કારમાંથી ઉતરી સીધી દલિત વરરાજાના માથે બંદૂક તાકી દીધી

વધુ એક દલિત વરરાજાની જાન પર હુમલો. જાતિવાદીઓએ સીધી વરરાજાના માથે જ બંદૂક રાખી દીધી. એ પછી ઘોડી હોવા છતાં વરરાજા પગપાળા માંડવા સુધી પહોંચ્યા, ડીજે હોવા છતાં વગાડી શકાયું નહોતું.
dalit youth murder

Dalit groom’s procession attacked: જાતિવાદી લુખ્ખાઓને કાયદો વ્યવસ્થાનો જાણે કોઈ ડર જ ન હોય તેમ દલિતો પર અત્યાચારો થઈ રહ્યાં છે અને સરકાર માત્ર મૂકપ્રેક્ષક બનીને જાણે તમાશો નિહાળી રહી હોય તેવી સ્થિતિ છે. લગ્નની સિઝન ચાલી રહી છે અને તેની સાથે જાતિના ઠાલા અભિમાનમાં રત રહેલા ઉત્તર ભારતમાં દલિત વરરાજાને ઘોડી પરથી ઉતારી દલિતોની જાન પર હુમલો કરવાની ઘટનાઓ પણ સતત વધતી જઈ રહી છે. છેલ્લાં ચાર દિવસમાં જ આવી 4 જેટલી ઘટનાઓ બની છે.

જો કે આ ઘટના આગળ બનેલી ઘટના કરતા વધુ ભયાનક એટલા માટે છે, કેમ કે અહીં આરોપી લુખ્ખા તત્વોએ કારમાંથી ઉતરી સીધી વરરાજાના માથે બંદૂક તાકી દીધી હતી. એટલું જ નહીં આરોપીએ પોતાની સમાજના અસામાજિક તત્વોને ફોન કરીને બોલાવી લઈને જાન પર હુમલો કર્યો હતો. જેમાં વરરાજાના દાદાનું માથું ફોડી નાખ્યું હતું. એ પછી લગ્ન જેવો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.

વરરાજાએ ઘોડી પરથી ઉતરીને ચાલીને માંડવા સુધી જવું પડ્યું હતું અને ડીજેનું ભાડું ચૂકવ્યું હોવા છતાં તે બંધ કરી પ્રસંગ જેમતેમ કરીને પૂર્ણ કરવો પડ્યો હતો. આરોપીઓએ જાનમાં દલિત મહાપુરૂષોની જે તસવીરો લગાવાઈ હતી તેને પણ તોડી નાખી હતી. આટલું બધું થઈ ગયું એ પછી બોલીવૂડની ફિલ્મોની જેમ છેલ્લે પોલીસે આવીને માત્ર નામ પુરતી કાર્યવાહી કરીને સંતોષ માન્યો હતો.

મામલો કુંભમેળાના ગુણગાન ગાઈને સમરસતાની વાતો કરતા યોગી આદિત્યનાથના ઉત્તરપ્રદેશના આગ્રાનો છે. અહીં એક દલિત યુવકના લગ્નના વરઘોડા પર જાતિવાદી લુખ્ખાઓએ હુમલો કરી દીધો હતો. આરોપીઓએ કારમાંથી ઉતરી સીધી વરરાજાના માથે જ બંદૂક તાકી દીધી હતી. જેને લઈને એક ક્ષણે આખી જાન સ્તબ્ધ થઈ ગઈ હતી. આરોપી યુવકે તેની લાયન્સવાળી બંદૂકથી વરરાજાને મારી નાખવાની ધમકી આપી અને તેના પર બંદૂક તાકી. વરરાજાના દાદા, તેને બચાવવા માટે વચ્ચે પડ્યાં તો તેમનું માથું ફૂટી ગયું હતું. આ ઘટનાથી

વરઘોડામાં સામેલ મહિલાઓ ગભરાઈ ગઈ હતી. તેમાંથી કોઈએ જેમ તેમ કરીને પોલીસને જાણ કરી હતી. એ પછી પોલીસ જાનને માંડવા સુધી લઈ ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસની હાજરી હોવા છતાં તેમણે જાતિવાદી લુખ્ખાઓની બીકના કારણે ડીજે વગાડવાનું બંધ રખાવ્યું હતું અને વરરાજા પણ ઘોડી પરથી ઉતરીને ચાલીને માંડવા સુધી ગયા હતા. હવે જ્યાં પોલીસ જ જાતિવાદીઓને છાવરતી હોય ત્યાં કાયદાના શાસનની અપેક્ષા બીજા કોની પાસેથી રાખવી.

