ગદર્શન હેઠળ અન્ય 20 લોકો સાથે તેમને બોમ્બ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: RSS સંગઠન નથી તો શું છે, તે રજિસ્ટ્રેશનથી કેમ ડરે છે?
શિંદેના આરોપ મુજબ, પાકિસ્તાનમાં ગુપ્ત ઓપરેશન્સ અને ભારતમાં એવી રીતે બોમ્બ ધડાકા કરવાનું પ્લોટિંગ કરાયું હતું જેનો દોષ મુસ્લિમોના શિરે મઢી શકાય. 2003-04 માં જાલના, પૂર્ણા અને પરભણીની મસ્જિદોમાં થયેલા ધડાકાઓ અને 2006 ના નાંદેડ બોમ્બ વિસ્ફોટ કેસમાં પણ હિન્દુત્વવાદી સંગઠનોના લોકો સંચોવાયેલા હોવાના દાવા તેમણે કર્યા છે.
ધિક્કાર, હિંસા અને દેશને પાછળ ધકેલવાનું રાજકારણ
સંઘ, વિહિપ અને બજરંગ દળ પર અવારનવાર બહુસંખ્યાવાદના નામે દેશના વાતાવરણને ઝેરી કરવાનો અને સામાજિક સદભાવને છિન્નભિન્ન કરવાનો આરોપ લાગતો રહ્યો છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને દેશભક્તિના નામે આ સંસ્થાઓએ દેશમાં સતત નફરત અને વિભાજનકારી વિચારધારાને પ્રોત્સાહન આપ્યું છે. સાંપ્રદાયિક તણાવ, મોબ લિંચિંગ, નૈતિક પોલીસિંગ (મોરલ પોલીસિંગ) અને લઘુમતીઓ સામે સતત શંકાનું વાતાવરણ ઊભું કરીને આ ત્રણેય સંગઠનોએ ભારતની બિનસાંપ્રદાયિકતા અને બંધારણીય મૂલ્યોને ઊંડો ફટકો માર્યો છે.

આ પણ વાંચો: શું RSS એ ભારતની આઝાદી માટે બલિદાન આપ્યું હતું?
જે સમયે દેશને વૈજ્ઞાનિક અભિગમ, આધુનિક શિક્ષણ, રોજગાર અને સમાનતાની જરૂર છે, તે સમયે આ સંસ્થાઓ યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને કટ્ટરપંથ, ધાર્મિક ઉન્માદ અને હિંસા તરફ ધકેલી રહી છે. જ્યારે દેશના જ યુવાનોને દેશના વિકાસ અને વિજ્ઞાનમાં જોડવાને બદલે ધાર્મિક ધ્રુવીકરણના હથિયાર બનાવવામાં આવે, ત્યારે તે દેશના ભવિષ્યને દાયકાઓ પાછળ ધકેલી દે છે. સત્તા અને આઈડિયોલોજીના રક્ષણ હેઠળ ચાલતી આવી પ્રવૃત્તિઓએ ભારતની આંતરરાષ્ટ્રીય છબીને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે.
કોર્ટ કેસો, છૂટી જવાની પ્રક્રિયા અને સરકારી મૌન
જોકે, શિંદેએ જે કેસોનો ઉલ્લેખ કર્યો છે – જેમ કે નાંદેડ વિસ્ફોટ, અજમેર શરીફ દરગાહ વિસ્ફોટ અને માલેગાંવ બોમ્બ ધડાકા – તે તમામમાં કર્નલ પ્રસાદ પુરોહિત, પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિતના તમામ આરોપીઓને પુરાવાના અભાવે કોર્ટો દ્વારા છોડી દેવામાં આવ્યા છે. 4 જાન્યુઆરી 2025 ના રોજ નાંદેડ કોર્ટે તમામ 9 આરોપીઓને બરી કર્યા હતા. શિંદેનો આરોપ છે કે વર્તમાન શાસન હેઠળ તપાસ એજન્સીઓ અને પુરાવાઓને નબળા પાડવામાં આવ્યા હતા.
બીજી તરફ, સંઘ અને વિહિપે છેલ્લા 4 વર્ષથી શિંદેના આ આરોપો પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી અને તેને ફગાવી દીધા છે. પરંતુ પોતાના જ પૂર્વ પ્રચારક દ્વારા કરવામાં આવેલા આ ગંભીર દાવાઓએ દેશની સિસ્ટમ અને આ સંગઠનોની ભૂમિકા સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: SC-ST અનામતમાં ક્રીમીલેયર પર RSS-ભાજપનું નવું નાટક!