જાતિવાદી લુખ્ખાઓએ મચાવેલા તોફાનને કારણે જાનમાં આવેલા લોકો એટલા ડરી ગયા હતા કે લગ્નની વિધિ પણ યોગ્ય રીતે થઈ શકી નહોતી. આ મામલે વરરાજાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સ્થાનિક એસીપી સૈયા દેવેશ સિંહ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

આગ્રાના માલપુરા ધનોલીની ઘટના

આગ્રાના માલપુરા ધનોલીના સત્ય નગરના રહેવાસી મુકેશભાઈના પુત્રના લગ્નની જાન 6 માર્ચે ધનોલીના અઝીઝપુર જઈ રહી હતી. મુકેશભાઈના જણાવ્યા પ્રમાણે જાનની પાછળ કેટલાક વાહનો આવી રહ્યા હતા. તેમાંથી એક યુવકે રસ્તો ન આપવાનું કારણ આગળ ધરીને જાનૈયાઓ સાથે ઝઘડો કર્યો હતો. એ કાર ચાલક યુવકનું ઘર પણ એ જ રૂટ પર હતું જે રૂટ પર દલિત પરિવાર જાન લઈને જઈ રહ્યો હતો. જો કે થોડી વાર માટે રસ્તો ન મળતા તેણે પોતાના ઘરે ફોન કરીને કેટલાક લોકોને હથિયારો સાથે બોલાવી લીધાં અને જોતજોતામાં ઘણા લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા, તેમના હાથમાં હથિયારો અને લાકડીઓ હતી. ગુંડાઓએ હથિયારો લહેરાવતા ધમકીઓ આપવાનું શરૂ કર્યું.

મુકેશના ભાઈ મહેન્દ્રએ જણાવ્યું હતું કે જાતિવાદી તત્વોએ વરરાજાના માથા પર બંદૂકો તાકી દીધી હતી અને જ્યારે વરરાજાના પિતા તેને બચાવવા આવ્યા ત્યારે આરોપી યુવકે તેમને બંદૂકની ખૂંધ માથામાં ફટકારી દીધી હતી. જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

વરરાજા ચાલીને માંડવા સુધી પહોંચ્યાં, ડીજે ન વગાડ્યું

કોઈએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લેતા આરોપીઓએ વીડિયો ઉતારી રહેલી વ્યક્તિને પણ મારી નાખવાની ધમકી આપી હતી. લોકોએ આ અંગે પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જાનને બેન્ડ વગર માંડવા સુધી મોકલી દીધી. મહેન્દ્રએ જણાવ્યું કે જાનમાં જેટલી 50 મહિલાઓનો સમાવેશ થતો હતો. આ ઘટનાથી તે ગભરાઈ ગઈ હતી અને લગ્નની વિધિઓ પણ પૂર્ણ થઈ શકી નહીં. આરોપીઓએ જાતિસૂચક અપશબ્દોનો ઉપયોગ કરીને જાનને માંડવા સુધી ન પહોંચવા દેવાની અને હુમલો કરવાની ધમકી આપી હતી. પોલીસની હાજરી છતાં જાતિવાદી લુખ્ખાઓનો ડર એટલો હતો કે, ખુદ પોલીસે જ વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારીને પગપાળા માંડવા સુધી જવાની સલાહ આપી હતી. એટલું જ નહીં જાનમાં ડીજે હાજર હોવા છતાં તે વગાડવા દીધું નહોતું. આવી પોલીસ હોય ત્યાં કાયદાની રખેવાળીની અપેક્ષા કેવી રીતે રાખવી.

ચાલાકી જુઓઃ સામસામે ફરિયાદ નોંધાઈ

આ મામલે માલપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે કારના હોર્ન વગાડવાને લઈને વિવાદ થયો હતો. આરોપી યુવક પોતાની લાયસન્સવાળી બંદૂક સાથે કારમાં બેઠો હતો. રસ્તો ન મળતા તેણે કારમાંથી નીચે ઉતરીને સીધી વરરાજાના માથે બંદૂક તાકી દીધી હોવાનું ફરિયાદમાં કહેવાયું છે. બંને પક્ષો તરફથી FIR મળી છે. આ કેસની તપાસ ચાલી રહી છે. અહીં પીડિત પરિવારે કહ્યું કે તેમણે શનિવારે પોલીસ સ્ટેશન આવેલા પોલીસ અધિકારીઓને જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો: જાતિવાદીઓએ વરઘોડો રોકવાની ધમકી આપી, ભીમ આર્મીએ વટ જાળવ્યો

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x